ગુજરાતમાં સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીની રાહબરીમાં
ખેડૂતપુત્રોને કૃષિ વિષયક જ્ઞાન મળી રહે તે માટે કૃષિ શિક્ષણ સંસ્થા શરૂ કરવામાં
આવેલ. પરંતુ આજે ખાનગીકરણના નામે કેટલીક સંસ્થાઓ કૃષિ શિક્ષણનું પણ વ્યાપારીકરણ
કરી રહી છે. જો આવું જ ચાલતું રહ્યું તો ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી થાય કે ના
થાય પરંતુ શિક્ષણ માફિયાઓની આવક ચોક્કસ અનેકગણી વધી જશે.
નિયમિત અખબાર વાંચવાની ટેવ ધરાવતા લોકોનું પણ ધ્યાન સહજતાથી
ન જાય તે રીતે થોડા દિવસ પહેલા અમુક છાપાઓમાં એક સમાચાર છપાયા હતા, કે ગુજરાતની
આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા ખાતે આવેલ સરકારી કૃષિ યુની.ના વિદ્યાર્થીઓ દ્વારા
ગુજરાતની અમુક ખાનગી યુનીવર્સીટીઓ અને કોલેજોમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી
રહેલ વિવિધ કૃષિ અભ્યાસક્રમોનો વિરોધ થઇ રહ્યો છે.
કૃષિ શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરી રહેલી વિદ્યાર્થી કમિટીના ડો.વિમલ ચૌધરી,
જયવીર સોલંકી, મુકેશ ચૌધરી તથા દર્શન પટેલ સહિતના વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું
હતું કે, રાજય સરકાર સંચાલિત કૃષિ વિશ્વવિદ્યાલયો અને ભારતીય કૃષિ અનુષંધાન પરિષદ
(આઈ.સી.એ.આર.) દિલ્હીની માન્યતા વગર રાજ્યમાં અમદાવાદની રાય યુનિ., રાજકોટની આર.કે.
યુનિ. અને વડોદરાની પારૂલ યુનિ. જેવી ખાનગી શિક્ષણ સંસ્થાઓ છેલ્લા ૫ વર્ષથી ગેરકાયદેસર
રીતે સ્નાતક કક્ષાના કૃષિ અભ્યાસક્રમો ચલાવી
રહી છે.
વિદ્યાર્થી આગેવાન ડો.વિમલ ચૌધરી કહે છે કે આ
ખાનગી યુનિવર્સિટીમાં કૃષિ અભ્યાસક્રમો માટેની આઈ.સી.એ.આર., દિલ્હી તથા કેંદ્ર
સરકારની જોગવાઈ મુજબ નિયમોનું પાલન થતું નથી. ઉક્ત સંસ્થાઓમાં કૃષિ શિક્ષણ અને
સંશોધન માટે અનિવાર્ય ધારાધોરણો જેવા કે લેબ અને વર્ગોની સુવિધા, સંશોધન માટે જરૂરી જમીનની ઉપલબ્ધી તથા નેટ કે
ડોક્ટરેટ જેવી જરૂરી લાયકાત ધરાવતા પ્રાધ્યાપકો વગેરેનો સદંતર અભાવ છે.
હાલ આ ખાનગી સંસ્થાઓમાંથી સ્નાતક થયેલ
વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસ માટે ગુજરાત કૃષિ યુનિ.ઓમાં જોડાવાની પ્રવેશ
પરીક્ષા પર રોક લાગી ગયેલ છે. જેથી તેમનો સમય વેડફાઇ રહ્યો છે અને તેમનું ભવિષ્ય પણ
અદ્ધરતાલ રહેલ છે. બીજા એક વિદ્યાર્થી દર્શન પટેલ ભાવિ આશંકા સાથે કહે છે કે આવી
અમાન્ય અને પાયા વિહોણી યુનિ.ઓમાંથી સ્નાતક થયેલા વિધાર્થીઓ ગુજરાત રાજ્યના
ખેડુતોને કેવું માર્ગદર્શન આપશે અને કઈ રીતે મદદરૂપ થઇ શકશે.
જો કૃષિ શિક્ષણમાં આ રીતે જ ખાનગીકરણ થતું
રહેશે તો હાલમાં ઇજનેરી અને મેડીકલના વિદ્યાર્થીઓ જેવી હાલત કૃષિ અને સંબંધિત
અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પણ થશે અને સમાજમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા વધુ
વકરશે. તેમજ પાયાવિહોણી સવલતો સાથે શિક્ષણ આપતી ખાનગી કૉલેજમાં કૃષિ અને કૃષિ
સંબંધિત અભ્યાસક્રમ ચાલુ રહેશે તો ધોરણ બાર(સાયન્સ)માં ઓછા ગુણ મેળવનાર
વિદ્યાર્થીઓ પૈસાના જોરે ખાનગી કોલેજોમાં બિનલાયક પ્રોફેસર પાસેથી પ્રેક્ટિકલ જ્ઞાન
વગર ભણીને કૃષિ સ્નાતકની ડિગ્રી મેળવી લેશે.
ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી
કૉલેજની મોંઘીદાટ ફી ભરી શકતા નથી. સરકારી કૃષિ યુનિ.ઓમાં શિક્ષણની ગુણવત્તા માટે કડક
કાયદાઓ પ્રવર્તે છે માટે, તેમાં ભણતા વિદ્યાથીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું અને તેમના
પરિણામો અન્ય ખાનગી કૉલેજના વિદ્યાર્થીઓ કરતા એકંદરે નીચા રહેતા જોવા મળે છે. પરિણામે
સરકારી નોકરીઓ કે ઉચ્ચ અભ્યાસની પરિક્ષાઓમાં સરકારી કૃષિ યુનિ.ના હોશિયાર વિદ્યાર્થીઓને
પણ નુકસાન ભોગવવું પડશે.
સરકારી નિયમો અને ધારાધોરણનું યોગ્ય પાલન થતું
ન હોવાથી તા.૬/૯/૨૦૧૬ ના રોજ તત્કાલીન રાજય સરકારે પણ પત્ર પાઠવીને આવી ખાનગી યુનિવર્સિટીને
સદર અભ્યાસક્રમ માટે પરવાનગી મેળવી લેવા તાત્કાલિક ધોરણે સુચના આપેલ તથા તા.૨૭/૧૦/૨૦૧૬ની
અખબારી યાદી દ્વારા વિદ્યાર્થીઓને જે-તે ખાનગી યુનિ.માં પ્રવેશ ન લેવા માટે તાકીદ
કરવામા આવેલ હતી. વિદ્યાર્થીઓએ આવા અનેક પુરાવાઓ સાથે સક્ષમ અધિકારીઓ અને સાંસદોને
રજુઆતો કરી છે.
પોતાના સમકાલીન અને ભાવિ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય
તેવા હેતુથી રાજ્યની ચારેય સરકારી કૃષિ યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં મોઢા
પર કાળી પટ્ટી બાંધીને, પ્લેકાર્ડ અને પોસ્ટરો બનાવીને તથા ‘જય જવાન- જય કિશાન’ના
સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને ધરણા પ્રદર્શન દ્વારા કૃષિ શિક્ષણના ખાનગીકરણનો ગાંધી
ચિંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યાં છે. નવનિર્માણ આંદોલનની યાદ અપાવતી તેમની આ ચળવળ કેવો
રંગ લાવશે તે તો આવનાર સમય જ કહેશે.