Monday, 27 August 2018

કૃષિ શિક્ષણનું ખાનગીકરણ : શું વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યા છે ?



ગુજરાતમાં સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીની રાહબરીમાં ખેડૂતપુત્રોને કૃષિ વિષયક જ્ઞાન મળી રહે તે માટે કૃષિ શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં આવેલ. પરંતુ આજે ખાનગીકરણના નામે કેટલીક સંસ્થાઓ કૃષિ શિક્ષણનું પણ વ્યાપારીકરણ કરી રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી થાય કે ના થાય પરંતુ શિક્ષણ માફિયાઓની આવક ચોક્કસ અનેકગણી વધી જશે.

નિયમિત અખબાર વાંચવાની ટેવ ધરાવતા લોકોનું પણ ધ્યાન સહજતાથી ન જાય તે રીતે થોડા દિવસ પહેલા અમુક છાપાઓમાં એક સમાચાર છપાયા હતા, કે ગુજરાતની આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા ખાતે આવેલ સરકારી કૃષિ યુની.ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની અમુક ખાનગી યુનીવર્સીટીઓ અને કોલેજોમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહેલ વિવિધ કૃષિ અભ્યાસક્રમોનો વિરોધ થઇ રહ્યો છે.

કૃષિ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરી રહેલી વિદ્યાર્થી કમિટીના ડો.વિમલ ચૌધરી, જયવીર સોલંકી, મુકેશ ચૌધરી તથા દર્શન પટેલ સહિતના વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાજય સરકાર સંચાલિત કૃષિ વિશ્વવિદ્યાલયો અને ભારતીય કૃષિ અનુષંધાન પરિષદ (આઈ.સી.એ.આર.) દિલ્હીની માન્યતા વગર રાજ્યમાં અમદાવાદની રાય યુનિ., રાજકોટની આર.કે. યુનિ. અને વડોદરાની પારૂલ યુનિ. જેવી ખાનગી શિક્ષણ સંસ્થાઓ છેલ્લા ૫ વર્ષથી ગેરકાયદેસર રીતે સ્નાતક કક્ષાના કૃષિ અભ્યાસક્રમો ચલાવી રહી છે.

વિદ્યાર્થી આગેવાન ડો.વિમલ ચૌધરી કહે છે કે આ ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસક્રમો માટેની આઈ.સી.એ.આર., દિલ્હી તથા કેંદ્ર સરકારની જોગવાઈ મુજબ નિયમોનું પાલન થતું નથી. ઉક્ત સંસ્થાઓમાં કૃષિ શિક્ષણ અને સંશોધન માટે અનિવાર્ય ધારાધોરણો જેવા કે લેબ અને વર્ગોની સુવિધા, સંશોધન માટે જરૂરી જમીનની ઉપલબ્ધી તથા નેટ કે ડોક્ટરેટ જેવી જરૂરી લાયકાત ધરાવતા પ્રાધ્યાપકો વગેરેનો સદંતર અભાવ છે.

હાલ આ ખાનગી સંસ્થાઓમાંથી સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસ માટે ગુજરાત કૃષિ યુનિ.ઓમાં જોડાવાની પ્રવેશ પરીક્ષા પર રોક લાગી ગયેલ છે. જેથી તેમનો સમય વેડફાઇ રહ્યો છે અને તેમનું ભવિષ્ય પણ અદ્ધરતાલ રહેલ છે. બીજા એક વિદ્યાર્થી દર્શન પટેલ ભાવિ આશંકા સાથે કહે છે કે આવી અમાન્ય અને પાયા વિહોણી યુનિ.ઓમાંથી સ્નાતક થયેલા વિધાર્થીઓ ગુજરાત રાજ્યના ખેડુતોને કેવું માર્ગદર્શન આપશે અને કઈ રીતે મદદરૂપ થઇ શકશે.

