Monday, 10 June 2019

ખેતીની જમીન છોડવા માટે ખેડૂતોને મજબૂર કરતા મહત્વના પરિબળો


લેખ શ્રેણી ‘ખેતીની જમીન’ (ભાગ-૪) : રાજકીય - સામાજિક સ્તરે ઉપેક્ષિત ખેડૂતોને ખેતીમાંથી રસ ઉડી રહ્યો છે

ખોરડું વેચ્યુંને ખેતર વેચ્યું,
કૂબામાં કર્યો છે વાસ...
જારનો રોટલો જડે નહિ તે’દિ
પીવું છું એકલી છાસ...
નથી હવે જીવવા આરો,
આવ્યો ભીખ માંગવા વારો...
મકનસર (મોરબી)ના કવિ ઇન્દુલાલ ગાંધીની પ્રસિદ્ધ રચના ‘આંધળી માંનો કાગળ’ માંથી લીધેલ આ કાવ્ય પંક્તિઓમાં ખેતીની જમીન છોડી કે વેંચી દીધા બાદ થતી ખેડૂતોની સ્થિતિ તાદ્રશ્ય થાય છે. જોકે ખેતીની જમીન વેંચવા માટે કોઈ જ ખેડૂત રાજીખુશીથી તૈયાર થતો નથી. છતાં પણ ખેતીની જમીન છોડવા કે વેચવા પાછળ અનેકવિધ પરિબળો કારણભુત હોય છે. લેખમાળાના આ ચોથા ભાગમાં આપણે તેના વિષે ચર્ચા કરીએ.
સૌથી પહેલા તો રાજકીય અને સામાજિક સ્તર પર ખેડૂતોની જે રીતે ઉપેક્ષા કરવામાં આવે છે તેને લીધે ખેડૂતોને ધીમેધીમે ખેતીમાંથી રસ ઉડી રહ્યો છે. આપ સૌ જાણો છો તેમ આપણા દેશમાં મોટા ઉદ્યોગો અને વેપારીઓને સરળતાથી લોન, વીજળી, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ આસાનીથી મળી રહે છે. પરંતુ ખેડૂતોએ આ બધા લાભ લેવા માટે અભિમન્યુની જેમ સાત કોઠા વીંધવા પડે છે. ખાસ કરીને રાજકીય પક્ષોની જાતપાત તેમજ વોટબેંકની રાજનીતિના કારણે વેરવિખેર ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે.
ખેડૂતો માટે ખેતી છોડવાનું બીજું મહત્વનું કારણ છે પાક ઉત્પાદનોના બજાર ભાવ. આવક જાવકનો નિયમિત હિસાબ રાખતા ખેડૂતો જણાવે છે કે આખી સીઝન રાત-દિવસ, ટાઢ-તડકો જોયા વગર મહેનત મજૂરી કરી હોય, અને જયારે ઉપજ આવે ત્યારે તેનું બજાર સાવ તળિયે બેસી જાય છે. અને જ્યારે જે-તે સીઝનનો બધો માલ ખેડૂતના ઘરમાંથી માર્કેટમાં પહોંચી જાય એટલે ભાવને પાંખો આવી ગઈ હોય તેમ બજારના શિખરે પહોંચી જાય છે. અને ફરી જ્યારે સીઝન આવે ત્યારે એજ ઉપજ ત્રણ-ચાર ગણી મોંઘી થઈને બિયારણ સ્વરૂપે ખેડૂતે ખરીદવી પડે છે.
ઘણી વખત ખેડૂતની ઈચ્છા ન હોવા છતાં કોઈની ગેર દોરવણી કે ખોટી લાલચમાં આવી જઈને પોતાની ખેતીની જમીન વેંચવા તૈયાર થઇ જાય છે. ખેડૂતની જમીન પર જેનો ડોળો હોય એવા કેટલાક જમીન દલાલો દ્વારા ખેડૂતનું ‘બ્રેઈન વોશ’ કરવામાં આવે છે. જેમાં આયોજનબદ્ધ રીતે ખેડૂતને એમ પાકું કરાવવામાં આવે છે કે આખું વરસ કાળી મજૂરી કરીને છેવટે તમારા હાથમાં શું આવે છે... તેના કરતા જો આ જમીન વેંચી કાઢો અને તે પૈસાને બેંકમાં મુકી દેશો તો પણ આનાથી વધારે આવક વ્યાજની મળશે... માટે મુકોને બધી માથાકૂટ અને જમીન વેંચી નાખો. વારંવારની આવી સલાહો ખેડૂતને જમીનવિહોણો કરી દે છે.
