Sunday, 8 January 2017

સૂરજની સાખે

ઉદબોધન         જાન્યુઆરી ૨૦૧૭  

મિત્રો, આપણે વાત કરવાની છે વિશ્વમાંથી ખૂટતા જતા પ્રચલિત ઊર્જા સ્ત્રોતો અને તેના વિકલ્પે ઉપયોગમાં લેવામાં આવનાર બિનપરંપરાગત ઊર્જાની. દુનિયાના હિતચિંતકો અને વિચારકોને મોટી ચિંતા પેઠી છે કે માનવજાતની દૈનિક ઊર્જા જરૂરીયાતોને પુરા કરવા માટે વપરાતા કોલસો, પેટ્રોલીયમ પેદાશ, કુદરતી ગેસ વગેરેના ભંડારો વિજ્ઞાનિકોએ ધાર્યા કરતા પણ વધારે ઝડપથી ખાલી થઇ રહ્યા છે. સતત વધતી માનવ વસ્તીના અનુપાતમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસા, લાકડા, એલ.પી.જી., સી.એન.જી.નો વપરાશ પણ બેહિસાબ રીતે વધી રહ્યો છે. જેના ઉપયોગના અતિરેકના દુષ્પરિણામ ગ્રીન હાઉસ ઈફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ વગેરે સ્વરૂપે આપણને વારંવાર જોવા મળે છે.

જોકે આપણે પૃથ્વીજન્ય ઊર્જાના વિકલ્પરૂપે છેલ્લા ઘણા વર્ષોથી અણુઊર્જા, જળઊર્જા, પવનઊર્જા વગેરેનું દોહન તો શરૂ કરી જ દીધું છે. પરંતુ હજુ તે ગાંસડીમાં સોય બરાબર છે. એનું કારણ એ છે કે આ પ્રકારની વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદન માટેનો સ્થાપના ખર્ચ ખૂબ જ વધારે હોય છે. પરંતુ જેમ ‘સો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે’ તેમ એક વિશિષ્ટ અને પ્રમાણમાં સસ્તી તથા સતત પ્રાપ્ય એક ઊર્જાસ્ત્રોત છે, અને તે છે સૌરઊર્જા. દુનિયાના અન્ય કેટલાક દેશોની સરખામણીએ પૃથ્વીના મધ્ય પટ્ટામાં આવેલા આપણા ભારત જેવા દેશોને ભગવાન સૂર્યની કૃપાનો વિશેષ લાભ મળે છે. સાવ પ્રદુષણ રહિત અને સુલભ એવા આ ઊર્જા પ્રકારને છેક હમણાં સુધી જોઈએ તેટલું મહત્વ અપાયું ન હતું.

સોલાર પંપના સહારે ખેતરમાં પિયત આપતા ખેડૂત 
હાલ વિજ્ઞાનીકોથી માંડીને સરકારો સુધી સૌરઊર્જાના મહત્વનો સ્વીકાર થવા લાગ્યો છે. આજે અંતરીક્ષમાં ફરતા ઉપગ્રહોથી લઈને ગામડા-ગામના ખેતરમાં મોબાઈલની બેટરી ચાર્જ કરવા માટે સૂર્ય શક્તિનો ઉપયોગ થવા લાગ્યો છે. હજુ દોઢ-બે દાયકા પહેલા ઘાસલેટીયા દીવાના અજવાળે વાળું કરનાર ગુજરાતના ગામડાનો ખેડૂત પણ આજે પોતાના ખેતરમાં સોલાર પંપ, સોલાર બેટરી, સોલાર ફેન્સીંગ અને પોતાના ઘરમાં સોલાર વોટર હીટર, સોલાર કૂકર વાપરતો થયો છે તે હૃદયને શાતા આપે તેવી બાબત છે. છતાં પણ આ માર્ગે હજુ ઘણો લાંબો પંથ કાપવાનો છે એ વાત સતત ધ્યાનમાં રાખવી રહી.

મિત્રો, આપણી દુનિયામાં એક જ નિયમ એવો છે કે જે ક્યારેય બદલતો નથી અને એ નિયમ છે કે ‘...સમગ્ર વિશ્વ પરિવર્તનશીલ છે...’ જેમ જમાનો બદલાતા આપણે લાકડાના બળતણ તરફથી સૌરઊર્જા તરફ ગતિ કરી રહ્યા છીએ, તે જ રીતે હવે રૂપિયાની નોટથી થતા આપણા તમામ દૈનિક વ્યવહારોમાં ‘કેસલેસ’ પદ્ધતિ અપનાવીએ. દરેક પરિવર્તન થોડુંક તો દુઃખદાયક હોય જ છે તેમ સ્વીકારીને, સમજીને રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ.

No comments:

Post a Comment