જો કૃષિ શિક્ષણમાં આ રીતે જ ખાનગીકરણ થતું રહેશે તો હાલમાં ઇજનેરી અને મેડીકલના વિદ્યાર્થીઓ જેવી હાલત કૃષિ અને સંબંધિત અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પણ થશે અને સમાજમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા વધુ વકરશે. તેમજ પાયાવિહોણી સવલતો સાથે શિક્ષણ આપતી ખાનગી કૉલેજમાં કૃષિ અને કૃષિ સંબંધિત અભ્યાસક્રમ ચાલુ રહેશે તો ધોરણ બાર(સાયન્સ)માં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈસાના જોરે ખાનગી કોલેજોમાં બિનલાયક પ્રોફેસર પાસેથી પ્રેક્ટિકલ જ્ઞાન વગર ભણીને કૃષિ સ્નાતકની ડિગ્રી મેળવી લેશે.

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી કૉલેજની મોંઘીદાટ ફી ભરી શકતા નથી. સરકારી કૃષિ યુનિ.ઓમાં શિક્ષણની ગુણવત્તા માટે કડક કાયદાઓ પ્રવર્તે છે માટે, તેમાં ભણતા વિદ્યાથીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું અને તેમના પરિણામો અન્ય ખાનગી કૉલેજના વિદ્યાર્થીઓ કરતા એકંદરે નીચા રહેતા જોવા મળે છે. પરિણામે સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસની પરિક્ષાઓમાં સરકારી કૃષિ યુનિ.ના હોશિયાર વિદ્યાર્થીઓને પણ નુકસાન ભોગવવું પડશે.

સરકારી નિયમો અને ધારાધોરણનું યોગ્ય પાલન થતું ન હોવાથી તા.૬/૯/૨૦૧૬ ના રોજ તત્કાલીન રાજય સરકારે પણ પત્ર પાઠવીને આવી ખાનગી યુનિવર્સિટીને સદર અભ્યાસક્રમ માટે પરવાનગી મેળવી લેવા તાત્કાલિક ધોરણે સુચના આપેલ તથા તા.૨૭/૧૦/૨૦૧૬ની અખબારી યાદી દ્વારા વિદ્યાર્થીઓને જે-તે ખાનગી યુનિ.માં પ્રવેશ ન લેવા માટે તાકીદ કરવામા આવેલ હતી. વિદ્યાર્થીઓએ આવા અનેક પુરાવાઓ સાથે સક્ષમ અધિકારીઓ અને સાંસદોને રજુઆતો કરી છે.

પોતાના સમકાલીન અને ભાવિ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવા હેતુથી રાજ્યની ચારેય સરકારી કૃષિ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં મોઢા પર કાળી પટ્ટી બાંધીને, પ્લેકાર્ડ અને પોસ્ટરો બનાવીને તથા ‘જય જવાન- જય કિશાન’ના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને ધરણા પ્રદર્શન દ્વારા કૃષિ શિક્ષણના ખાનગીકરણનો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યાં છે. નવનિર્માણ આંદોલનની યાદ અપાવતી તેમની આ ચળવળ કેવો રંગ લાવશે તે તો આવનાર સમય જ કહેશે. 

Wednesday, 22 August 2018

ફળપાકોની ખેતી : પર્યાવરણ રક્ષા સાથે આર્થિક સમૃદ્ધિનો ઉમદા ઉપાય


ફળપાકોની ખેતી : પર્યાવરણ રક્ષા સાથે આર્થિક સમૃદ્ધિનો ઉમદા ઉપાય

  • ·      સૌને પોષણ પુરૂ પાડતી ધરતીને આપણે માતા કહીએ છીએ. પુરાણોમાં કહેવાયું છે કે વૃક્ષો એ ધરાનું વસ્ત્ર છે. અને ધરાનાં ધાવણ સમાન ફળ આપતા ઝાડ કાપી, તેનું વસ્ત્રાહરણ પણ આપણે જ કરીએ છીએ.
  • ·         રોકડિયા પાકોનાં ભાવમાં થતો ઘટાડો, ખેતમજૂરોની અછત અને વિવિધ સમસ્યાઓને કારણે અનેક ખેડૂતો પરંપરાગત રાસાયણિક ખેતીની જગ્યાએ પુનઃ ઓર્ગેનિક ફળઝાડ વાવવા તરફ અગ્રેસર થયા છે.

