Wednesday, 6 September 2017

માનસિકતાનો વિકાસ

મિત્રો, જે લોકોને નિયમિત રૂપે અખબારો કે પત્રિકાઓમાં ખાસ કરીને કૃષિલક્ષી સમાચારો વાંચવાની ટેવ હશે તેઓ જાણતા જ હશે કે ખ્યાતનામ સર્વે એજન્સીઓ દ્વારા થતી મોજણી મુજબ દેશના જી.ડી.પી.માં કૃષિ ક્ષેત્રનું યોગદાન વર્ષ ૨૦૦૪-૫ થી લઇને આજ દિન સુધી અભૂતપૂર્વ રીતે સરેરાશ ૯ ટકાના દરે વધી રહ્યું છે. પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં જોઈએ તો આજે પણ ખાસ સુધારો થયો હોય તેવું છાતી ઠોકીને કહી શકાતું નથી. સતત સંશોધન પામતા નવા બિયારણો અને ખાતરો, નવીનવી ખેતી પદ્ધતિઓ, કેટકેટલી સરકારી યોજનાઓ વગેરેથી ખેતીના ટર્નઓવરનો આંકડો ચોક્કસ મોટો થતો ગયો છે, પરંતુ ગામડામાં વસતા છેવાડાના ખેડૂતની આવકની રકમમાં એકડા પાછળ કેટલા નવા મીંડા ઉમેરાયા તે સવાલ કોઈ યક્ષપ્રશ્નથી કામ નથી.
આપણા દેશમાં જાહેર થતા રાષ્ટ્રીય વિકાસ દરની જેમ જ વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય સુખાકારી આંક પણ જાહેર કરવામાં આવતો હોય છે. જેના પરથી જાણી શકાય કે તે દેશો સામાન્ય નાગરિક કેટલો સુખી છે. શું આપણા ગામડાઓમાં રહેતા લોકો આજે ખરેખર ખુશ છે ? આજે ભલે ગામડાઓમાં ટી.વી., ફ્રીજ, વોશિંગ મશીન, ઇન્ટરનેટ પહોંચી ગયા હોય પણ જનસામાન્યના સુખાકારી આંકમાં ઘટાડો આવ્યો છે તેવું ન માનવા માટે કોઈ નક્કર કારણ દેખાતું નથી. તેમાં માત્ર સરકાર કે માત્ર ખેડૂત વર્ગ જ જવાબદાર નથી. પરંતુ ૨૧ મી સદીના માણસની માનસિકતા જ સમગ્રતયા કારણભૂત છે. સરકાર પણ આખરે તો આપણામાંથી જ ચૂંટાયેલા લોકોની બનેલી હોય છે ને !!
વાત કોઈની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાથી પૂરી નથી થઇ જતી. જરૂર છે સ્વયંની માનસિકતાને સુધારવાની શરૂઆત કરવાની. ‘સર્વે ભવન્તુ સુખિનઃ અને ‘બહુજનહિતાય બહુજનસુખાય’ના વેદવાક્ય પરથી બોધ લઈને, માત્ર મારો જ વિકાસ થાય એવું સ્વાર્થી વલણ છોડી, મારી સાથે મારા પરિવારનો, ગામનો, રાજ્યનો, દેશનો અને અંતે સમગ્ર વિશ્વના લોકોની માનસિકતાનો વિકાસ થાય એવી ભાવના સાથે કાર્ય કરવાની શરૂઆત કરીએ. આપણા ભાગે જે કામ આવ્યું હોય તે માટે બસ, આ મારું જે કામ છે અને તે મારે પૂરી નિષ્ઠાથી કરવાનું જ છે... આ વાક્યને વેદવાક્ય માની લઈએ. ગામના તલાટીમંત્રીથી માંડીને દેશના પ્રધાનમંત્રી સુધી વચ્ચે આવતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, નેતાઓ, પોલીસ, પત્રકારો, વિવિધ વ્યવસાયીઓ તથા દરેક નાગરીકો વગેરે આપણે સૌ એક નાનકડી શરૂઆત કરીએ તો જી.ડી.પી. જેવા આંકની ગતિને ક્યાંય પાછળ છોડી દઈશું.
મિત્રો, આ માસ દરમ્યાન એવા અનેક પર્વ-પ્રસંગો આવી રહ્યા છે કે જેની ઉજવણી થકી આપણે સહુ પોતાના બીબાંઢાળ જીવનમાં થોડી તાજગીની ક્ષણો ઉમેરી શકીએ. જેમકે આપણને સાક્ષર બનાવનાર શિક્ષકોને પ્રેમથી સ્મરવાનું જ્ઞાનપર્વ શિક્ષક દિવસ (૫ સપ્ટેમ્બર), આપણા પૂર્વજોના સ્મરણ-પૂજાનું પિતૃપર્વ શ્રાદ્ધપક્ષ (૬ થી ૨૦ સપ્ટેમ્બર), દૈવીની નૃત્યઆરાધના વડે જીવન ચેતનાની ઊર્જા જગાડતું શક્તિપર્વ નવરાત્રી (૨૧ થી ૨૯ સપ્ટેમ્બર) અને અસત્ય પર સત્યના વિજયનું જયપર્વ એટલે કે વિજયા દશમી (૩૦ સપ્ટેમ્બર) વગેરે. આ તમામ પર્વ-પ્રસંગો માટે સમૃદ્ધ ખેતી પરિવારની શુભકામનાઓ સાથે...

No comments:

Post a Comment