Saturday, 29 April 2017

પ્રસંગ કે પરતંગ

મિત્રો, ભારતીય કેલેન્ડર મુજબ આગામી સમય એટલે કે ચૈત્ર-વૈશાખ માસ દરમ્યાન ખેતી કાર્યોમાં થોડી હળવાશ મળતી હોવાથી ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના ગામ-શહેરોમાં વિવિધ ધાર્મિક કથા-પારાયણો, સમૂહ લગ્નો તેમજ અન્ય કેટલાય સામાજિક ઉત્સવોનું આયોજન થતું હોય છે. વર્ષભર રોજીંદી એકસરખી બીબાઢાળ જીંદગી જીવતા માણસના માનસમાં આવા પ્રસંગો નવો જુસ્સો અને નવું જોમ ભરી દેતા હોય છે. અને તે સામાજીક પ્રાણી ગણાતા માનવ માટે ખૂબ જરૂરી પણ છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે ઉમંગભેર કરવામાં આવેલી આવી ઊજવણીઓ પર્યાવરણ માટે ખૂબ હાનીકારક બની જતી હોય છે.

અહી આવા પ્રસંગો ઉજવવાનો વિરોધ કરવાની ની કોઈ જ વાત નથી.. કેમકે ઉત્સવ વગરનું જીવન ખરેખર બોજારૂપ હોય છે. પણ મુદ્દાની વાત બીજી છે. તમે જોયું હશે કે કથા-સપ્તાહ-સમૂહ લગ્નો કે આવા અન્ય કોઈપણ સામાજીક-રાજકીય પ્રસંગોમાં ભોજનની વ્યવસ્થા તો હોવાની જ. કથા સાંભળવા આવનાર શ્રદ્ધાળુ, લગ્નમાં આવેલ મહેમાનો કે મત મેળવવા માટે મંગાવેલ મેદનીને ભૂખ્યા થોડા રખાય ! ના..ના.. ન જ રખાય. એમની ક્ષુધાપૂર્તિ માટે વિશાળ રસોડા ધમધમતા હોય છે. સેંકડો-હજારો-લાખો લોકો મનગમતા પકવાનો આરોગીને ઓડકાર ખાતા હોય એ દ્રશ્ય કેવું સુંદર લાગે છે.

પણ ક્યારેય કોઈએ આ રસોડાની પાછળ થોડે દૂરનું દ્રશ્ય જોયું છે ? આજકાલ ધોવા-વીછળવાની કડાકૂટથી બચવા માટે થર્મોકોલ અથવા પ્લાસ્ટીકમાંથી બનાવવામાં આવેલ ‘યુઝ એન્ડ થ્રો’ વાસણોનો ભરપૂર ઉપયોગ થાય છે. એક વખત વપરાશ થયા બાદ તરછોડી દેવાયેલ આવા છાસ-પાણીના પ્યાલા, ચા-કોફીના કપ, નાનીમોટી પ્લેટો, વાટકાઓ (જે ક્યારેય માટીમાં ભળી જઈને ઓગળતા નથી) ખેતર, વાડ, રસ્તા પર સતત ઉડતા-આળોટતા રહે છે. કેટલાક સફાઈ પ્રેમીઓ તો આવા વાસણોને ભેગા કરીને ભડકો પણ કરી દેતા હોય છે. જેના લીધે ફેલાતો કાળો ધુમાડો હવાનો પણ શ્વાસ રૂંધાવી દે છે. શું પર્યાવરણને નુકસાન પહોંચાડીને શું આપણે સુખી-સ્વસ્થ રહી શકીશું ?

મિત્રો, અગાઉના સમયમાં પણ પ્રસંગો ઉજવાતા જ હતા ને ! તો શું હાલ આ પ્રસંગોમાં આયોજિત થતા જમણવારમાં અગાઉની જેમ સ્ટીલ કે અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ કરવાની પ્રથા ફરી શરૂ ન કરી શકાય ? કદાચ પાંચ-દસ વધારે મજૂરોની જરૂર પડશે. અને  આ બહાને વાસણ સાફ કરવાવાળા એ ગરીબ મજૂરોને બે ટંક સારું ભોજન અને થોડી કમાણી પણ થશે. હાં, બની શકે કે આવી રીતે સફાઈ કરાવવામાં થોડો સમય વધારે જશે, થોડો ખર્ચ વધશે... પરંતુ સરવાળે પર્યાવરણને થતા નુકસાનની કિંમતથી તો ઘણું ઓછું હશે.

આ એપ્રિલ માસમાં અનેક પર્વો કે પ્રસંગો આવી રહ્યા છે. જેમ કે, શ્રેષ્ઠ રાજ્ય ધર્મ આચરી બતાવનાર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ અને હરિભક્તોને નૈતિકતાના પાઠ શીખવનાર શ્રીસ્વામિનારાયણ દેવના જન્મોત્સવ (૫-એપ્રિલ), અહિંસા પરમો ધર્મ શીખવનાર જૈનધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મોત્સવ (૯-એપ્રિલ), સ્વામિભક્તિ, સેવાધર્મના આદર્શ તેમજ યુવાનોમાં પ્રાણબળ જગાડનાર મહાબલી શ્રીહનુમાનજીનો જન્મોત્સવ (૧૧-એપ્રિલ), દેશના નબળા-પછાત લોકોના ઉત્કર્ષ માટે જીવન સમર્પી દેનાર ડો.આંબેડકરની જન્મ જયંતી (૧૪ એપ્રિલ), દરેક કાર્ય માટે વણજોયું મુહુર્ત ગણાતી અક્ષય તૃતીયા-અખા ત્રીજ (૨૮-એપ્રિલ) ની સાથે જ વિષ્ણુના અવતાર મનાતા નરનારાયણદેવ, હયગ્રીવ તથા પરશુરામ પ્રાગટ્ય જયંતી મનાવવામાં આવશે. તેમજ સમૃદ્ધ ખેતીનો હવે પછીનો અંક આપની પાસે પહોંચે તે પહેલા મે મહિનાની પહેલી તારીખે સાડા છ કરોડ ગુર્જરવાસીઓ માટે લાખેણો દિવસ એટલે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ઉજવવામાં આવશે.

મિત્રો, આપણે આગળ વાત કરી તે મુજબ માત્ર આ ઉપર જણાવેલ પર્વ-પ્રસંગ જ નહિ પરતું આવનારા તમામ તહેવારોની જો દેશહીતને ધ્યાને રાખીને ઉજવણી કરીશું તો સમૃદ્ધ ખેતી દ્વારા રાષ્ટ્રના હરિયાળા વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો ગણાશે. તમામ અવસરોની શુભકામનાઓ સાથે...

No comments:

Post a Comment