---------

દ્રશ્ય ૧ : સૃષ્ટિમાં ચોમેર છવાયેલ અનંત હરિયાળી વચ્ચે કોઈપણ સીમા-સરહદ વગર મન પડે ત્યાં જીવવા માટે સ્વતંત્ર વિચરણ કરતા વેદકાલીન કે તેથી પણ પુરાતન સંસ્કૃતિના લોકો. તરસ લાગે ત્યારે નદી, ઝરણાં, કુંડ સહીત હાથવગા પાણીના વિવિધ કુદરતી સ્રોત અને ભૂખ લાગે ત્યારે વિવિધ પ્રકારના કંદમૂળ અને ફળફળાદીથી લચી પડતી વનરાજી. કોઈ જ કલેશ કે અભાવ વગરનું બસ માત્ર નિરોગી અને દીર્ઘકાલીન શ્રેષ્ઠ જીવન.

દ્રશ્ય ૨ : સમગ્ર સંસારમાં ધીરે ધીરે સભ્યતાઓ વિકસી રહી છે. નૂતન પ્રકારના સભ્ય સમાજનો માણસ પોતાના પાલતું પશુઓના નિભાવ માટે બહુ દૂર જવું ન પડે તે કારણે પોતાની આસપાસના વિસ્તારોનાં જ જંગલો કાપીને ખેતી કરી રહ્યો છે. નવા નવા શોધાઈ રહેલા કે સંશોધિત થઈ રહેલા ખેતી પાકોનો સ્વાદ પોતાને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો હોવાથી તેના માટે માનવજાત આ પોષક તત્વોથી ભરપૂર ફળોનાં વૃક્ષ કાપવામાં કોઈએ દુખ થતું નથી.

દ્રશ્ય ૩ : ઔદ્યોગિક ક્રાંતિનાં પડઘમ વચ્ચે વસ્તી વધારાના પરિણામ સ્વરૂપ ગરીબ લોકોને કામે લગાડવાના કહેવાતા સદ્કાર્ય માટે ઠેર ઠેર જંગલોની જમીનો પર મોટા કારખાનાઓની શરૂઆત થઈ રહી છે. ફેકટરીઓના પ્રદુષણ અને કુપોષણથી બીમાર મજૂરોની સારવાર કરતા ડોકટરો તેમને પોષણયુક્ત ફળ ખાવાની સલાહ આપે છે, ગરીબી અને ભૂખમરાથી ત્રસ્ત માણસ નિરાશ થતો કેટલાયે લોકો પાસે મદદની અપેક્ષા રાખે છે પણ મોંઘા ફળ ભીખમાં કોણ આપે ?

દ્રશ્ય ૪ : ફળાઉ સહીત દરેક જાતના વૃક્ષોની ઉપેક્ષાના પરિણામોની અસરથી પૃથ્વીનું સંતુલન ખોરવાઈ/બગડી રહ્યું છે. અતિ/અલ્પ વૃષ્ટિ, પુર, વધતું તાપમાન જેવા અનિષ્ટો સામે સમતોલન જાળવી રાખવા માટે વિવિધ સંગઠનો અને સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણ યોજનાઓ (કાગળ પર) અમલમાં લવાતી નજરે પડે છે. ક્યાંક વળી સેવાભાવી સંસ્થાઓ વિનામૂલ્યે અગર તો ટોકન દરે ફળઝાડનાં રોપાઓ વિતરિત કરે છે.

દ્રશ્ય ૫ : ફરજના ભાગ રૂપે કરવામાં આવેલ વૃક્ષોના સરકારી વાવેતરોનાં ઉછેર અને જાળવણીnની સરેરાશનાં આંકડા નિરાશ કરે છે તો વળી પેઢી દર પેઢી ટૂંકી થતી જતી જમીનમાં જગ્યા રોકતા વૃક્ષોને કાપીને વાવવામાં આવેલ રોકડિયા પાકોનાં ભાવમાં દર વખતે ઘટાડો થતા, ખેતમજૂરોની અછત અને ખેતીમાં કરેલ રોકાણ કરતા પણ ઓછુ વળતર મળતા અનેક ખેડૂતો કપાસ મગફળીની રાસાયણિક ખેતીની જગ્યાએ પુનઃ ઓર્ગેનિક ફળઝાડ વાવવા તરફ અગ્રેસર થયા છે.

