Monday, 3 June 2019

વિકાસના નામે ચતુરાઈથી બલી ચડાવાઈ રહેલ ખેતીની ફળદ્રુપ જમીન


લેખ શ્રેણી ‘ખેતીની જમીન’ (ભાગ-૩) : જમીન સંપાદન કાયદાનો દુરુપયોગ થયાના અનેક દાખલાઓ મોજુદ છે.

એક થોડી અસભ્ય પરંતુ જાણીતી કહેવત છે કે ‘ગરીબની બૈરી ગામ આખાની ભાભી...’ એ મુજબ જ્યાં પણ જમીનની જરૂર ઉભી થાય ત્યાં સૌથી પહેલો ભોગ ખેતીલાયક જમીનનો લેવાય છે. મોટામોટા ઉદ્યોગોના વિકાસ માટે હોય, રોડ-રસ્તાના બાંધકામ અને વિસ્તૃતિકરણ માટે હોય, વધતા શહેરીકરણને ઘટતી જમીન પૂરી પાડવા માટે હોય, રેલવેનો વ્યાપ વધારવા માટે હોય કે દેશના વિકાસના પ્રતીક જેવી બુલેટ ટ્રેન માટે હોય, અરે ! ખુદ ખેતીના જ વિકાસ માટે જરૂરી પાણીના સંગ્રહ અને પરિવહન માટે નાના-મોટા ડેમ અને કેનાલ-નહેરોનું નિર્માણ કરવાનું હોય તો સૌથી પહેલા ખેતીલાયક જમીન પર જ નજર માંડવામાં આવે છે.
આપણા બંધારણમાં જાહેર જનતાના હિતાર્થે વિવિધ વિકાસકાર્યો માટે ૧૮૯૪ના કાયદા મુજબ જમીન સંપાદન અધિનિયમ હેઠળ જોગવાઈ છે. જોકે દેશમાં આ વ્યવસ્થાનો દુરુપયોગ થયો હોય તેવા અનેક દાખલાઓ મોજુદ છે. થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલ એક સમાચાર અનુસાર વર્ષ ૧૯૯૫માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક મોટી કંપની માટે સંપાદિત કરાયેલ ખેતરાઉ જમીનમાંથી આજે ૨૫ વર્ષે પણ અંદાજે ૪૦૦-૫૦૦ એકર જમીન કોઈપણ પ્રકારના ઉપયોગ વગર ફાજલ પડી રહેવા પામી છે.
જો ચાલુ ખેતી બંધ કરીને તે જમીન પર કોઈ ‘બહુજનહિતાય બહુજનસુખાય’ હોય તેવો પ્રોજેક્ટ કે વિકાસ કાર્ય ખરેખર શરુ થઇ જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ જો આવી જમીન ખેડૂતો પાસેથી સંપાદિત કર્યા બાદ કોઈપણ કારણોસર ફાજલ પડી રહે તો તે દેશ માટે એક પ્રકારનો ‘લોસ ઓફ ઇન્કમ’ જ છે. કેમકે જો સંપાદિત ન થઇ હોત તો આ જમીનમાંથી વર્ષે દહાડે જે આવક થતી હતી તે બંધ થઇ ન હોત.
ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉઠે કે દેશમાં અનેક ફાજલ જમીનો પડેલી છે કે જે ખેતીલાયક નથી, તો પછી સરકાર આવી જમીનો સંપાદિત કરીને ઉદ્યોગો કે અન્ય પ્રોજેક્ટ્સ માટે કેમ ફાળવતી નથી. જવાબ છે કે જંગલ અથવા ડુંગરાળ પ્રદેશોમાં જો કોઈ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવે તો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) અથવા કહેવાતા પર્યાવરણવાદી સ્વૈચ્છિક સંગઠનો (NGO) દ્વારા સૌથી પહેલા વિરોધ ઉઠાવવામાં આવતો હોય છે. આવા કઈ કેટલાય ઝંડાધારીઓના રોટલા આમ વિરોધને કારણે જ ચાલી રહ્યા છે. પરંતુ ખેતીની જમીન સંપાદન થતી હોય ત્યારે તેમાં ખેડૂતોનો પક્ષ લઇ વિરોધ કરનાર બહુ ઓછા સંગઠનો જોવા મળે છે.
આ ઉપરાંત કેટલાક બીજા તર્ક પણ છે, જો જંગલ કે દુર્ગમ પ્રદેશોમાં જો જમીન આપવામાં આવે તો સૌથી પહેલો પ્રશ્ન કનેકટીવીટી એટલે કે રોડ-રસ્તાનો ઉભો થાય છે. આવી જગ્યાએ પહોંચવા માટે નવેસરથી રસ્તાનું  માળખું ઉભું કરવું પડે જે પ્રોજેક્ટ કોસ્ટ (ખર્ચ)ને વધારી દેતી હોય છે. ડુંગરાળ વિસ્તારોમાં જમીન સમતળ કરવાનું કામ પણ અતિ ખર્ચાળ અને સમય માંગી લેતું હોય છે. જયારે જે જમીનમાં ખેતી ચાલુ હોય ત્યાં આ બંને પ્રશ્નો અગાઉથી જ ઉકેલાય ગયેલા હોય છે. આ સિવાય પાણી અને વીજળીની ઉપલબ્ધતા પણ અહી જ મળે છે.
કોઈપણ નવા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરતી વખતે સૌથી મોટો પ્રશ્ન જે-તે જમીન પર વસતા લોકોના પુનર્વસનનો હોય છે. જ્યારે ખેતીની જમીન સંપાદન કરવામાં પુનર્વસનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે જમીન વેચતા ખેડૂતે જાતે પોતાના ભવિષ્યની વ્યવસ્થા કરી લેવાની હોય છે. કોઈપણ નવા શરૂ થતા પ્રોજેક્ટ માટે જરૂરી કામદારો કે મજૂરો દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ નથી હોતા. જયારે ખેતીની જમીન સંપાદિત થતા નવરા પડેલા ખેડૂતો અને ખેતમજૂરોના રૂપમાં આવા પ્રોજેક્ટ માટે તૈયાર કામદારો મળી રહે છે જે સસ્તા પણ પડે છે. હવે પછીના લેખમાં ખેતીની જમીન છોડવા મજબૂર કરતા પરિબળો અંગે ચર્ચા કરીશું.

No comments:

Post a Comment