Friday, 13 January 2017

ગિરનારનું ગોલોક

सर्वषामेव भूतानां गावः शरणमुतमम ||  -धेनु मानस (पृ - ५)
અર્થાત્ “બધા જ જીવો માટે ગાય શ્રેષ્ઠ શરણદાતા છે, કોઈપણ રીતે ભય પામેલ વ્યક્તિ જો ખરેખર ગાયની શરણમાં આવે તો તે તમામ પ્રકારના ભયથી મુક્ત થઇ જાય છે.“
મિત્રો, દેહરાદૂનના સંત પૂ. ગોપાલ મણીજી મહારાજ દ્વારા રચિત ગ્રંથ ‘ધેનુમાનસ’ માંથી લેવાયેલ આ સૂત્રની યથાર્થતા જાણવી હોય તો કમસે કમ એક વખત અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામની સીમને અડોઅડ આવેલ ગીરના જંગલ વચ્ચે ‘ જાબ’ તરીકે ઓળખાતી જગ્યામાં ચાલતી શ્રી પુરૂષોત્તમલાલજી ગૌશાળાની મુલાકાતે જવું જ રહ્યું.
જ્યાં કાચા-પોચા મનના માણસોના તો હૈયા જ બેસી જાય એવી પ્રચંડ ડણકું દેતા સાવજો દિવસરાત સતત ગરજતા રહે છે એવા ગીરના સિંહો માટે મોસાળ ગણાતા ધારી રેન્જના આ જંગલમાં પૃથ્વી પરનું ગૌલોક સર્જાયું છે. વિકરાળ વનરાજાઓ પણ જાણેકે આ સ્થાનની મર્યાદા જાળવતા હોય તેમ શરૂઆતથી અત્યાર સુધી ક્યારેય પણ આ ગૌશાળામાં ત્રાટક્યા નથી. જીવનની મુસીબતોથી ડરેલ, નિરાશ-હતાશ થયેલ કોઈ વ્યક્તિ પણ અનાયાસ જો આ જગ્યા પર આવી ચડે તો અખૂટ માનસિક શાંતિ અને આત્મિક પ્રેરણા મેળવે છે. ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ ઉક્તિને સાર્થક કરતી અહીની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે છે.
શ્રી પુરુષોત્તમિલાલજી ગૌશાળા - ગોવિંદપુરનું  વિહંગમ દ્રશ્ય 
છેલ્લા ચોવીસ વરસથી અનેક મુશ્કેલીઓ, તકલીફો, અભાવોની વચ્ચે આજે પણ અહી ખરા અર્થમાં ગૌસેવાનો યજ્ઞ અવિરતપણે મહેકી રહ્યો છે. આજે ગૌસેવાનો ઝંડો ઉપાડીને ફરતા, ગાયના નામે ફંડફાળા ચાઉ કરી જતા, કહેવાતા ગૌસેવકોએ ગોવિંદપુરની આ ગૌશાળામાં થતી ગાયમાતાની સેવા-કાળજી પરથી કઈક ધડો લેવાની જરૂર છે. માંદી-બીમાર, ખોડખાંપણવાળી કે અન્ય કોઈપણ કારણોસર સમાજે તરછોડેલ ગાયોની અહી ખરા અર્થમાં નિઃસ્વાર્થ સેવા કરવામાં આવે છે.
તરસ છીપાવતી ગૌશાળાની કામધેનુઓ 
ગૌશાળાની સ્થાપનાથી જ સાથે જોડાયેલ અને ધારી યાર્ડમાં શાકભાજીના બ્રોકર તરીકે વ્યવસાય કરતા વયોવૃદ્ધ યુવાન શ્રી બાબુભાઈ ભગવાનભાઈ ઢોલા દરરોજ સવારથી સાંજ સુધી ગાયોની ચાકરીમાં ખડે પગે હાજરી ભરે છે. આ ગૌશાળાની શરૂઆત વિષે વાત કરતા તેઓ કહે છે કે, વર્ષ ૧૯૯૨માં કારસેવા માટે અયોધ્યા ગયેલા કુબડા ગામના  વિહિપ અગ્રણી સ્વ.પ્રવીણભાઈ વિરડીયાની મુલાકાત સંત પૂ. બાલક્દાસ બાપુ સાથે થઇ. ધર્મની હજુ વધુ સેવા કઈ રીતે કરી શકાય એવો પ્રશ્ન પુછાતા પૂ. બાપુએ પ્રવીણભાઈને ગૌસેવાનો માર્ગ ચીંધ્યો. ગામમાં આવીને સ્વ.પ્રવીણભાઈએ મિત્રોને વાત કરી. કુદરતના અગમ્ય સંકેતો અને સેવાધારીઓનો સહકાર મળતો ગયો અને ૧૯૯૩મા અહી વડલાઓની વચ્ચે અમારું વૈકુંઠધામ શરૂ થયું.
ગાયોની વચ્ચે બાબુભાઈ 
માંદી ગાયોની યોગ્ય સારવાર થતી રહે તેનું પૂરેપૂરું ધ્યાન રહે તે માટે નિયમિત રીતે પશુ ડોક્ટર અહી વિઝીટમાં આવતા રહે છે અને સમયપત્રક મુજબ દરેક ગાય-વાછરડાંઓને રસીકરણ અને જરૂરી દવાઓ આપે છે. ગાયોને જરૂરી પોષ્ટિક ખોરાક મળી રહે તે માટેની અહીની એક અલગ જ વ્યવસ્થા નજરે જોવા જેવી છે. સમાજે હાંકી કાઢેલ ગાયોનું પરિવારના સભ્યની જેમ જતન કરતા બાબુભાઈ કહે છે કે, હાલ અમારે ત્યાં ૨૦૦ કરતા વધારે ગૌવંશનું સંરક્ષણ થઇ રહ્યું છે પરંતુ જ્યારે-જ્યારે દુષ્કાળનો કે અછતનો સમય હોય ત્યારે હજારો ગાયોની ખરીઓના અવાજથી આ ‘જાબ’ ગુંજી ઉઠે છે. જ્યારે અમારી ગાયો ધરાઈને ચારો ખાધા પછી જ્યારે નિરાંતે વાગોળે અને તેના મોઢામાંથી ઓગાળ ઝરે છે... ત્યારે મને સ્વર્ગનું સુખ આ લોકમાં જ મળી જાય છે.
છેલ્લે, સ્વ.પ્રવીણભાઈ વિરડીયા તેમજ શ્રી બાબુભાઈ ઢોલા જેવા ધર્મનિષ્ઠ, કર્મનિષ્ઠ વ્યક્તિત્વને લાખો અભિનંદન તેમજ સો-સો સલામ. વાચક મિત્રો, અનેક પરોપકારી લોકો દેશભરમાં થતી ગૌસેવામાં સહભાગી બને છે ત્યારે આજે ‘સમૃદ્ધ ખેતી’ના માધ્યમથી હું આપ સૌને વિનમ્ર અરજ કરું છું કે ગુજરાતના ગૌરવ સમાન ગરવા ગિરનારની ગોદમાં આવેલ આ ગૌશાળામાં તન-મન-ધનથી શક્ય તેટલી ગૌસેવાનો લાભ જરૂરથી લેશો. (સંપર્ક: બાબુભાઈ, મો.૯૮૭૯૮ ૯૫૩૨૫)


No comments:

Post a Comment