દ્રશ્ય ૬ : (ભવિષ્યમાં) મોટાભાગના ખેડૂતો પોતાના ખેતરોમાં શેઢેપાળે અથવા થોડી અલગ જમીન કાઢીને વિવિધ પ્રકારના ફળઝાડનું ઉત્પાદન લે છે. વિનિમય પદ્ધતિથી અડોશપડોશના ખેડૂતો પોતપોતાના ફળોની આપલે કરે છે. પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોને મોસમ પ્રમાણે ઉપજતા પોષણયુક્ત ફળ મળે તે માટે સુંદર વિતરણ વ્યવસ્થા ગોઠવાઈ હોવાથી દરેક બાળક કે વ્યક્તિના રોજિંદા આહારમાં ફળોનો સમાવેશ થવા લાગ્યો છે.
***
મિત્રો, આ દ્રશ્યો કોઈ કપોળકલ્પિત નાટકની વાતો નથી. પણ સાબિત કરે છે કે દુનિયા ગોળ છે અને ચકડોળનાં ફાલકાની જેમ સૌનું જીવનચક્ર ચાલે છે તેનો પુરાવો છે. કુદરતી ખેતી અને ખોરાકથી દૂર રહેલો માણસ આજે ફરી પ્રકૃતિ તરફ વળી રહ્યો છે. જે આનંદની વાત પણ છે. આ લાંબી પૂર્વભૂમિકા બાદ વાત કરીએ મુખ્ય વિષય ફળઝાડની ખેતી વિશે...
પુરાણોમાં કહેવાયું છે કે વૃક્ષોએ ધરાનું વસ્ત્ર છે. આપણે ધરતીને માતા કહીએ છીએ કારણ કે તે આપણને પોષણ પુરૂ પાડે છે અને ધરાનાં ધાવણ સમાન ફળ આપતા ઝાડવા કાપીને તેનું વસ્ત્રાહરણ પણ આપણે જ કરીએ છીએ. હવે વૃક્ષો આપણા માટે પ્રકૃતિનો ઉપહાર કે ધરતી પરના અચલ સંત નથી રહ્યાં. આપણે તેને માત્ર આપણી જરૂરીયાત માટે જ વાવીએ અને કાપીએ છીએ.

પર્યાવરણ રક્ષક
આજે સમસ્ત વિશ્વ સમક્ષ બગડતું હવામાન મોટી સમસ્યા છે. જેનો ઈલાજ વધુમાં વધુ વૃક્ષો વાવવા તે છે. માલપરાના અગ્રણી ખેડૂત વડીલ હીરજીભાઈ ભીંગરાડીયા તો કહે છે કે, ‘અનેક જીવોનાં આશ્રયદાતા એવા આ વૃક્ષોને જો કાન દઈને સાંભળીએ તો આપણી સાથે વાતો પણ કરે છે.’ માનવીય સભ્યતાના સૌથી શ્રેષ્ઠ મિત્ર ગણાતા વૃક્ષો આપણને જીવનમૃત્યુપર્યંત સતત કામ આપતા રહ્યાં છે. પેલું ગીત તો યાદ જ હશે, ‘દેખ તમાશા લકડી કા...’ હવે સમય આવ્યો છે આપણે તેનો સાથ આપવાનો. પણ યક્ષપ્રશ્ન એ છે કે આ વૃક્ષો વાવવાનું વિરાટ કાર્ય કરે કોણ ??? તો સરકાર કે સંસ્થાઓને બાજુ પર મૂકીને આ કાર્ય કરવા માટે જો કોઈએ સોથી સક્ષમ હોય તો તે છે ખેડૂત. ખેડૂતને જગતાત તરીકે આપણે સૌ જાણીએ છીએ. જગતને જીવાડવા માટે અન્ન ઉત્પન્ન કરતો ખેડૂત હવે જગતને જાળવવાની જવાબદારી પણ અદા કરે અને પોતાના ખેતરોમાં લાંબા ગાળા સુધી ટકી રહી પર્યાવરણની જાળવણી કરી શકે તેવા વૃક્ષોનું વાવેતર કરે તો ખરું કામ થાય. પણ કહેવત છે કે, ‘ભૂખ્યા પેટે ભજન ન થાય...’ એ ન્યાયે માત્ર મોટા મોટા વૃક્ષો વાવીને ખેતરની જમીન જો રોકી લેવામાં આવે તો સૌના ભોજનનું શું ? તો તેનો ઈલાજ છે કે ફળઝાડની ખેતી. અહી આપણે વૃક્ષ પર ઉપકાર કરવાની વાત નથી પણ આપણા પોતાના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યના લોભે ફળઝાડનાં વાવેતર કરવાની વાત છે.

