Monday, 20 May 2019

દેશમાં ખેતીયોગ્ય જમીન ઘટવા પાછળ કારણભૂત કુદરતી પરિબળો


‘ખેતીની જમીન’ લેખશ્રેણીના પ્રથમ લેખમાં આપણે વિશ્વની કુલ જમીન અને તેમાંથી દર વર્ષે ઘટતી જતી ખેતીલાયક જમીનો અંગે આપણે જોઈ ગયા. આ મુદ્દે આપણા દેશની વાત કરીએ તો અહી પણ પરિસ્થિતિ કઈ વધારે સારી હોય તેમ લાગતું નથી. એક નેશનલ ન્યુઝ એજન્સીએ કરેલ સર્વે અનુસાર દેશમાં દરરોજ અઢી હજાર ખેડૂતો વિવિધ કારણોસર ખેતી છોડીને રહ્યા છે. જેમાં મુખ્ય કારણોમાં ખેતીલાયક ન રહેતી અથવા તો તેમની વેંચાઈ જતી કે વેચવી પડતી જમીન છે. આજે ગરીબ ખેડૂતો વધારે કંગાળ અને ભૂમિહીન બની રહ્યા છે.
પ્રાચીન કાળથી આપણે ત્યાં પૃથ્વીને દૈવીતત્વ ગણીને માતા કહેવામાં આવે છે, તેમજ ખેડૂતને જગતનો અન્નદાતા કહેવામાં આવે છે. સમાજશાસ્ત્રની પરિભાષામાં જણાવ્યા મુજબ એક-એક વ્યક્તિના જોડાવાથી બનતા સમુહને સમાજ કહેવામાં આવે છે ત્યારે સમાજના એક જાગૃત હિસ્સા તરીકે આપણે સૌએ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે એવા ક્યાં કારણો છે કે જેને લીધે દુનિયાનો પાલક ગણાતો ખેડૂત પોતાની આરાધ્ય દેવી સમાન ધરતી માતાને છોડી દેવા કે વેંચી દેવા તૈયાર થઇ જાય છે ?
વિશ્વમાં નિયમિત વરસાદની સાંકળ તુટવા લાગી છે. સમયસર વરસાદ ઘટતા નદીઓના બારમાસી વહેણ ધીમા થયા છે અથવા તો એમ કહો કે લગભગ બંધ થયા છે. તેમાંય નદીઓના આ અપૂરતા વહેણો પર ડેમ-પાળા બાંધવામાં આવે છે. આ બાંધેલું પાણી કેનાલો મારફત અન્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં આવતા નદીઓના પટ વરસ દરમિયાન મોટેભાગે સુકા ભટ્ઠ જોવા મળે છે. આજે નર્મદા બંધ સરદાર સરોવરના હેઠવાસના ગામોમાં નદીનો પ્રવાહ અટકતા ખેતીલાયક જમીન પર અસર જોવા મળી રહી છે.
આપણા દેશમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા તેમજ પંજાબની પાંચેય નદીઓ સહિતની અનેક નાની-મોટી નદીઓ હિમાલયનો બરફ પીગળવાથી વહે છે. છેલ્લા અનેક વર્ષોથી સતત વધી રહેલ ગરમીને કારણે તે બરફ ઝડપથી પીગળી રહ્યો છે. પર્વતોમાંથી ધસમસતા વેગે મેદાન વિસ્તારોમાં આવતી આ નદીઓ પોતાના પાણીની સાથે કેટલોય કાંપ તાણી લાવે છે. જેને કારણે વરસોવરસ નદીઓની ઊંડાઈ છીછરી અને કદ (વહેણ) સતત પહોળું થયા કરે છે. જેને કારણે ઉપરોક્ત નદીઓના કાંઠાળ વિસ્તારોમાં પૂરની સમસ્યા વધી રહી છે. આ પૂર તટીય પ્રદેશોના ખેતરોને ધોઈ નાખે છે. પરંતુ આવા અનેક કારણોસર નદીઓ સમુદ્ર સુધી પહોંચતી અટકી ગઈ.
