લેખ શ્રેણી ‘ખેતીની
જમીન’ (ભાગ-૪) : રાજકીય - સામાજિક સ્તરે ઉપેક્ષિત ખેડૂતોને ખેતીમાંથી રસ ઉડી રહ્યો
છે
ખોરડું વેચ્યુંને ખેતર વેચ્યું,
કૂબામાં કર્યો છે વાસ...
જારનો રોટલો જડે નહિ તે’દિ
પીવું છું એકલી છાસ...
નથી હવે જીવવા આરો,
આવ્યો ભીખ માંગવા વારો...
મકનસર
(મોરબી)ના કવિ ઇન્દુલાલ ગાંધીની પ્રસિદ્ધ રચના ‘આંધળી માંનો કાગળ’ માંથી લીધેલ આ
કાવ્ય પંક્તિઓમાં ખેતીની જમીન છોડી કે વેંચી દીધા બાદ થતી ખેડૂતોની સ્થિતિ
તાદ્રશ્ય થાય છે. જોકે ખેતીની જમીન વેંચવા માટે કોઈ જ ખેડૂત રાજીખુશીથી તૈયાર થતો
નથી. છતાં પણ ખેતીની જમીન છોડવા કે વેચવા પાછળ અનેકવિધ પરિબળો કારણભુત હોય છે. લેખમાળાના
આ ચોથા ભાગમાં આપણે તેના વિષે ચર્ચા કરીએ.
સૌથી
પહેલા તો રાજકીય અને સામાજિક સ્તર પર ખેડૂતોની જે રીતે ઉપેક્ષા કરવામાં આવે છે
તેને લીધે ખેડૂતોને ધીમેધીમે ખેતીમાંથી રસ ઉડી રહ્યો છે. આપ સૌ જાણો છો તેમ આપણા
દેશમાં મોટા ઉદ્યોગો અને વેપારીઓને સરળતાથી લોન, વીજળી, પાણી સહિતની મૂળભૂત
સુવિધાઓ આસાનીથી મળી રહે છે. પરંતુ ખેડૂતોએ આ બધા લાભ લેવા માટે અભિમન્યુની જેમ
સાત કોઠા વીંધવા પડે છે. ખાસ કરીને રાજકીય પક્ષોની જાતપાત તેમજ વોટબેંકની
રાજનીતિના કારણે વેરવિખેર ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે.
ખેડૂતો
માટે ખેતી છોડવાનું બીજું મહત્વનું કારણ છે પાક ઉત્પાદનોના બજાર ભાવ. આવક જાવકનો
નિયમિત હિસાબ રાખતા ખેડૂતો જણાવે છે કે આખી સીઝન રાત-દિવસ, ટાઢ-તડકો જોયા વગર મહેનત
મજૂરી કરી હોય, અને જયારે ઉપજ આવે ત્યારે તેનું બજાર સાવ તળિયે બેસી જાય છે. અને
જ્યારે જે-તે સીઝનનો બધો માલ ખેડૂતના ઘરમાંથી માર્કેટમાં પહોંચી જાય એટલે ભાવને પાંખો
આવી ગઈ હોય તેમ બજારના શિખરે પહોંચી જાય છે. અને ફરી જ્યારે સીઝન આવે ત્યારે એજ
ઉપજ ત્રણ-ચાર ગણી મોંઘી થઈને બિયારણ સ્વરૂપે ખેડૂતે ખરીદવી પડે છે.
ઘણી વખત
ખેડૂતની ઈચ્છા ન હોવા છતાં કોઈની ગેર દોરવણી કે ખોટી લાલચમાં આવી જઈને પોતાની
ખેતીની જમીન વેંચવા તૈયાર થઇ જાય છે. ખેડૂતની જમીન પર જેનો ડોળો હોય એવા કેટલાક
જમીન દલાલો દ્વારા ખેડૂતનું ‘બ્રેઈન વોશ’ કરવામાં આવે છે. જેમાં આયોજનબદ્ધ રીતે
ખેડૂતને એમ પાકું કરાવવામાં આવે છે કે આખું વરસ કાળી મજૂરી કરીને છેવટે તમારા
હાથમાં શું આવે છે... તેના કરતા જો આ જમીન વેંચી કાઢો અને તે પૈસાને બેંકમાં મુકી
દેશો તો પણ આનાથી વધારે આવક વ્યાજની મળશે... માટે મુકોને બધી માથાકૂટ અને જમીન
વેંચી નાખો. વારંવારની આવી સલાહો ખેડૂતને જમીનવિહોણો કરી દે છે.
