મિત્રો, થોડા સમય પહેલા મને તક મળી આપણા મહાકવિ કાલિદાસે લખેલ સૌપ્રથમ નાટક ‘માલવિકાગ્નિમિત્રમ’ વાંચવાની. આ નાટકમાં ઈસવીસન
પૂર્વે દોઢસો-બસ્સો વર્ષ અગાઉની એટલે કે આજથી લગભગ બાવીસ સૈકા પહેલાની એક વાત
નાટકરૂપે વણી લેવામાં આવેલ છે. જેમાં માલવદેશની રાજકુમારી માલવિકા અને વિદિશા
રાજ્યના રાજકુમાર અગ્નિમિત્રની શૃંગાર રસથી ભરપૂર પ્રણયની કથા કહેવામાં આવેલ છે.
આપને થશે કે ખેતીવાડીના સામાયિકમાં શૃંગાર કથાની વાત ?? પરંતુ મારે વાત કરવી છે આ
નાટકની શરૂઆતમાં સુત્રધાર દ્વારા કહેવામાં આવેલ નીતિવાક્યની. સુત્રધાર કહે છે :
पुराणमित्येव
न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम़्।
सन्त:
परीक्ष्यान्यतरद्भजन्ते मूढ: परप्रत्ययनेयबुद्धि:॥
અર્થાત્... ‘‘જે પ્રાચીન હોય તે બધું જ સારું અને
ગ્રાહ્ય જ હોય એવું નથી. તેમજ જે આધુનિક છે તે બધું જ ખરાબ અને ત્યાજ્ય હોય એવું
પણ નથી ! પરંતુ વિવેકી પુરુષો પૂરેપૂરી કસોટી કર્યા પછી જ તેનો સ્વીકાર કરે છે.
જ્યારે મૂર્ખ મનુષ્ય, બીજાનું કહ્યું સાંભળીને કોઈ વાત-વસ્તુનો સ્વીકાર કે
અસ્વીકાર કરે છે.’’
કેટલી સટીક વાત... આજના સંજોગોમાં ખેડૂત, ખેતી, કૃષિ
સંબંધિત વેપાર કે પછી જીવનના દરેક તબક્કાના સંદર્ભમાં આ વાત કેટલા અંશે લાગુ પડે
છે, તે આપ જાતે જ નક્કી કરી લો. ઘણી વખત આપણે આપણા ભવ્ય ભૂતકાળને વાગોળવામાં રહ્યા
હોઈએ ત્યાં સુધીમાં નવીન તક હાથમાંથી જતી રહે છે. કેટલીક વખત એવું પણ બને છે કે
આધુનીકતા અપનાવવાના ચક્કરમાં જે કઈ હાથમાં હોય તે પણ ખોવું પડે છે. એટલે જ તો
વિદ્વાનો દરેક કાર્યને શુદ્ધ બુદ્ધિથી વિવેકની એરણ પર ચડાવીને પછી જ કરવા પર ભાર
મુકે છે.
આ પ્રાચીન અને અર્વાચીન માનસના મુદ્દે સ્વામી
સચ્ચિદાનંદે લખેલી એક વાત અહી ટાંકવાનું મન થાય છે. સ્વામીજી લખે છે કે, ‘આપણે
જુનવાણી માનસના છીએ. હંમેશા પ્રાચીન સમયની ભવ્યતાના ગીતો ગયા કરીએ છીએ. બેશક તે
સમયના પ્રેરણાદાયી તત્વોને સદા યાદ રાખવા જોઈએ. પરંતુ તે સમયની જે ભયંકરતા હોય
તેની પુનરાવૃત્તિ ન થાય તે માટે ગુણદોષની તારવણી કરી, ગ્રાહ્ય અને ત્યાજ્યનો વિવેક
પણ સમજવો જોઈએ. જે વ્યક્તિ માત્ર પાછળ જ જોયે રાખે છે તે સમાજને પણ પાછળ ધકેલે છે.
પ્રગતિ માટે આગળ સૂદૂર દ્રષ્ટિ રાખશો અને પ્રેરણા માટે પાછળ તરફ નજર દોડાવતા રહેશો
તો તમારો શ્રમ અનેકગણા ગુણવત્તાયુક્ત પરિણામ લાવી આપશે.’
મિત્રો, જીવનના કોઈપણ ક્ષેત્રમાં કરેલો વિવેકનો
ઉપયોગ આપણને ક્યારેય નિરાશ થવા નહિ દે. સ્વસહિતસર્વનો જીવન વિકાસ થાય તે માટે ચાલો,
વિવેકપૂર્ણ સમૃદ્ધ ખેતી કરીએ અને આપણા પ્યારા રાષ્ટ્રને હરિયાળા વિકાસના માર્ગ પર
લઇ જઈએ. લોકપર્વ ભીમ અગિયારસ (૫ જૂન), જ્ઞાનપર્વ કબીર જયંતી
(૯ જૂન), મેઘપર્વ અષાઢી બીજ (૨૫ જૂન) તથા આગામી વર્ષા ઋતુ માટે હૃદયપૂર્વકની
શુભકામનાઓ સાથે...
No comments:
Post a Comment