Thursday, 26 April 2018

શરતી સંબંધ !!

બે વડીલો કનુભાઈ અને મનુભાઈ એક બગીચામાં બેઠા બેઠા વાતો કરતા હતા.
કનુભાઈ   :  મારી પૌત્રી મહેકને તો તમે જોઈ જ છે. તેનું ભણવાનું હવે પૂરું થઇ ગયું છે. તમારા ધ્યાનમાં તેના લાયક કોઈ છોકરો હોય તો મને કહેજો.
મનુભાઈ  :  ભલે ભલે, પણ તમારી અને મહેકની પસંદ કેવી છે ? તમારે કેવા વેવાઈ જોઈએ છે ?
કનુભાઈ   :  આમ તો કઈ ખાસ નહીં. બસ છોકરો એન્જીનીયર કે ડોક્ટર હોય એટલે ચાલે. બાકી તો સ્વતંત્ર મકાન, કાર અને મહીને એકાદ લાખની આવક હોય એટલે બહુ થયું.
મનુભાઈ  :  બસ આટલું જ ! ...કે બીજું કઈ ?
કનુભાઈ   :  અને હાં... સૌથી જરૂરી વાત કે લગ્ન પછી તેણે અલગ રહેવું ફરજીયાત છે. કારણ કે, મા-બાપ અથવા ભાઈ-બહેન સાથે રહેવાનું થાય તો લડાઈ-ઝઘડાની પળોજણ ઊભી જ રહે અને અમારી ફૂલની જેમ ઉછેરેલ દીકરીએ કાયમને માટે સહન કરવું પડે અને એ બધાના ઢસરડા જ કરવા પડે.
મનુભાઈની આંખો ભરાઈ આવી. આંખ અને ચશ્માં લૂછતાં લૂછતાં, કશુંક યાદ કરતા હોય તેમ થોડીવાર મૌન બની ઉંચે જોઈ રહ્યાં.
મનુભાઈ  :  એક ઠેકાણું છે કનુભાઈ. મારા એક સ્વર્ગવાસી મિત્રનો પૌત્ર છે રણવીર. એકદમ ફિલ્મી હીરો જેવો. એના માં-બાપ વર્ષો પહેલા એક માર્ગ અકસ્માતમાં ગુજરી ગયેલા. ઘરમાં ભાઈ-બહેન કે બીજું કોઈ નથી. એકાદ મહિના પહેલા તેના દાદા એટલે કે મારા મિત્રનું પણ અવસાન થયું. તે વખતે હું તેના ઘેર ચારેક દિવસ રોકાયેલો. ત્યારે ખબર પડી કે તે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી નોકરી કરે છે. હાલ દોઢ લાખ પગાર છે પણ ત્રણેક મહિનામાં બે-સવા બે લાખ થઇ જશે. પોશ એરિયામાં નોકર-ચાકરથી ભરેલો મોટો બંગલો અને ત્રણેક ગાડી છે. મારા પર બહુ ભાવ અને વિશ્વાસ હોવાથી રણવીરે મને કહ્યું હતું કે હવે દાદા તો રહ્યા નહિ એટલે મારા લાયક કોઈ પાત્ર હોય તો તમે જ ધ્યાને રાખજો.
કનુભાઈ તો એકદમ હરખમાં આવી પોતાની પૌત્રી પેલા યુવાનના બંગલામાં રાજ કરતી હોવાના દીવાસ્વપ્ન જોવા લાગ્યા.
કનુભાઈ   :  અરે મનુભાઈ, આતો ઈશ્વરે અનુકૂળ બનાવેલ સંબંધ કહેવાય. હવે અમારી મહેકનો સબંધ રણવીર સાથે પાક્કો કરાવવાની જવાબદારી તમારી હો...!!
મનુભાઈ  :  અરે એમ ઉતાવળા ન થાવ કનુભાઈ. રણવીરે પણ એક શરત મૂકી છે. એ ઈચ્છે છે કે લગ્ન બાદ છોકરીએ પોતાના સગા-સબંધીઓ સાથે તમામ વ્યવહાર તોડી નાંખવા પડશે ! એમના જીવનમાં કોઈની દાખલ ના જોઈએ.
