Friday, 15 December 2017

સાચી સુંદરતા

પ્રસિદ્ધ ગ્રીક તત્વજ્ઞાની સોક્રેટીસ એકવાર પોતાના ઓરડામાં અરીસાની સામે ઊભા રહી, પોતાના ગોળમટોળ ચહેરાને એકીટશે જોઈ રહ્યા હતા. એવામાં અચાનક એક શિષ્ય તેમના ઓરડામાં દાખલ થયો. અરીસાની સામે સોક્રેટીસને ઊભેલા જોઈ એ હાસ્ય રોકી ના શક્યો.
ખડખડાટ હસવાના અવાજથી સોક્રેટીસનું ધ્યાન એ તરફ ગયું. શિષ્યને હસતા જોયો એટલે સોક્રેટીસે તેને કહ્યું, ‘તું શા માટે હસે છે એ મને ખબર છે ! સફેદ દાઢી, ટાલીયું માથું અને કરચલીવાળો ઘરડો ચહેરો હોવા છતાં હું અરીસામાં જોઉ છું એટલે તું હસે છે... કેમ બરાબર ને ? પણ કદાચ તું જાણતો નહિ હોય કે, આ કઈ આજની વાત નથી. હું તો દરરોજ ખાસ્સો એવો સમય આ જ રીતે અરીસા સામે ગાળું છું.’
થોડો વિચાર કરીને તે શિષ્યે સોક્રેટીસને પૂછ્યું, ‘ચહેરો જો સુંદર, રૂપાળો, મનમોહક હોય અને અરીસો જોઈએ તો કંઇક મજા આવે. માફ કરજો પણ.... આવો કુરૂપ ચહેરો જોઈને દુઃખી શા માટે થવું ?’
અર્થસભર સ્મિત કરીને સોક્રેટીસે કહ્યું કે, ‘બેટા, હું મારા આ કુબડા ચહેરાને દરરોજ અરીસામાં જોઉં છું. તેનાથી મને એ વાત સતત યાદ રહે છે કે મારું શરીર ગમે તેટલું કદરૂપું હોય પણ લોકો મને મારા કાર્યો અને વિચારોથી યાદ રાખે છે. તું ધારે તો તપાસ કરી શકે છે કે આ જેટલા પણ લોકો મને ચાહે છે, તેઓને ફક્ત મારા કાર્યોની સુંદરતાને કારણે, મારા ચહેરાને કારણે નહીં.’
થોડી અસમંજસમાં હોય તે રીતે પ્રતિભાવ આપતા શિષ્યએ પૂછ્યું, ‘તો પછી જે લોકો સુંદર હોય એણે શું સમજવું ?’
જીવનને જાણી ચૂકેલા સોક્રેટીસે પ્રેમથી શિષ્યને પ્રત્યુત્તર આપ્યો, ‘સુંદર દેખાવવાળા લોકોએ પણ દરરોજ અરીસામાં જોઇને એમ વિચારવું જોઈએ કે, ઈશ્વરે મારા પર દયા કરીને કેવી અદભુત સુંદરતા આપી છે. હું પ્રયત્નપૂર્વક એ વાતનું ધ્યાન રાખીશ કે એવું કોઈ ખરાબ કાર્ય મારાથી ન થઇ જાય કે જેને લીધે લોકો મારા આ સુંદર ચહેરાને ભૂલી જાય.’
મિત્રો, આપણો ચહેરો રૂપાળો હોય કે કુરૂપ હોય પરંતુ દરરોજ તેને અરીસામાં જોઇને મહાન સોક્રેટીસની આ વાતને ચોક્કસ યાદ કરજો.