ફળઝાડ જ શા માટે ?
૧ – પોષણશાસ્ત્રની દ્રષ્ટીએ દરેક વ્યક્તિએ દરરોજ પોતાના આહારમાં ૮૦ થી ૯૦ ગ્રામ તાજા અને મોસમી ફળ ખાવા જોઈએ.
૨ – ફળમાં ખનીજ, ચરબી, ક્ષાર, કાર્બોહાઈડ્રેટસ, વિટામિન્સ સહિત ભરપૂર તત્વો રૂપી સમતોલ આહાર છે.
૩ – સારી ગુણવત્તા ધરાવતા ફળોની નિકાસ કરવાની ખૂબ જ શક્યતાઓ.
૪ – પુષ્કળ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી હોવાથી બેરોજગારીની સમસ્યા નિવારવામાં સહાયક.
૫ – વિવિધ પ્રકારની મૂલ્યવર્ધિત બનાવટને કારણે લાંબો સમય સંગ્રહ કરી શકાય.
૬ – પડતર કે બિન ઉપજાવ જમીનમાં પણ વાવી શકાય. જેનાથી સમયાંતરે જમીન નવસાધ્ય થાય છે.
૭ – અન્ય કોઈપણ પ્રકારની ખેતી ન થઈ શકે તેવા વિસ્તારોનાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ.
૮ – ફળના વૃક્ષો ફળ આપવાની સાથે સાથે જમીનનું ધોવાણ અટકાવે છે.
૯ – એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન અને વધુ આવક આપવાની ક્ષમતા.

શું ધ્યાન રાખવું ?
જાણીતા બાગાયતકાર ગફારભાઈ કુરેશી જણાવે છે કે, ‘જો ફળપાક વાવતા પહેલા ખેડૂતો થોડા મુદ્દાઓ પ્રત્યે કાળજી રાખે તો સારી આવક રળી શકે છે. જેમકે, વિશ્વાસુ અને જવાબદાર નર્સરીમાંથી જ રોપા કે કલમો ખરીદવી. બાગાયત ખાતાના નિવૃત અધિકારીઓના જ્ઞાનનો ઉપયોગ કરવો તેમજ આ ક્ષેત્રનાં પીઢ વ્યક્તિઓની સલાહ લેવી. ખોટી ઉતાવળ કરીને કે દેખાદેખીથી કોઈ નવા પ્રકારનાં ફળની જાતના વાવેતર પાછળ આંખો મીંચીને પડવાને બદલે લીંબુ અને કેરી જેવા મૂલ્યવર્ધિત થઈ શકે તેમજ લાંબો સમય સુધી સંગ્રહી શકાય તેવા પાકો વાવવાનું વિવેકબુદ્ધિપૂર્વક ભાવિ આયોજન કરવું. કારણ કે થોડા સમય પહેલા એપલ બોરનાં વાવેતરનો વાયરો ચાલ્યો હતો. હવે વિચારો કે જ્યારે આ બધા બોર એકસાથે પાકીને બજારમાં આવે ત્યારે બજારભાવ શું મળે ? હાં, એક વાત ચોક્કસ છે કે, જેમનું ઉત્પાદન ગુણવત્તાસભર હશે એની હરીફાઈમાં કોઈ નહિ હોય.’
 