કનુભાઇ   :  અરે પણ એવું ક્યાંથી બને ? કોઈ પોતાની દીકરી સાથેનો વ્યવહાર કેમ તોડી શકે ? કઈંક રસ્તો શોધો ને...!
મનુભાઈ :  હા, એક કામ કરો થાય. જો તમારો આખો પરિવાર આત્મહત્યા કરી લો, તો મહેકનું રણવીર સાથે ગોઠવાય એમ છે.
કનુભાઈ   : મનુભાઈ, આ શું બકવાસ કરો છો ? એમાં મારો પરિવાર શું કામે આત્મહત્યા કરે ? ન કરે નારાયણ અને જો કાલે ઉઠીને અમારી દીકરીને કઈ તકલીફ પડી તો એની સાથે કોણ ઊભું રહેશે ?
મનુભાઈ  :  વાહ કનુભાઈ વાહ ! ખુદનો પરિવાર એ પરિવાર અને બીજાનો પરિવાર કઈ નહીં ? લગ્ન પછી દૂર થઇ જતા સંતાનોની વેદના કન્યાના પરિવારની જેમ વરના પરિવાર માટે પણ અસહ્ય જ હોય હો...!  
મિત્રો, પરિવાર કે સ્વજનો થકી જ જીવનમાં ખુશી છે. માટે પહેલા પોતાના સંતાનોને પરિવારનું મહત્વ સમજાવો. એને પરિવારથી દૂર ન કરો. જો કોઈ સાથ દેવા વાળું નહીં હોય તો એ લોકો સુખ-દુ:ખનું મહત્વ જ ભૂલી જશે અને તેમની જિંદગી સાવ નીરસ બની જશે. માટે ભવિષ્યમાં આપણા દ્વારા કોઈનો પરિવાર તૂટે કે દૂર થાય તેવું ક્યારેય ન બને તે ખાસ જોવું રહ્યું.
---------------------------------
:: અનમોલ વચન ::
જે પરિવારમાં મઘુર સંવાદ, સંતોષકારક ભોજન,
અતિથિ સત્કાર તેમજ વડીલોની સેવા થાય છે...
ત્યાં સદાકાળ લક્ષ્મીનો નિવાસ થાય છે !!!

Saturday, 7 April 2018

શ્રદ્ધા રાખ !!


પોતાના ગામથી દૂર એક મોટા શહેરમાં રહી નોકરી કરતા દીપકનો આજનો દિવસ બહુ ખરાબ ગયો. રાત્રે ઘેર આવી તેણે ભગવાન સામે ફરિયાદ કરતા કહ્યું, 
‘હે કૃષ્ણ, આજે હું ખૂબ ગુસ્સામાં છું. મારે તને એક સવાલ પૂછવો છે.’ 
દરેકના અંતરાત્મામાં બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણે પ્રત્યુત્તર આપતા કહ્યું, ‘ચોક્કસ પૂછ, વત્સ.’
દીપક  : ‘તને ખબર છે ? તારે લીધે આજે મારો આખો દિવસ ખરાબ ગયો. તે મારી સાથે આવું કેમ કર્યું ?’
શ્રીકૃષ્ણ :  ‘અરે પણ થયું છે શું ? એ તો કહે !’
દીપક   : ‘સવારે સમયસર એલાર્મ વાગ્યો નહી, જેથી ઊઠવામાં મને મોડું થયું...’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘એક તો મોડું થતું હતું એમાં પાછી બાઈક બગડી ગઈ, માંડ-માંડ બસ મળી.’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘ઉતાવળમાં ટીફીન લેતા ભુલાઈ ગયું અને ઓફિસની કૅન્ટીન પણ બંધ... ખાલી એક વખત ચા મળી અને એ પણ બેકાર !!’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘મને એક મોટું કામ મળવાનું હતું પણ ચાલુ વાતમાં હાથમાંથી ફોન પડ્યો... ડિસ્પ્લે તૂટી... અને ફોન કપાઈ ગયો.’
શ્રીકૃષ્ણ :  ‘અચ્છા પછી...’
