Saturday, 3 February 2018

પાણીનું રેશનીંગ

મિત્રો, ગયા અઠવાડિયે એક સમાચાર મળ્યા હતા કે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર - નર્મદા ડેમ સહીત રાજ્યના મોટાભાગના જળસ્રોતો ખાલી થવાને આરે છે. ખેડૂતોમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે કે આ વર્ષે ઉનાળુ વાવેતર માટે સરકાર તરફથી પાણી મળવાની કોઈ આશા રાખી શકાય તેમ નથી. કારણ કે હજુ તો શિયાળો પૂરો ઉતાર્યો નથી ત્યાં આગળ કહ્યું તેમ રાજ્યના જલભંડારોના તળીયા દેખાવા લાગ્યા છે. આ સમસ્યા પર ચોરે-ચૌટે અને મીડિયામાં ચર્ચાઓ થવા લાગી છે.

બધા જાણે જ છે કે પાણી ક્યાંય ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. પાણી મેળવવા તમામ સજીવો નદી-તળાવ, ભૂગર્ભજળ અને વરસાદ પર જ આશ્રિત છે. માનવીય ભૂલોના કારણે જાગેલા ‘ગ્લોબલ વોર્મિંગ’ નામના રાક્ષસે વરસાદને અનિયમિત કરી દીધો છે. નદી-તળાવોને પણ આપણે જાતે જ બગાડી કે પૂરી દીધા છે. અને રહી વાત ભૂગર્ભજળની...તો એ પાણીને તો ક્યારનુંય ચૂસી-ચૂસીને ઊંડા તળમાં મોકલી દીધું છે. ‘આરંભે શૂરા’ તરીકે ઓળખાતા આપણે ગુજરાતીઓએ ચેક ડેમનું તો નામ પણ કદાચ વિસારી દીધું છે. તો પછી તેની સારસંભાળ કે નવા આયોજનની વાત જ ક્યાંથી થાય.

મિત્રો, મને યાદ છે પચ્ચીસ વર્ષ પહેલા પીવા માટે જરૂરીયાત કરતા વધારે ભરેલો પાણીનો પ્યાલો પણ વડીલો દ્વારા ઠપકો અપાવી જતો. કારણકે બે-ત્રણ કિલોમીટર દૂર આવેલ ‘ડંકી’ એથી રેશનીંગ પદ્ધતિએ આણેલ પાણીનું એક ટીંપુ પણ બગડે તે પોસાય તેમ નહોતું. જ્યારે આજે અણધડ અને ભ્રષ્ટ વહીવટના ભારથી વારંવાર તુટતી કેનાલો તેની આસપાસના ખેતરોમાં ઉભા પાકની સાથે ખેડૂતોના ભવિષ્યને ડૂબાડી દે છે. સેંકડો કિલોમીટર દૂરથી કરોડોના ખર્ચે લાવવામાં આવતા આ લાખો લીટર પાણીનો વેડફાટ કોના ખાતે માંડીશું?

ઉપાય એક જ છે કે પાણીનો ધન સમજીને ઉપયોગ કરીએ બસ. આપણી નહીતો આપણા સંતાનોની આવતીકાલ માટે પાણીની બચત કે કરકસર કરીએ. ઉદારતા અને ઉડાઉપણાનો ફરક સમજીએ. ઘરવપરાશમાં છૂટથી ‘ઢોળતું’ પાણી, ખેતરોમાં અપાતું ‘રેળ પિયત’નું પાણી, નળ-પાઈપમાંથી ‘લીકેજ’ થતું પાણી વગેરેને જો અટકાવવાનો પ્રયત્ન કરીશું તો ‘કંઇક’ પરિણામ ચોક્કસ આવશે. માત્ર વાતો કરવાથી કશું વળવાનું નથી.

મિત્રો, આગામી ૧૩ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વ આવી રહ્યું છે ત્યારે, સ્વર્ગથી અવતરેલી ગંગાના પ્રવાહને પોતાની જટામાં સાચવી લઇ, જરૂર મુજબ પ્રવાહિત કરનાર ભગવાન શિવની કૃપાથી આપણા દેશમાં ‘જલજાગૃતિ’ આવે તેવી શુભકામનાઓ સાથે...

No comments:

Post a Comment