વળી ક્યારેક એવા સમાચારો પણ ચમકતા રહે છે કે કોઈ ઠગ ટોળકીની ચાલાકી કે છેતરપીંડીને કારણે ખેડૂતે પોતાની જમીનથી હાથ ધોવા પડ્યા હોય. આવા કિસ્સામાં ગઠીયાઓ ખેડૂતના ભોળપણ કે અતિ વિશ્વાસનો લાભ લઈને ખોટા દસ્તાવેજો બનાવી લેતા હોય છે. આવી દગાબાજીમાં મોટેભાગે ખેડૂતના જ કોઈ અંગત લોકો, અથવા પંચાયતના સભ્ય કે તલાટીમાંથી કોઈ સામેલ હોય છે. જોકે હવે ઓનલાઈનનો જમાનો આવતા આવા દુષણો ઘટવાની આશા રાખી શકાય છે.
ખેતીની જમીન વેંચવા માટેનું એક મહત્વનું પરિબળ સામાજીક દેખાદેખી પણ ગણી શકાય. આપણા ગામડાઓમાં મોટાભાગે એકબીજાનું જોઇને વર્તવાનો ધારો જોવા મળે છે. ફલાણાએ ખેતરનો કટકો વેંચીને દીકરા-દીકરી પરણાવ્યા, ઢીંકણાએ ખેતી વેંચીને કારખાનું કે કોઈ ઉદ્યોગ શરૂ કર્યો તો ફાવી ગયા, ચાલો આપણે પણ તેમ કરીએ. આમ ઘણી વખત કોઈની દેખાદેખીએ ખેતી વેંચીને શરૂ કરેલ ધંધો ખોટમાં જતા ખેતી અને ધંધો બંને વસ્તુ હાથમાંથી સરકી જાય છે. ગાડી-મકાનની લાલસા પૂરી કરવા જમીન વેંચ્યાના પણ અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળે છે.
પ્રતીકાત્મક તસ્વીર
ખેડૂતો પાસેથી દૂર જતી ખેતીની જમીનો પાછળનું વધુ એક મહત્વનું કારણ જોઈએ તો એ છે નવી પેઢી. ઘણી વખત ખેડૂત પરિવારમાં સંતાનોને નાનપણથી ‘ભણો નહિતર અમારી જેમ ખેતો કરવો પડશે...’ એમ કહીને ખેતી પ્રત્યે એક જાતની સુગ ઉત્પન્ન કરવામાં આવે છે. ટાઢા છાંયડે નોકરી કરવાની ઈચ્છા રાખનાર અનેક યુવાનો ખેતી કરવામાં શરમ સંકોચ અનુભવે છે. જોકે પશ્ચિમી પવનથી પ્રભાવિત અને પાનના ગલ્લે મોબાઈલ મચેડતી નવી પેઢીમાં મોટાભાગના યુવાનો ખેતીકામ કરવા માટે શારીરિક રીતે સક્ષમ નથી હોતા એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી.
જ્યારે આવા યુવાનોના હાથમાં ઘર-ખેતીનો વહેવાર આવે છે ત્યારે સૌથી પહેલા ખેતીની જમીનનો નિકાલ કરે છે. ‘ના રહેગા બાંસ, ના બજે બાંસુરી...’ સ્વયં ભારત સરકારના જ એક વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫માં થયેલ એક સર્વેમાં પણ કબૂલ કરાયું છે કે દેશની કુલ ખેતીલાયક જમીનોમાં દર વર્ષે અંદાજે દોઢ થી બે ટકા જમીન ઘટતી જાય છે. જો આમ જ ચાલ્યું તો ખેતી કરવા માટે વર્ટીકલ ફાર્મ બિલ્ડીંગ્ઝનો જ સહારો લેવો પડશે. ખેતીની જમીન લેખશ્રેણીના છેલ્લા ભાગ તરીકે આગામી લેખમાં એક અત્યંત મહત્વના એક નવા જ મુદ્દે ચર્ચા કરીશું.