હવે સામે તરફ નદીનો પ્રવાહ ઘટતા સમુદ્દ્રના ખારા પાણી નદીના મુખ પ્રદેશોમાં ઘુસવા લાગ્યા. આમ ખૂબ અંદર સુધી ઘુસેલા દરિયાના ખારા પાણીએ કિનારા વિસ્તારની જમીનનો કેટલાય કિલોમીટરનો પટ્ટો ‘બંજર’ બનાવી દીધો. કુદરતે ગુજરાતને દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો આપ્યો છે. સમુદ્ર પરથી આવતા ખારા પવનોએ ઉપરથી અને તળમાં ઘુસેલા ખારા પાણીએ નીચેથી એમ બંને તરફથી જમીનો ખલાસ કરી નાખી છે. રાજ્યની દરિયાપટ્ટી પર આવેલ ખેતરોમાં હવે ફક્ત ક્ષાર જ ઉગે છે તેમ કહીએ તો ખોટું નથી. બીજી તરફ વૃક્ષોની કમી અને આડેધડ કાપણીથી ગુજરાત-રાજસ્થાનનું રણ પોતાનો વિસ્તાર વધારતું જઈ રહ્યું છે.
ખેતીલાયક જમીનો ઘટવાના બીજા પણ કુદરતી કારણો પણ છે. જેમકે ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણી જગ્યાએ આખી સીઝનનો એકસાથે પડી જતા વરસાદમાં ખેતરોનું ઉપલું ખેતીલાયક માટીનું પડ ધોવાય જાય છે. હજુ બે વર્ષ પહેલા અમરેલી-બગસરા વિસ્તારમાં પડેલ અતિવૃષ્ટિએ કેટલાય ખેતરોને માટીવિહોણા કરી દીધા છે. ખેતીલાયક જમીનોને વાંઝણી બનાવતા અનેક કુદરતી કારણો ખેડૂતોને જમીન છોડવા પર મજબૂર કરે છે. ખેતીની ઘટતી જમીન મુદ્દે માણસે ઉભા કરેલ કારણો વિષે આગામી લેખમાં ચર્ચા કરીશું.

Wednesday, 8 May 2019

સ્મરણનો સંગ્રામ



રામચરિત માનસ મંદિર, રતનપર. રાજકોટથી મોરબી તરફ ફક્ત ચૌદ કિલોમીટર દૂર હોવા છતાં તેની બીજી વખત મુલાકાત લેવામાં મને છવ્વીસ વર્ષ જેટલો સમય વીતી ગયો. આટલાં વર્ષ સુધી આ જગ્યાએ જવાની હિંમત ન ચાલી તેની પાછળ કેટલીક મધૂરી તો કેટલીક કરૂણ સ્મરણો જોડાયેલા છે. (આ સાથે ૧૯૯૩ની રતનપર મુલાકાત બાદ રાજકોટ બસ સ્ટેશને પરત આવીને પડાવેલ ગૃપ ફોટો તેમજ હમણા લીધેલ મુલાકાતનો ફોટોગ્રાફ મુક્યો છે.) 
વાત છે વર્ષ ૧૯૯૩ની. તારીખ ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન આ સ્થળે એક સાત દિવસીય "યુવા નેતૃત્વ તાલીમ શિબિર" નામનો સરકારી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના કેટલાક વિદ્યાર્થી ભાઈ-બહેનો આવ્યા હતા. પી.એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલમાં અગિયારમું ધોરણ ભણતા દીપક, જયેશ, સંજય, હિતેશ અને હું, એમ કુલ પાંચ મિત્રો અમારા હિન્દી શિક્ષક રાજાણી સરના કહેવાથી આ શિબિરમાં જોડાયા.