શું વાવવું ?
જમીન, રોપા, પિયત વ્યવસ્થા, મજૂર, ઉત્પાદનના વેંચાણ કે પરિવહનની વ્યવસ્થા વગેરે મુદ્દાની અનુકૂળતા મુજબ ફળઝાડ વાવી શકાય. જેમકે, આંબો, ચીકુ, કેળ, પપૈયા, લીંબુ, નાળીયેરી, જામફળ, સીતાફળ, બોર, દાડમ, ખારેક, જાંબુ, આમળાં, કાજુ, દ્રાક્ષ, મોસંબી, રાયણ, ફણસ વગેરે. ઉપરાંત જે-તે વિસ્તારમાં પ્રચલિત ફળપાકનું વાવેતર કરવાથી નજીકમાં જ તેનું બજાર ઉપલબ્ધ રહે છે. જેમકે એક સમય હતો જ્યારે દાડમ કે પપૈયા માત્ર બીમારીમાં જ ખવાય તેવો ખ્યાલ પ્રવર્તતો હતો. પરંતુ આજે દાડમ અને પપૈયાનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાથી બજારમાં દાડમ-પપૈયાની હાજરી સારી એવી વધેલી જણાય છે.

છેલ્લે છેલ્લે
ખેડૂત મિત્રો, તમે રોકડિયા પાકોને બદલે માત્ર ફળપાકો જ વાવો તેવો કોઈ જ દુરાગ્રહ નથી, પરંતુ એક નમ્ર અપીલ તો ચોક્કસ કરીશ કે તમારા વાડી-ખેતરનાં એકાદ ભાગમાં અથવા તો કમસે કમ શેઢાપાળા પર પોતાના પરિવાર અને સગાવ્હાલાઓ માટે તેમજ ખેતરમાં કાયમી વસવાટ કરનારા પંખીઓ માટે થોડાક ફળઝાડનું વાવેતર કરો. અને પછી જો જો કે, આ વૃક્ષો તમારા ખેતરને કેવું જીવંત બનાવી દે છે. કારણકે જો વૃક્ષો રહેશે તો આ પૃથ્વી રહેશે, આપણે રહીશું અને તો જ આ બધી સમૃદ્ધીઓને માની શકીશું.