Monday, 3 June 2019

વિકાસના નામે ચતુરાઈથી બલી ચડાવાઈ રહેલ ખેતીની ફળદ્રુપ જમીન


લેખ શ્રેણી ‘ખેતીની જમીન’ (ભાગ-૩) : જમીન સંપાદન કાયદાનો દુરુપયોગ થયાના અનેક દાખલાઓ મોજુદ છે.

એક થોડી અસભ્ય પરંતુ જાણીતી કહેવત છે કે ‘ગરીબની બૈરી ગામ આખાની ભાભી...’ એ મુજબ જ્યાં પણ જમીનની જરૂર ઉભી થાય ત્યાં સૌથી પહેલો ભોગ ખેતીલાયક જમીનનો લેવાય છે. મોટામોટા ઉદ્યોગોના વિકાસ માટે હોય, રોડ-રસ્તાના બાંધકામ અને વિસ્તૃતિકરણ માટે હોય, વધતા શહેરીકરણને ઘટતી જમીન પૂરી પાડવા માટે હોય, રેલવેનો વ્યાપ વધારવા માટે હોય કે દેશના વિકાસના પ્રતીક જેવી બુલેટ ટ્રેન માટે હોય, અરે ! ખુદ ખેતીના જ વિકાસ માટે જરૂરી પાણીના સંગ્રહ અને પરિવહન માટે નાના-મોટા ડેમ અને કેનાલ-નહેરોનું નિર્માણ કરવાનું હોય તો સૌથી પહેલા ખેતીલાયક જમીન પર જ નજર માંડવામાં આવે છે.
આપણા બંધારણમાં જાહેર જનતાના હિતાર્થે વિવિધ વિકાસકાર્યો માટે ૧૮૯૪ના કાયદા મુજબ જમીન સંપાદન અધિનિયમ હેઠળ જોગવાઈ છે. જોકે દેશમાં આ વ્યવસ્થાનો દુરુપયોગ થયો હોય તેવા અનેક દાખલાઓ મોજુદ છે. થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલ એક સમાચાર અનુસાર વર્ષ ૧૯૯૫માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક મોટી કંપની માટે સંપાદિત કરાયેલ ખેતરાઉ જમીનમાંથી આજે ૨૫ વર્ષે પણ અંદાજે ૪૦૦-૫૦૦ એકર જમીન કોઈપણ પ્રકારના ઉપયોગ વગર ફાજલ પડી રહેવા પામી છે.
જો ચાલુ ખેતી બંધ કરીને તે જમીન પર કોઈ ‘બહુજનહિતાય બહુજનસુખાય’ હોય તેવો પ્રોજેક્ટ કે વિકાસ કાર્ય ખરેખર શરુ થઇ જાય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ જો આવી જમીન ખેડૂતો પાસેથી સંપાદિત કર્યા બાદ કોઈપણ કારણોસર ફાજલ પડી રહે તો તે દેશ માટે એક પ્રકારનો ‘લોસ ઓફ ઇન્કમ’ જ છે. કેમકે જો સંપાદિત ન થઇ હોત તો આ જમીનમાંથી વર્ષે દહાડે જે આવક થતી હતી તે બંધ થઇ ન હોત.
ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉઠે કે દેશમાં અનેક ફાજલ જમીનો પડેલી છે કે જે ખેતીલાયક નથી, તો પછી સરકાર આવી જમીનો સંપાદિત કરીને ઉદ્યોગો કે અન્ય પ્રોજેક્ટ્સ માટે કેમ ફાળવતી નથી. જવાબ છે કે જંગલ અથવા ડુંગરાળ પ્રદેશોમાં જો કોઈ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવે તો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT) અથવા કહેવાતા પર્યાવરણવાદી સ્વૈચ્છિક સંગઠનો (NGO) દ્વારા સૌથી પહેલા વિરોધ ઉઠાવવામાં આવતો હોય છે. આવા કઈ કેટલાય ઝંડાધારીઓના રોટલા આમ વિરોધને કારણે જ ચાલી રહ્યા છે. પરંતુ ખેતીની જમીન સંપાદન થતી હોય ત્યારે તેમાં ખેડૂતોનો પક્ષ લઇ વિરોધ કરનાર બહુ ઓછા સંગઠનો જોવા મળે છે.
આ ઉપરાંત કેટલાક બીજા તર્ક પણ છે, જો જંગલ કે દુર્ગમ પ્રદેશોમાં જો જમીન આપવામાં આવે તો સૌથી પહેલો પ્રશ્ન કનેકટીવીટી એટલે કે રોડ-રસ્તાનો ઉભો થાય છે. આવી જગ્યાએ પહોંચવા માટે નવેસરથી રસ્તાનું  માળખું ઉભું કરવું પડે જે પ્રોજેક્ટ કોસ્ટ (ખર્ચ)ને વધારી દેતી હોય છે. ડુંગરાળ વિસ્તારોમાં જમીન સમતળ કરવાનું કામ પણ અતિ ખર્ચાળ અને સમય માંગી લેતું હોય છે. જયારે જે જમીનમાં ખેતી ચાલુ હોય ત્યાં આ બંને પ્રશ્નો અગાઉથી જ ઉકેલાય ગયેલા હોય છે. આ સિવાય પાણી અને વીજળીની ઉપલબ્ધતા પણ અહી જ મળે છે.
કોઈપણ નવા પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરતી વખતે સૌથી મોટો પ્રશ્ન જે-તે જમીન પર વસતા લોકોના પુનર્વસનનો હોય છે. જ્યારે ખેતીની જમીન સંપાદન કરવામાં પુનર્વસનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે જમીન વેચતા ખેડૂતે જાતે પોતાના ભવિષ્યની વ્યવસ્થા કરી લેવાની હોય છે. કોઈપણ નવા શરૂ થતા પ્રોજેક્ટ માટે જરૂરી કામદારો કે મજૂરો દુર્ગમ વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ નથી હોતા. જયારે ખેતીની જમીન સંપાદિત થતા નવરા પડેલા ખેડૂતો અને ખેતમજૂરોના રૂપમાં આવા પ્રોજેક્ટ માટે તૈયાર કામદારો મળી રહે છે જે સસ્તા પણ પડે છે. હવે પછીના લેખમાં ખેતીની જમીન છોડવા મજબૂર કરતા પરિબળો અંગે ચર્ચા કરીશું.