દીપક   : ‘આ બધાથી કંટાળીને વિચાર્યું કે જલદીથી રૂમ પર પહોંચી, એ.સી. ચાલુ કરી, સૂઈ જાઉં. પણ અહી પહોંચ્યો તો લાઇટ જતી રહી. હે કાળિયા ઠાકર, આવી બધી તકલીફ મને જ શા માટે? તે મારી સાથે આવું કેમ કર્યું ?’
શ્રીકૃષ્ણ :  ‘જો મારી વાત શાંતિથી સંભાળ બેટા, આજે તારા પર બહુ મોટી ઘાત હતી. પરંતુ તારા માતા - પિતાના સુકૃત્યોને લીધે મેં વિવિધ પ્રકારે તેને ટાળી દીધી.’
દીપક   : ‘શું વાત કરો છો, પ્રભુ...!!! ખરેખર ???’
શ્રીકૃષ્ણ : ‘હાં...પુત્ર, જો તું વહેલો ઉઠેત તો પાડોશમાં થયેલ ઝઘડાને ઉડતો લેવાનો હતો તેથી મેં જ તારો એલાર્મ સાઈલંટ કર્યો. ઍક્સિડન્ટ થવાનો યોગ હતો એટલે મેં જ તારી બાઈક બગાડી. કૅન્ટીનનું ખાવાથી તને ફૂડ-પૉઇઝન થવાનું હતું. મોટાં કામની લાલચ આપનારે તને ગોટાળામાં ફસાવવાની પૂરી તૈયારી કરી હતી એટલે મેં જ તારા ફોન પછાડીને બંધ કરી દીધો. અને હાં... સાંજે તારા રૂમ પર શૉર્ટસર્કિટથી આગ લાગવાની હતી. જો તું એ.સી. ચાલુ કરી સુઈ ગયો હોત તો તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી હતી. બેટા, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’
દીપક   : ‘હે પ્રભુ, મારી ભૂલ થઈ, પ્લીઝ, મને માફ કરો. હવે હું આજ પછી ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરું.’
શ્રીકૃષ્ણ :  ‘એમાં માફી માગવાની કોઈ જરૂર નથી. પરંતુ હંમેશા વિશ્વાસ રાખજે કે હું જે કઈ કરીશ તે તારા ભલા માટે જ હશે. વર્તમાન જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય તેનાથી તાત્કાલિક પ્રભાવિત ન થવું. તેની સાચી અસર તને લાંબાગાળે સમજાશે. મારા કાર્ય પર શંકા ન કર. જીવનનો ભાર પોતાના માથે લઈને ફરવાને બદલે શ્રદ્ધાપૂર્વક મારા ખભે મૂકી દે.’
આટલું કહી ભગવાન શ્રીકૃષ્ણે વાંસળીના સૂર છેડ્યા અને દીપક જાણે કે તેમના ખોળામાં માથું મૂકીને આરામથી સુઈ ગયો.
---------------------------------
:: અનમોલ વચન ::
ભગવાનનો પાડ માનો કે
આપણે જે અનુમાનો બાંધીએ છીએ...
તે બધાં સાચાં નથી પડતાં !

કોણ છે જગતાત ?


મિત્રો, આપણે ત્યાં પુરાણકાળથી કૃષિકાર - ખેડૂતને ‘જગતાત’નો દરજ્જો આપવામાં આવ્યો છે. ગમે તેવા વિપરીત વાતાવરણ અને કુદરતની મહેરબાનીમાં આવતી ભરતીઓટની વચ્ચે ઝઝૂમીને પણ જગતની માનવ વસ્તીને જીવાડવા માટે અન્ન અને ખાદ્ય સામગ્રી ઉપજાવતા ખેડૂતને જગતાત ન કહીએ તો બીજા કોને કહેવાય ? દિવસ ઉગતાની સાથે દરરોજ નવી નવી અગણિત તકલીફો અને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરીને પણ હસતા મોઢે વિશ્વ પરિવારના પોષણ માટે મહેનત કરતા ખેડૂત માટે મારા મતે આ ‘જગતાત’ શબ્દ પણ કદાચ નાનો કે સીમીત કહેવાય.