તે વખતે અહીંયા વિશ્વના સૌપ્રથમ રામચરિતમાનસ મંદિરનું ચણતર કામ થઇ રહ્યું હતું. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર તરીકે મોટો સત્સંગ હોલ અને ફરતી બાજુના ઓરડાઓ તૈયાર થઇ ચુક્યા હતા. જેમાંથી ત્રણેક રૂમમાં અમને સહુને ઉતારા અપાયા હતા. વચ્ચેનો સત્સંગ હોલ અમારો મીટીંગ રૂમ બન્યો. રમતો રમવા માટેના ખુલ્લા મેદાનને તો જાણે કોઈ સીમા જ નહોતી. અને જમવા માટે તો રામ-દરબારમાં રસોડું ચાલુ જ હતું.
આવી કોઈ શિબિરમાં જવાનો મારો આ પ્રથમ અનુભવ. દરરોજ બે સત્રમાં અલગ-અલગ વિષય પર ચર્ચા-વિચારણા થાય. જેમાં ડો.ભદ્રાયુ વચ્છરાજાની, ડો.નલીની ઉપાધ્યાય સહિતના મહાનુભાવોના વ્યાખ્યાન પણ ગોઠવાયા હતા. એક દિવસ આજી-૨ ડેમની પદયાત્રા કરેલી, તો એક દિવસ રતનપર ખાતે કોઈ જિજ્ઞાસુએ એકત્ર કરેલ જુના-નવા સિક્કાઓનું કલેક્શન જોવા ગયેલા. જોકે રોજની સાંજ ‘કેમ્પ ફાયર’ સાથે ગીત-ગઝલ, અંતાક્ષરી, સાહિત્ય ચર્ચા, કે એકપાત્રી અભિનયના નામે રહેતી. મારી કલમના બીજને સિંચવાનું કામ કદાચ અહી જ થયું હતું એમ કહું તો ખોટું નથી.
અહી મળેલ નવા મિત્રો નીરવ, હિરેન, જીતાબેન, પંકજ, દર્શના, વત્સલ, મનીષા, નિર્મલા વગેરે સાથે અનેક નવા વિષયો પર ચર્ચા-સંવાદ, વિવિધ રમતો અને હસીખુશીમાં છ દિવસો ક્યારે પસાર થઈ ગયા તે ખ્યાલ પણ ન રહ્યો. નીરવની રમૂજ, પંકજનો કેમેરો, દીપકની દોસ્તી, જયેશનું જનરલ નોલેજ, સંજયની વાતો, હિતેશનું હાસ્ય, જીતાબેનના ગીત, મનીષાના ચટણી અને મમરા, વહેલી સવારે હિંચકા ખાતા એક (નામ નહિ લખું) મિત્ર સાથે બનેલ ઘટના, સુરભી મેડમનું વાત્સલ્ય અને સવાણી સાહેબની શિસ્તબદ્ધતા વગેરે સહિત અનેક મધુર સ્મરણો આજે આટલા વર્ષે પણ એટલા જ તરોતાજા છે.
પરંતુ ૩૧મી ડીસેમ્બર-૧૯૯૩નો સૂરજ કંઈક અલગ જ નિશ્ચય કરીને આવ્યો હશે. શિબિરનો સાતમો એટલે કે છેલ્લો દિવસ હોવાથી ઘેર જવાનો આનંદ તો હતો, સાથે જ નવા મિત્રોનો સહવાસ છૂટવાનું દુઃખ પણ હતું. સાથે જ આ દિવસે મંદિરમાં બીજા માળની છત (સ્લેબ) ભરવાનું કામ શરુ થયું હોવાથી અમારો વિદાય સમારંભ મંદિરથી અંદાજે પચાસેક મીટર સામેની બાજુ આવેલ બગીચામાં ગોઠવ્યો હતો.
સવારના સાડાનવ સુધીમાં સૌ બગીચામાં આવી ગયા. ફક્ત વિદાય ભાષણ કરનારા મહેમાનોની રાહ જોવાઈ રહી હતી. એક તરફ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આપવામાં આવનાર પ્રમાણપત્રોમાં મરોડદાર અક્ષરના માલિક એવા એક-બે તાલીમાર્થી અમારા નામ લખી રહ્યા હતા તો બીજી બાજુ કેટલાક મિત્રો ડાયસની વ્યવસ્થા ગોઠવી રહ્યા હતા. તો પેલી તરફ મજુરોએ કોન્ક્રીટથી મંદિરની અતિ વિશાળ છત ભરવાનું ચાલુ કર્યું હતું.