Saturday, 2 December 2017

પ્રકૃતિ તરફ પુન:પ્રયાણ

મિત્રો, સમૃદ્ધ ખેતી સામયિક પ્રકાશિત કરતા જી-વીન ગૃપના લોગો સાથે આપે એક નીતિસૂત્ર વાંચ્યું હશે RECONNECT WITH NATURE  એટલે કે ‘પ્રકૃત્તિ તરફ પુનઃપ્રયાણ’. આપણે કેટલીયે વખત વાતવાતમાં કહેતા-સાંભળતાં હોઈએ છીએ કે, ‘હવે પહેલા જેવું નથી રહ્યું...’ અગાઉના સમયનું જીવન જ ખરું અને સાત્વિક જીવન હતું...’ ‘હવે તો માત્ર જીવનનો સમય પસાર કરતા હોય તેવું લાગે છે...’ ‘સાચો ખોરાક અને સાચા હવા-પાણી તો હવે માત્ર સપનું જ રહ્યું છે...’ આજની પેઢીને ખેતી કે ગામડું ક્યાં ગમે જ છે...? વગેરે વગેરે. પરંતુ શું ક્યારેય આપણે નીરાંતવા બેસીને વિચાર્યું છે કે આ પરિવર્તન આવ્યું કઈ રીતે ? અને તેને લાવ્યું કોણ ? વિચારશો તો ચોક્કસ જવાબ મળશે કે ‘તેનું કારણ આપણે પોતે જ હતા !’
Reconnect to Nature
મેં એવા અનેક માં-બાપોને પોતાના બાળકોને સતત એવું કહેતા સાંભળ્યા છે કે, ‘ભણો...ભણો... નહીતર અમારી જેમ ખેતી-મજૂરી કરવી પડશે અને ખેતી કરવી તમારું કામ નહિ !’ બેશક આમ કહેવા પાછળ વાલીઓએ પોતે સહન કરેલ અનેક સમસ્યાઓ ઈતિહાસ અને સંતાનોના સારા ભવિષ્યની કામનાનો આશય હશે. પરંતુ મનોવિજ્ઞાનના નિયમ અનુસાર તત્કાલીન પેઢીના બાળમાનસમાં બે વાતો ઘર કરી ગયેલી. એક તો ખેતીનું કોઈ ભવિષ્ય નથી અને બીજું અમારાથી (ભણેલાથી) ખેતી ન થાય/કરાય. આ માનસિક/કાલ્પનિક ડર આજે પણ યુવાનોને ખેતીથી દૂર રાખવામાં મહદંશે સફળ રહ્યો છે.
મિત્રો, જેમ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે તેમ ઉપરોક્ત ચિંતાના નિવારણ સબબ જી-વીન ગૃપનું નીતિસૂત્ર ‘પ્રકૃત્તિ તરફ પુનઃપ્રયાણ’ રામબાણ સાબિત થઇ શકે તેમ છે. આજે અનેક યુવાનો પ્રકૃત્તિ તરફ પાછા ફરવાના અભિયાનનો આરંભ કરી ચૂક્યા છે. ખાસ કરીને ખેતીક્ષેત્રે આવીને સફળ થઇ રહેલા કેટકેટલાય યુવાન, ઉદ્યમી, સાહસિક ખેડૂતો દેશના ઉજ્જવળ ભવિષ્યની રેખાને વધુ મજબૂત અને વધુ પ્રકાશમાન કરી રહ્યા છે. આ ગુજરાતી યુવાનોમાંથી અમુક નામો ગણાવીએ તો બોરીયાવી (આણંદ)ના દેવેશ પટેલ, વડાલ (જુનાગઢ)ના રેશમા અને સંદીપ પટેલ, અવાખલ (વડોદરા)ના વિપુલ નવનીતભાઈ, પાલનપુરના મંદાકિની રાઠોડ, દેવકી ગાલોળ (જેતપુર)ના ચિરાગ શેલાડીયા, તાલાળા (ગીર)ના પરવેઝ કુરેશી, ઢોલરા (રાજકોટ)ના ધ્રુવલ પટોળીયા વગેરે જાતે ખેતી કરી અને ખેતીને એક ઉદ્યોગના દરજ્જે લઇ ગયા છે.
આજે આવા અસંખ્ય યુવાનો ગામ, રાજ્ય, રાષ્ટ્રનું ભાવિ પ્રકાશવા પ્રકૃત્તિ તરફ પાછા વળવાની રાહ જોઇને ઉભા છે. જરૂર છે માત્ર એક હળવા ‘પુશ’ ની... મિત્રો, લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તા. ૯ અને ૧૪ ડીસેમ્બર ના રોજ મતદાન કરવાનો અવસર આવી રહ્યો છે. આ તકે ગુજરાતના તમામ નાગરિકો સાથે મળીને પોતાના મતાધિકારનો નિર્ભયતાથી અને વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેમજ રાષ્ટ્રને હરિયાળા વિકાસના માર્ગ પર લઇ જનાર સરકારની રચના કરે તેવી શુભકામનાઓ સાથે...