જેમ એક માતા પોતાના બાળકને સંસ્કારી જીવન જીવવાના ગુણ પોતાના દૂધની સાથે પાય છે, તેવી જ વિશ્વને ખાવા માટે અનાજ ઉગાડીને આપનાર ખેડૂત ‘જગતનો પિતા’ જ છે. કેમકે, જો ખેડૂત અનાજ કે અન્ય ખાદ્ય સામગ્રી ન ઉગાડતો હોત તો વિશ્વની વસ્તી પોતાનું જીવન ટકાવી રાખવા માટે આજે પણ જંગલી જાનવરની જેમ નર્યો માંસાહાર જ કરતી હોત. માણસજાતને પાશવી જીવન જીવવાથી બચાવનાર, સુસંસ્કૃત અને સભ્ય સમાજની રચના કરનાર ખેડૂત પણ બ્રહ્માંડ રચયિતા બ્રહ્માજી જેટલો જ પૂજન - આદરનો અધિકારી છે.
મિત્રો, જે લોકોએ શ્રીમદભાગવતજીનું અધ્યયન કે શ્રવણ કર્યું હશે તેઓને ચોક્કસ ખ્યાલ હશે કે સમસ્ત સંસારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર જગતપિતા બ્રહ્માજી પણ એક સમયે મોહિત થઈને અજ્ઞાની જેવું આચરણ કરવા લાગ્યા હતા. જોનારને તો એમ જ લાગે કે આને કઈ જગતના રચયિતા કે વિશ્વપિતા થોડા કહેવાય ? બસ એજ રીતે આજે પૃથ્વી પર હાલતો ચાલતો ‘જગતાત’ ક્યાંક ભાન ભૂલ્યો હોય તેવું લાગે છે. આપને થશે કે આ વળી શું ? ખેડૂત પ્રત્યે તંત્રીના વિચારો સાવ અચાનક જ કેમ બદલાઈ ગયા !! ...પરંતુ ખરી વાત એ પણ છે કે આજે ખેડૂત પોતાની ‘જગતાત’ની ગરિમાથી દૂર ધકેલાય રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આપણો આ જગતાત જે પોતાને ‘ધરતીપુત્ર’ તરીકે ઓળખાવે છે તેણે પોતાની ‘માં’ એટલે કે ધરતીના શરીરની ચામડીને બિનજરૂરી, આડેધડ અને સતત ઝેરી રસાયણો નાખે રાખી સાવ કરમાવી દીધી છે. એમાં પણ ઓછુ હોય તેમ તેના શરીર પર ચારણીની જેમ ઊંડે સુધી કાણાં પાડી દઈ છેક કાળજામાંથી રસકસ ચૂસી લેવામાં કઈ બાકી રાખ્યું હોય તેમ લાગતું નથી. પરંતુ એક માં ની જેમ ધરતી આ બધું સહન કર્યે જાય છે. પરંતુ હદ તો ત્યારે થાય છે જયારે એ ‘જગતાત’ (!) પોતાની માતાને ગરજ પતે કે તરત જીવતી સળગાવી દે છે. હાં, હાં, ખરું જ કહું છું. ઉપજ લણી લીધા બાદ પાકના વધેલા અવશેષોને ખેતરમાં જ ઉભા સળગાવી દેતા કેટલાય ખેડૂતોને આપે પણ પોતાની આસપાસ ચોક્કસ જોયા હશે.
મિત્રો, આપ મહેરબાની કરીને આવો ગજબ ન કરશો. અને જે આમ કરતા હોય તેમને વારવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. મહિનાઓની તનતોડ મહેનત બાદ તૈયાર થયેલ પાકમાંથી ઉત્પાદન લઇ લીધા બાદ જે અવશેષો વધ્યા હોય છે, તેના નિર્માણ માટે પણ સમાન પોષક તત્વોનો જ ઉપયોગ થયો હોય છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે એક કૃષિમેળાના ઉદઘાટન સમારોહ વડાપ્રધાન મોદીજીએ પણ આ મુદ્દે હૃદયસ્પર્શી સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ પાકના વધેલા અવશેષોને બાળવાને બદલે તેમાંથી મૂલ્યવાન ખાતર બનાવવાની વાત સમજાવી હતી.