વળી ક્યારેક
એવા સમાચારો પણ ચમકતા રહે છે કે કોઈ ઠગ ટોળકીની ચાલાકી કે છેતરપીંડીને કારણે
ખેડૂતે પોતાની જમીનથી હાથ ધોવા પડ્યા હોય. આવા કિસ્સામાં ગઠીયાઓ ખેડૂતના ભોળપણ કે
અતિ વિશ્વાસનો લાભ લઈને ખોટા દસ્તાવેજો બનાવી લેતા હોય છે. આવી દગાબાજીમાં
મોટેભાગે ખેડૂતના જ કોઈ અંગત લોકો, અથવા પંચાયતના સભ્ય કે તલાટીમાંથી કોઈ સામેલ
હોય છે. જોકે હવે ઓનલાઈનનો જમાનો આવતા આવા દુષણો ઘટવાની આશા રાખી શકાય છે.
ખેતીની
જમીન વેંચવા માટેનું એક મહત્વનું પરિબળ સામાજીક દેખાદેખી પણ ગણી શકાય. આપણા
ગામડાઓમાં મોટાભાગે એકબીજાનું જોઇને વર્તવાનો ધારો જોવા મળે છે. ફલાણાએ ખેતરનો
કટકો વેંચીને દીકરા-દીકરી પરણાવ્યા, ઢીંકણાએ ખેતી વેંચીને કારખાનું કે કોઈ ઉદ્યોગ
શરૂ કર્યો તો ફાવી ગયા, ચાલો આપણે પણ તેમ કરીએ. આમ ઘણી વખત કોઈની દેખાદેખીએ ખેતી
વેંચીને શરૂ કરેલ ધંધો ખોટમાં જતા ખેતી અને ધંધો બંને વસ્તુ હાથમાંથી સરકી જાય છે.
ગાડી-મકાનની લાલસા પૂરી કરવા જમીન વેંચ્યાના પણ અનેક ઉદાહરણો સમાજમાં જોવા મળે છે.
![]() |
પ્રતીકાત્મક તસ્વીર |
ખેડૂતો
પાસેથી દૂર જતી ખેતીની જમીનો પાછળનું વધુ એક મહત્વનું કારણ જોઈએ તો એ છે નવી પેઢી.
ઘણી વખત ખેડૂત પરિવારમાં સંતાનોને નાનપણથી ‘ભણો નહિતર અમારી જેમ ખેતો કરવો
પડશે...’ એમ કહીને ખેતી પ્રત્યે એક જાતની સુગ ઉત્પન્ન કરવામાં આવે છે. ટાઢા છાંયડે
નોકરી કરવાની ઈચ્છા રાખનાર અનેક યુવાનો ખેતી કરવામાં શરમ સંકોચ અનુભવે છે. જોકે પશ્ચિમી
પવનથી પ્રભાવિત અને પાનના ગલ્લે મોબાઈલ મચેડતી નવી પેઢીમાં મોટાભાગના યુવાનો
ખેતીકામ કરવા માટે શારીરિક રીતે સક્ષમ નથી હોતા એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી.
જ્યારે
આવા યુવાનોના હાથમાં ઘર-ખેતીનો વહેવાર આવે છે ત્યારે સૌથી પહેલા ખેતીની જમીનનો
નિકાલ કરે છે. ‘ના રહેગા બાંસ, ના બજે બાંસુરી...’ સ્વયં ભારત સરકારના જ એક વિભાગ
દ્વારા વર્ષ ૨૦૧૫માં થયેલ એક સર્વેમાં પણ કબૂલ કરાયું છે કે દેશની કુલ ખેતીલાયક
જમીનોમાં દર વર્ષે અંદાજે દોઢ થી બે ટકા જમીન ઘટતી જાય છે. જો આમ જ ચાલ્યું તો
ખેતી કરવા માટે વર્ટીકલ ફાર્મ બિલ્ડીંગ્ઝનો જ સહારો લેવો પડશે. ખેતીની જમીન
લેખશ્રેણીના છેલ્લા ભાગ તરીકે આગામી લેખમાં એક અત્યંત મહત્વના એક નવા જ મુદ્દે ચર્ચા
કરીશું.