આ સમયે મારા ભાગે અમારા ઉતારામાંથી બાકી રહી ગયેલ સામાન ભેગો કરીને બગીચામાં લઇ આવવાનું કામ આવ્યું હતું. એક ફેરામાં આવ્યો એટલો સામાન ઉઠાવી બગીચામાં મુક્યો. પંકજનો કેમેરો રૂમમાં ચાર્જ થતો હોવાથી તેને છેલ્લા ફેરામાં લેવાનું નક્કી કર્યું. અને ત્યાર પછી જે થયું તે અકલ્પનીય અને આજ સુધી હૃદયને કંપાવતું રહ્યું છે.
મને પાક્કું યાદ છે કે બરાબર દસ વાગીને દસ મીનીટે જ્યારે છેલ્લા ફેરામાં હું કેમેરો લઇને મંદિર પરિસરથી માત્ર દસેક ડગલાં બહાર નીકળ્યો ત્યાં જ મોટો ધડાકો સંભળાયો. અને એ સાથે જ ચારે તરફ ધૂળની ડમરી છવાઈ ગઈ. કોઈ કારણોસર બીજા માળની ભરાઈ રહેલ નવી છત અચાનક જ પહેલા માળની છત પર પડી. બંને મજલા એક સાથે જમીનદોસ્ત થઇ ગયા. થોડી ક્ષણો તો સાવ શૂન્યમનસ્ક થઇ જવાયું.
હજુ તો જાતને સંભાળું ત્યાં જ ચિચિયારી અને આક્રંદથી કાનના પડદા ફાટવા લાગ્યા. ધૂળની ડમરી દૂર થતા નજર સામે મંદિરના કાટમાળમાં ફસાયેલ-દટાયેલ મજુરોના ક્ષતવિક્ષત દેહ ભળાયા. ધડાકો, દટાયેલાઓનો કણસાટ અને ઘવાયેલાઓની ચીસાચીસ સાંભળીને થોડી જ વારમાં શિબિરાર્થીઓ સહીત આસપાસના લોકો દોડી આવ્યા. પરંતુ આ ભયંકર બનાવને સાવ આટલા નજીકથી જોનાર કદાચ એકમાત્ર કમભાગી સાક્ષી હું જ હતો.
આ અકસ્માતે નવ મજૂરો તો તત્કાળ ભોગ લઇ લીધો હતો. દટાયેલા મજૂરોને બચાવવા માટે સ્થળ પર હાજર હતા તે લોકોએ પોતપોતાની સમજ મુજબ રાહતકાર્ય શરૂ કરી દીધું. ઘાયલ મજૂરોના લોહી-માંસ નીંગળતા શરીર ઊંચકીને જયારે કાટમાળમાંથી બહાર લાવતા હતા તે વખતે સાંભળેલ પીડાયુક્ત ચીસો અને એ કરપીણ દ્રશ્યની ક્રૂરતા મહિનાઓ સુધી રાત્રે ઊંઘમાંથી ઝબકાવી દેતી રહી.
પંદર વર્ષની ભાવપ્રધાન ઉંમરે પહેલીવાર આવી ભયંકર ત્રાસદીનો સામનો કરવો પડેલ. સદભાગ્યે મને શારીરિક ઈજા તો નહોતી થઇ, પરંતુ તે ગોઝારી દુર્ઘટનાનો ડર આજે પણ મનના એક ખૂણામાં ડરાવતો પેઠેલો છે. કદાચ આ કારણે જ આટલા વર્ષો સુધી આ સુંદર સ્થળથી દૂર રહ્યો હોઈશ. આજે છવ્વીસ વર્ષ બાદ જ્યારે માનસ મંદિરના પટાંગણમાં ફરીથી આવ્યો છું ત્યારે અહી ગાળેલ મધુર પળોના સંસ્મરણોની સાથે પેલી દુ:ખદ યાદો હૃદયને ભીંજવી રહી છે. 