છેલ્લે એક જાણીતી કહેવત ‘જાગ્યા ત્યારથી સવાર...’ એ મુજબ ફરીથી બ્રહ્માજીની જેમ અજ્ઞાનનું આવરણ હટાવીને પોતાના અસલી ‘જગતાત’ સ્વરૂપને ધારણ કરી, આવો... આપણ આપણા વ્હાલા રાષ્ટ્રને સમૃદ્ધ ખેતી દ્વારા હરિયાળા વિકાસના માર્ગે લઇ જઈએ. લોકપર્વ અખાત્રીજ (૧૮ એપ્રિલ)ની શુભકામનાઓ સાથે...
આપનો,
નરેન્દ્ર વાઘેલા

ભણતરનો ભાર

છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં ખાનગી શાળાઓની ફી બાબતે ચર્ચા ચગડોળે ચડી છે. ત્યારે શિક્ષણ અંગે એક રમૂજી પરંતુ હૃદયને ચોટ પહોંચાડે તેવી એક જૂની વાત યાદ આવી. ગામનું નામ કઇપણ રાખી લો. એક અંતરિયાળ નાનકડાં ગામડાં ગામની ધર્મશાળાના બે મોટા ઓરડામાં ચાલતી આખી સરકારી નિશાળમાં મોટેભાગે ખેડૂત અને ખેતમજૂર પરિવારના બાળકો ભણે. સ્વાભાવિક રીતે જ આ બાળકો ભણવા કરતા ખેતીકામ અને ઘરકામમાં વધુ રોકાયેલા રહેતા. શાળામાં તેમની ‘ગેરહાજરી’ અને ‘ઘેરહાજરી’ વધારે રહેતી. તેથી શિક્ષકોનું વધુ પડતું ધ્યાન પણ તેઓને ભણાવવાને બદલે વધારેમાં વધારે બાળકો નિયમિત શાળાએ આવતા થાય તેમાં રહેતું. બાળકો અને વર્ગખંડોની સંખ્યા ઓછી હોવાના કારણે બધાજ ધોરણના જેટલા બાળકો હાજર હોય તેઓને એક સાથે બેસાડીને ભણાવવામાં આવતા.
ખરી વાત હવે શરૂ થાય છે. એક વખત બન્યું એવું કે નિયમ મુજબ શાળાકિય તપાસ માટે જીલ્લા મથકેથી ઓચિંતા એક સરકારી નિરિક્ષક આપણી આ શાળામાં આવ્યા. જ્યારે તેઓ વર્ગખંડ પાસે પહોંચ્યા ત્યારે માસ્તર ઈતિહાસનો તાસ લઇ રહ્યા હતા. પરંતુ દ્રશ્ય જોતા શિક્ષક કે વિદ્યાર્થીઓને તેમાં રસ હોય તેવું લાગતું નહોતું. કેમકે કોઈપણ વિદ્યાર્થીનું ધ્યાન શિક્ષક તરફ કે પોતાની ચોપડીમાં નહોતું. અમુક બાળકો ઝોકે ચડ્યા હતા, ચાર-પાંચ તોફાની બાળકો અંદરોઅંદર લડી રહ્યા હતા, તો વળી અમુક બાળકોનું ધ્યાન બારી બહારની દુનિયાને જોવામાં હતું. માસ્તર પણ છોકરાઓની ધમાલને નજરઅંદાજ કરી સાવ રસ વગર ચોપડીમાં લખેલ પાઠ પોપટની જેમ બોલ્યે જતા હતા.
થોડીવાર સુધી બહાર ઉભા રહીને આ અદભુત નઝારો જોયા બાદ, નિરિક્ષક સાહેબ વર્ગખંડમાં પ્રગટ થયા. માસ્તરના હાથમાંથી પુસ્તક લઈને થોડીવાર પહેલા શિક્ષકે ભણાવેલ પાઠમાંથી એક પ્રશ્ન પૂછ્યો : ‘ચાલો, કહો જોઈએ કે શિવનું ધનુષ્ય કોણે તોડ્યું ?’
