મિત્રો, ખૂબ જ નજીકના સમયમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી
રહી છે. દરેક રાજકીય પક્ષ પોતપોતાના એજન્ડા અને નીતિઓ મુજબ મતદારોને આકર્ષવાનો
ભરપુર પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ વાત કરવી મને ખૂબ જરૂરી લાગે છે. છેલ્લા
કેટલાય સમયથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. પક્ષ-વિપક્ષ દ્વારા યેનકેન
પ્રકારે પ્રજામાં પોતાના તરફી વાતાવરણ ખડું કરવા માટે વિવિધ પ્રકારના આયોજનો થઇ
રહ્યા છે અને ચૂંટણી પૂરી થયા સુધી થતા જ રહેશે. આપણું સામાયિક કૃષિલક્ષી હોવા
છતાં રાજકારણની આ વાત અહી એટલા માટે કરી રહ્યો છું કે, આ સમયગાળામાં જો આપણે થોડીઘણી
સાવચેતી રાખીએ તો ગુજરાતી પ્રજાની જગજાહેર અસ્મિતાને ક્યાંય દાગ ન લાગે.
આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણીની મોસમ તો એક-બે માસમાં પૂરી થઇ જશે,
જે-તે પક્ષની બહુમતી અથવા તો જોડ-તોડ દ્વારા ગઠબંધનની નવી સરકાર પણ બની જશે. પરંતુ
આ સમય દરમ્યાન જે ચૂંટણી પ્રચાર થવાનો છે તેમાં હુંસાતુંસી કે પોતાની વિચારધારા જ
મહાન છે તેવું દર્શાવવામાં એટલી કાળજી અવશ્ય લેવી ઘટે કે આપણા આપસના સંબંધો કે
એકબીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે. આપણાથી એવો વ્યવહાર કે વર્તન ન થાય એનું ધ્યાન
રાખીએ. ચુંટણી પ્રચારના જોશમાં કોઈના ધર્મ-રીત-રીવાજ-માન્યતાઓનો અનાદર ન થાય તેનો
ખાસ ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે.
મિત્રો, ચૂંટણી એ આપણા સહુની સગવડ માટે, સારી શાસન વ્યવસ્થા બને તે
માટે યોજવામાં આવે છે. પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે ચૂંટણી સમયના એવા કોઈક
બનાવો - ઘટનાઓ કે બેજવાબદારીપૂર્ણ અપાયેલા નિવેદનો અને મંતવ્યોને લઈને બે સમાજ, બે
વ્યક્તિ કે પરિવારની અંદર જ વેરઝેર બંધાઈ ગયા હોય. વિવિધતામાં એકતા અને બંધારણમાં
અપાયેલ સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું જતન કરવું એમાં જ આપણું ખમીર, આપણી અસ્મિતા
સમાયેલી છે.

વિક્રમ સંવત ૨૦૭૪ ના નૂતન વર્ષે આપણે સંકલ્પ કરીએ કે ગુજરાતીપણાની
વિવિધતામાં સમાયેલી સાચી અસ્મિતાને આમ જ આગળ વધારતા જઈને રાષ્ટ્રને સમૃદ્ધ ખેતી
દ્વારા હરિયાળા વિકાસના માર્ગે આગળ લઇ જઈએ. દેવદિવાળી અને ગુરુ નાનકદેવ જયંતી (૪
નવે.) તેમજ સમગ્ર વિશ્વને કર્મયોગનો રાહ ચીંધનાર શ્રીમદ્ ભગવદગીતા જયંતી (૩૦ નવે.)
ની શુભકામનાઓ સાથે...
No comments:
Post a Comment