ખેતીનું પ્રથમ અને આવશ્યક કૃષિકાર્ય : જમીનની તૈયારી - ખેડ


ખેતીનું પ્રથમ અને આવશ્યક કૃષિકાર્ય : જમીનની તૈયારી - ખેડ

‘ખેડ, ખાતરને પાણી... ઉપજ લાવે તાણી’ જુના જમાનામાં આ કહેવત કઈ અમસ્તી જ નહિ પડી હોય. આપણા પૂર્વજોએ કોઠાસૂઝના બળે અને આપણી કૃષિ યુનીવર્સીટીઓના વૈજ્ઞાનિકોએ દાયકાઓના વિશદ સંશોધનો ઉપરથી તારણ કાઢ્યું છે કે આ ત્રણેય બાબતનું ખેતીકાર્યમાં સમાન મહત્વ છે. અમુક લોકો તો એમ પણ કહે છે કે ‘સારી અને યોગ્ય રીતે કરેલ ખેડથી ખેતીનું અડધું કામ તો એમ જ પૂરૂ થઇ જાય છે.’ ખેતીની જમીન વ્યવસ્થાપનના કાર્યમાં ઉનાળુ ખેડને સફળતાની ચાવી કહી શકાય છે. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ જમીન, હવા, પાણી અને પાક વચ્ચે જો સુવ્યવસ્થિત સંબંધ હોય તો ખેડૂતોને તેની મહેનતનું અદકેરું પરિણામ મળે છે.
કૃષિ ઉત્પાદનમાં પાકના મુખ્ય અંગ એવા મૂળને વિકસવાનો આધાર અને મોટાભાગનું પોષણની જરૂરીયાતો પૂરી પાડવા માટે જમીન એ મહત્વનું માધ્યમ છે. જમીનના છિદ્રોમાં રહેલ ઓક્સીજન છોડના મૂળ દ્વારા તેની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. વર્ષો સુધી જો આ જમીનને પડતર રાખી મુકવામાં આવે તો તે પથ્થર જેવી નક્કર બની જાય છે. ખેતીકાર્યોમાં ઉપયોગ કરવા માટે આ જમીનને યોગ્ય ખેડ કરીને તપાવવી અત્યંત જરૂરી છે.
ખેડના વિવિધ પ્રકારો હોય છે. જેમકે જમીનના પોત પ્રમાણે કરાતી ઊંડી કે છીછરી ખેડ. વાવેતરના સમય મુજબ કરાતી પ્રાથમિક ખેડ, આંતર ખેડ અને છેલ્લી ખેડ. સંખ્યા મુજબ જોઈએ તો ઓછી ખેડ, અનુકૂળ ખેડ, રીડ્યુસ ખેડ તેમજ વધુ પડતી ખેડ વગેરે કહી શકાય. ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ પડતી ખેડથી થતા નુકશાનને અટકાવવા ખેડૂત પોતાની જમીનના બંધારણ મુજબ જરૂર પુરતી ઊંડાઈ અને આવશ્યક સંખ્યામાં ખેડ કરે તે જરૂરી છે. ખેડ કેટલી કરવી તેનો આધાર જે તે ખેતરમાં અગાઉ કયો પાક વાવેલો હતો અને હવે પાછી કયો પાક વાવવાનો છે તેના પર આધારિત હોય છે.
આપણા મોટાભાગના વિસ્તારોની ખેતી ચોમાસા આધારિત હોવાથી વરસાદ પહેલા ઉનાળામાં જમીનને ખેડીને તૈયાર કરવી ખૂબ જ અગત્યનું કૃષિ કાર્ય છે. બળદથી ચાલતા હળ કે ટ્રેક્ટર સંચાલિત રોટાવેટર જેવા ખેત ઓજારો વડે જમીનને વ્યવસ્થિત રીતે ચાસમાં યોગ્ય ઊંડાઈ સુધી ખોદી, માટીને ઉલટસુલટ પલટાવી, તેને પોચી અને ભરભરી બનાવી રાખવાના કાર્ય એટલે ખેડ. જમીન સંરચના અને તેના બંધારણમાં ખેડ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ખેતરમાં રહેલા આગલા પાકના થડિયા-જડિયા, ડાળી, પાન, અન્ય અવશેષો વગેરે ખેડ કરવાથી જમીનની અંદર દટાઈ જાય છે અને સમયાંતરે તેમાંથી જમીનમાં જરૂરી સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ થતું રહે છે.
બળદથી ચાલતા ચવડાવાળા હળ અથવા ટ્રેક્ટરથી ચાલતા દાંતાવાળા યાંત્રિક હળ વડે ખેડ કરવાથી જમીનમાં અંગ્રેજી ‘વી’ આકારના ઊંડા લીટા થાય છે. જો ફક્ત એક જ દિશામાં સીધી ખેડ કરવામાં આવે તો ચાસમાં બે દાંતા વચ્ચેનો ભાગ ખેડાયા વગરનો રહી જાય છે અને નીકપાળા જેવો આકાર બની જતા જમીનને સમતલ કરવાનો ખર્ચ પણ વધી જાય છે. માટે ખેડ કરતી વખતે ફક્ત એક જ તરફ ખેડવાને બદલે આડી-ઊભી ખેડ કરવી જરૂરી છે. જેથી ખેતરમાં દરેક જગ્યાની માટી ઉપર નીચે થઇ શકે.