સૌથી આગળ બેઠેલ એક ગોળમટોળ વિદ્યાર્થીએ ઉભા થઈને કહ્યું, ‘સાહેબ, શાળામાં ગમે ઈ તૂટે-ફૂટે તો મારું જ નામ આવે છે. પણ સાચું કહું છું કે તમે જે કહો છો ઈ ધનુષ્ય મેં નથી તોડ્યું.’ ત્યાં તો સહુથી છેલ્લે ઊંઘરેટી અવસ્થામાં બેઠેલ એક દુબળો પાતળો વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો, ‘સાહેબ, હું તો માંદો હતો અને એક મહિનાથી નિશાળે આવ્યો નહોતો. મારાથી આ દફતર પણ નથી ઊંચકાતું તો ધનુષ તો કેમ તોડું...?’
ગુસ્સો દબાવતા નિરીક્ષકે માસ્તરની સામે જોયું. માસ્તરે તો તરત જ મેજ પર પડેલ સોટી પકડી, હવામાં વીંઝતા કહ્યું, ‘જેણે પણ ધનુષ તોડ્યું હોય ઈ જલ્દી કબૂલ કરી લ્યે. નહીતર આ સોટીથી બધાયને ઝૂડી નાખીશ.’ આ સાંભળી બાળકોમાં દેકારો મચી ગયો. દરમિયાન આચાર્યને જાણ થતા તેઓ પણ વર્ગખંડમાં દોડી આવ્યા. નિરિક્ષકે ગુસ્સે થઈને બધી વાત કરી. આચાર્ય સાહેબે વાતને ઠંડી પાડતા કહ્યું કે, ‘અરે સાહેબ, તમે ક્યાં આવી નાની નાની વાતમાં માથું મારો છો. હું હમણાં જ ગામના સરપંચને કહીને નુકસાનની ભરપાઈ કરાવું છું.’
થોડીવારમાં ગામના સરપંચ પણ આવ્યા. નિરિક્ષક સાહેબ સામે હાથ જોડી કહ્યું કે, ‘સાહેબ, જવા દ્યોને... ગામના છોકરાઓમાંથી કોઈએ તોડ્યું હોય કે નો તોડ્યું હોય. પણ તમે આમ નારાજ થાવ તો ગામની આબરૂ જાય. લ્યો, આ ગામ લોકો તરફથી ફાળો રાખો. તેમાંથી તમારી જાતે જ સારું જોઇને નવું ધનુષ લઇ લેજો.’ પણ પછી હળવેથી ઉમેર્યું કે, ‘ધનુષ ખરીદતા જે કઈ બચી જાય તેમાંથી તમારા ઘર માટે મીઠાઈ લેતા જજો. હાલો હવે પંચાયતમાં બેસો. ચા-પાણી-નાસ્તો આવતા જ હશે.’
મિત્રો, વાત જૂની છે, પરંતુ શિક્ષણતંત્ર અને વહીવટતંત્ર આજે પણ લગભગ આમ જ ચાલે છે. અમુક અપવાદરૂપ શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓને બાદ કરતા બાકી મોટે ભાગે વધતી ‘ફી’ ની સાથોસાથ ભણતરનો ભાર પણ વધી રહ્યો છે.
---------------------------------
:: અનમોલ વચન ::
આપણા અડધા દુઃખ ખોટા લોકો પાસે આશા રાખવાથી અને
બાકીના અડધા સાચા લોકો પર શંકા રાખવાથી ઉપજતા હોય છે !

મહિલા દિન કે દીન...?

મિત્રો, "માં ભગવતીના સાક્ષાત સ્વરૂપ સમાન નારીશક્તિનો ઉદ્ધાર થયા વિના તમારો ઉદ્ધાર થશે એમ જો તમે માનતા હોવ તો તમે ભુલો છો". આ શબ્દો છે મારા ઓલટાઈમ ફેવરીટ સ્વામી વિવેકાનંદના... તેમનું આ સૂત્ર એટલે સ્મરણમાં આવ્યું કે આ માર્ચ મહિનાના આઠમાં દિવસે આખું વિશ્વ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઊજવણી કરશે. એક દિવસ તમામ જગ્યાએ નારીશક્તિના વખાણ અને ગુણગાન કરવામાં આવશે. પરંતુ બીજા દિવસથી જૈસે થે. સ્ત્રીઓ સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે જે રીતે સંઘર્ષ કરે છે તે અનન્ય હોય છે.