- નરેન્દ્ર વાઘેલા

Monday, 6 May 2019

હજુ સમય છે જાગો: અત્યારથી વરસાદી જળના સંગ્રહનું આયોજન કરીએ


છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યના સમાચાર માધ્યમોમાં પાણી માટે દૂર દૂર સુધી રઝળપાટ કરતી મહિલાઓ અને બાળકોના ફોટોગ્રાફ્સ છપાય છે. ક્યાંક કુવાની ભેખડોમાં ઉતરીને જીવના જોખમે પાણી ભરતી બહેનોની હાલત, તો ક્યાંક નદીના પટમાં ઊંડા વીરડા ગાળીને અશુદ્ધ પાણી પીવા માટે મજબૂર થતા લોકોની કફોળી સ્થિતિ જોવા મળે છે.
આપણે બધા જાણીએ જ છીએ કે પંચમહાભૂત માંહેના બીજા તત્વ એવા પાણીને ક્યાંય ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. પાણી મેળવવા માટે તમામ સજીવો નદી-તળાવ, ભૂગર્ભજળ અને વરસાદ ઉપર જ આશ્રિત છે. આ ત્રણ પરિબળો સિવાય પાણી મેળવવાનો ચોથો કોઈ સ્ત્રોત દેખાતો નથી. હાં, ઉપરોક્ત ત્રણેય જલાપૂર્તી સ્થળો ખાલી થઇ જાય તો આ જ પાણી માનવી અને મૂંગા પશુઓની આંખોમાં જરૂર દેખાય છે.
માનવીય ભૂલોના કારણે જાગેલા ‘ગ્લોબલ વોર્મિંગ’ નામના રાક્ષસે વરસાદને અનિયમિત કરી દીધો છે. નદી-તળાવના પાણીને કાંતો આપણે જાતે જ બગાડી મુક્યા છે અથવા તો માટી કે અન્ય કચરા વડે તેને પૂરી દીધા છે. અને રહી વાત ભૂગર્ભજળની... એને તો આપણે ક્યારનુંય ચૂસી-ચૂસીને ઊંડા પાતાળમાં મોકલી દીધું છે.
મને યાદ છે આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલા પીવા માટે જરૂરીયાત કરતા વધારે ભરેલો પાણીનો પ્યાલો પણ વડીલો દ્વારા ઠપકો અપાવી જતો. કારણકે દસ-બાર કિલોમીટર દૂર આવેલ ‘ડંકી’ પરથી રેશનીંગ પદ્ધતિએ આણેલ પાણીનું એક ટીંપુ પણ બગડે તે પોસાય તેમ નહોતું.
તમને પણ યાદ જ હશે કે આજથી બાર-પંદર વરસ પહેલા રાજ્યમાં ગામેગામ ચેકડેમો છલકાતા હતા. પરંતુ ‘આરંભે શૂરા’ તરીકે ઓળખાતા આપણે ગુજરાતીઓએ ચેકડેમનું તો નામ પણ કદાચ વિસારી દીધું છે. પછી તેની સારસંભાળ કે નવા આયોજનની તો વાત જ ક્યાં કરવી. પરંતુ હજુ પણ સમય છે, જાગ્યા ત્યારથી સવાર એમ ગણીને જો ફરીથી ચેકડેમ તરફ નિહાળવામાં આવે તો ચોક્કસ સારા પરિણામો મળશે.
વરસાદી પાણી રોકવા માટે સહિયારા પ્રયત્નો થવા ખૂબ જરૂરી છે. હયાત ચેકડેમ, તળાવ કે ખેત-તલાવડીઓને ઊંડા કરી, તેની મરામત કરી અથવા તો નવા બનાવીને ચોમાસા પહેલા વરસાદના પ્રસાદ એવા જળને સંઘરવાનો ઉપાય કરી લઈએ. કમસે કમ આપણા કુવા કે બોર રીચાર્જ કરવાની વ્યવસ્થા તો ચોક્કસ કરીએ. નહી તો આગામી સમયમાં બધાંએ રાતેપાણીએ રોવાનો વારો આવશે. અને આ કોઈ કવિની કલ્પના નહી પણ હકીકત છે.