ખેડ કરવાથી માટીના મોટા ઢેફાંનું નાના રજકણોમાં રૂપાંતર થાય છે. આ કણો નાના થવાથી છોડના મૂળના વધુ સંપર્કમાં આવે છે. જેથી છોડ તેમાં રહેલા સુક્ષ્મ પોષકતત્વોને વધુ આસાનીથી લઇ શકે છે. એમ પણ કહી શકાય કે ખેડના માધ્યમથી જમીનમાં અપાયેલ ખાતર કે અન્ય તત્વોનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
ખેડને કારણે જમીન પોચી અને ભરભરી બનતા વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે. પાણીનો સંગ્રહ થવાની સાથે જમીનનું ધોવાણ પણ અટકે છે. સારી ખેડથી જમીનની ભેજશોષણ અને ભેજસંગ્રહણ શક્તિ વધવાથી છોડ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી ભેજ અને પોષકતત્વોનો ઉપાડ સારી રીતે કરી શકે છે.
યોગ્ય સમયે આદર્શ ખેડ કરવાથી જમીનની છિદ્રાળુતા વધે છે. જમીનમાં હવાની અવરજવર સારી થવાથી છોડના મૂળને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળે છે અને તેના મૂળની સારી વૃદ્ધિ થાય છે. આમ થતા છોડની ઉત્પાદકતા વધે છે અને છેવટે ઉપજમાં પણ વધારો થાય છે. ખેડના કારણે પોચી થયેલ જમીનમાં સૂરજનો તડકો અને તાપ ઊંડે સુધી પહોંચતા જમીનમાં રહેલા ફૂગ સહિતના ખેતીને નુકશાન કરતા જમીનજન્ય રોગાણુંઓ અને વિષાણુંઓ નષ્ટ થાય છે.
ખેડ કરતી વખતે જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેલા મુંડા, કોશેટા, ઉધઈ, ઈયળ વગેરે જમીનની સપાટી ઉપર આવી જાય છે. ખેડકાર્ય કરતા હળ કે ટ્રેક્ટરની પાછળ પાછળ ફરતા બગલા જેવા પરભક્ષી પંખીઓ જમીનમાંથી નીકળતા આ નુકશાનકારક કીટકોને વીણી-વીણીને ખાઈ જતા હોવાથી ખેડૂતો માટે મફતમાં આગોતરું પાક સંરક્ષણ પણ થઇ જાય છે.
સમયાંતરે ખેડ કરવાથી પાક સાથે જમીન પર અનાવશ્યક ઉગી નીકળતા નિંદામણના અવશેષો અને બીજનો નાશ થાય છે. ઘણી વખત આવા નિંદામણના ખેડની સાથે જમીનમાં ઊંડા જતા રહેવાથી તેણે વિકસવા માટે પુરતા હવા-પાણી ન મળતા સહજ રીતે તેનો નાશ થાય છે.
આપણે વર્ષોથી આપણી જમીનોમાં વિવિધ પ્રકારમાં ખાતરો ઉમેરતા આવ્યા છીએ. આ ખાતરોનો મોટો ભાગ છોડના મૂળના સંપર્કમાં આવ્યા વગર જમીન પર નિષ્ક્રિય અને અલભ્ય અવસ્થામાં પડ્યો રહે છે. મોંઘા ભાવના ખાતરો કે પોષક તત્વોને છોડના મૂળ વિસ્તારમાં મોકલી, છોડને લભ્ય સ્વરૂપમાં લાવવા માટે ખેડ એ અતિ મહત્વનું ખેતી કાર્ય છે.
જેમ દરેક કાર્ય તેના યોગ્ય પ્રમાણમાપ કરતા અતિ વધારે કે અતિ ઓછુ કરવામાં આવે તો પરિણામ યોગ્ય મળતું નથી તે જ રીતે ખેડ પણ જો વધુ પડતી કરવામાં આવે તો નુકશાનથાય છે. જમીનમાં હવાનું પ્રમાણ વધતા જમીનમાં રહેલા સેન્દ્રીય પદાર્થ હવા સાથે ઉડીને વાતાવરણમાં ભળી જાય છે. જમીનમાં સેન્દ્રીય પદાર્થનું પ્રમાણ ઘટતા જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ ધીમી પડે છે. જે છેવટે જમીનની ઉત્પાદકતાને પણ ઘટાડે છે.
વધુ પડતી ખેડ કરવાથી જમીનમાં નાના કણોની સંખ્યા વધે છે. જેથી નાના કણ જમીનમાં નીચે બેસતા જઈને સખત પડ બનાવે છે, જે જમીનની નીતાર શક્તિ અને ઉત્પાદકતા ઘટાડે છે. જમીનની માટીનું વધુ નાના કણોમાં રૂપાંતર થતા જમીનની ઘનતા વધે છે. જેથી છોડના મૂળનો યોગ્ય વિકાસ થતો નથી અને પરિણામે છોડની ઉત્પાદન શક્તિ ઓછી થાય છે. જમીન વિજ્ઞાનીઓના મત મુજબ જમીનની ઘનતા પ્રતિ ઘન સેન્ટીમીટરે ૧.૫૫ ગ્રામથી વધારે હોય તો પાક ઉત્પાદન પર વિપરીત અસર કરે છે.
=====