ચીનના તત્કાલીન પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ મેડમ સુન-યાત-સેનની ભારત મુલાકાત વખતે તેણીને આવકારતા આપણા રાષ્ટ્રપતિ અને હિંદુ ધર્મના પ્રકાંડ પંડિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું કે, ‘નારીશક્તિને પૂજતા ભારતમાં આપનું સ્વાગત છે. જગતભરમાં માત્ર ભારતીય વિચારધારા જ એવી છે કે જ્યાં પરાપૂર્વથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ તથા તેની સાધના માટે સ્ત્રી અને પુરુષ સમાન ભાગીદાર ગણાયા છે. પરંતુ જયારે ગૃહ સંચાલનની વાત આવે ત્યારે અહિયાં સ્ત્રીને ગૃહિણી એટલે કે ઘરની ઉપરી અથવા હેડ કહેવામાં આવે છે. સમાજ વહેવાર કરતી સ્ત્રીને સચિવએટલે ડાહી સલાહકાર અને પુરૂષની સાથેના પરસ્પર સંબંધ માટે સ્ત્રીને સખીએટલે સારી મિત્ર કહી છે.’
મિત્રો, આ થઇ વૈચારિક ઉન્નત મનુષ્યોની વાત. પરંતુ આપ એવા અનેક નિમ્ન માનસિક કક્ષાના પુરૂષપાત્રોને જાણતા-ઓળખાતા હશો કે જે આજે ૨૧મી સદીમાં પણ સ્ત્રીઓને ગમાર સમજી, દબાવી રાખવામાં પોતાના પૌરૂષત્વ ગૌરવ સમજે છે. પરંતુ જેમ સુરજ ઉગે ત્યારે તેને આગિયાના પ્રમાણપત્રની જરૂર રહેતી નથી તેમ સ્ત્રી શક્તિને પણ કોઈ પ્રસંશાપત્રોની જરૂર નથી. વર્તમાન સમયમાં અવકાશ સંશોધન હોય કે રમતગમત... તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી ચુકી છે અથવા તો એમ કહો કે આજે એવું કોઈ ક્ષેત્ર જ નથી કે જ્યાં મહીલાઓએ પોતાની સબળ ઉપસ્થિતિ રજૂ ના કરી હોય !
આપે એક શાસ્ત્રકથન ઘણી વખત સાંભળ્યું હશે કે, ‘સોળ વર્ષ પછી પુત્રને મિત્રવત ગણી તેની સાથે વ્યવહાર કરવો.’ પરંતુ જેમાંથી આ લેવામાં આવ્યું છે તે શુક્રનીતિના ત્રીજા અધ્યાયના આ જ શ્ર્લોકમાં આગળનું પદ શું આપણે ક્યારેય વાંચ્યું-સંભાળ્યું છે ? તેમાં સ્પષ્ટ લખ્યું છે: ‘‘ષોડશાબ્દાત્પરંપુત્રમ દ્વાદશાબ્દાત્પરં સ્ત્રિયં...’ અર્થાત ‘પુત્રને સોળ વર્ષ પછી મિત્રવત ગણી વ્યવહાર કરવો પરંતુ બાર વર્ષની વય પછી કોઈપણ સ્ત્રીને દુષ્ટ વાક્ય કહીને ટોકવી નહીં કે પીડવી નહીં...!’

મિત્રો, આ માસમાં ભારતીય સંસ્કૃતિ જેનાથી પ્રભાવિત છે તેવા અનેક પર્વો-તહેવારો આવી રહ્યા છે. જેમ કે લોકપર્વ ગુડી પડવો (૧૮ માર્ચ), શ્રીરામનવમી અને શ્રીસ્વામીનારાયણ જયંતી (૨૫ માર્ચ), શ્રીમહાવીર જયંતી (૨૯ માર્ચ) અને શ્રીહનુમાન જયંતી (૩૧ માર્ચ) વગેરે. આપ સહુને આ તહેવારોની શુભકામનાઓ સાથે ચાલો, નારીશક્તિના આશીર્વાદથી રાષ્ટ્રને સમૃદ્ધ ખેતીના માર્ગે હરિયાળા વિકાસ તરફ લઇ જઈએ...
આપનો,
નરેન્દ્ર વાઘેલા