Friday, 7 July 2017

વધારાની થાળી

એક નિવૃત સજ્જન રમેશભાઈ છેલ્લા ૧૫ વર્ષથી ‘સંત વૃદ્ધાશ્રમ’ ચલાવી રહ્યા હતા. પોતે પણ ત્યાં જ રહી લગભગ ૬૦-૬૫ વૃદ્ધોને સાચવે અને અંગત સ્વજનથી પણ વિશેષ ધ્યાન રાખે. સંસ્થામાં પૈસાની સતત ખેંચ છતાંય તેઓ આશ્રમ નિવાસી વૃદ્ધોને કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. એક બપોરે આશ્રમના મુનિમે આવીને રમેશભાઈને કહ્યું, ‘ભાઈ, આપણી સંસ્થાની આર્થિક સ્થિતી ભયંકર રીતે ખરાબ છે. આજે તો સાંજના ભોજનની વ્યવસ્થા પણ થાય તેમ નથી. લાગે છે કે આપણે બધાએ આજે ભૂખ્યા રહેવું પડશે.’ રમેશભાઈ અને મુનિમ જ્યારે કાર્યાલયમાં બેસીને આ વાત કરતા હતા, ત્યારે મેદાનમાં હરતા-ફરતા, ભજન ગાતા, આનંદ કરતા વૃદ્ધોને આ ગંભીર બાબતનો જરા સરખો અણસાર પણ નહોતો. રમેશભાઈ આંખો બંધ કરી મનોમન પ્રભુને ઠપકો દેવા લાગ્યા. ‘હે હજાર હાથવાળા, તું પણ કેવી કસોટી કરે છે ? સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધોની સેવાનો સંકતે જ લેવડાવ્યો છે. હે વ્હાલા, તે જ મારે હાથે રડતાની આંખના આંસુ લુછાવ્યા છે, આજે એ ચહેરા પર આંસુ આવશે તો તે તને ગમશે ? તું કરુણાસાગર કહેવાય છે, છતાંય આજે આ પરિસ્થિતિ ? ભલે વ્હાલા, જેવી તારી મરજી...!’

સાંજ પડી, વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં બનેલ મંદિરમાં સાયં આરતીની તૈયારી થઇ રહી હતી. રમેશભાઈએ સ્વયંસેવકોને ટેબલ પર થાળીઓ ગોઠવવાની સૂચના આપતા કહ્યું કે, ‘આજે એક થાળી વધારે રાખજો.’ બાજુમાં ઉભેલા મુનિમે આશ્ચર્ય સાથે રમેશભાઈને પૂછ્યું કે, ‘સાહેબ, આજે રસોડામાં કાંઈ રસોઈ બની નથી. અને છતાંય એક થાળી વધારે મુકાવો છો ? હું તો કહું છું કે આ વડીલોને આખી પરિસ્થિતિ જણાવી દઈએ. તેઓ સમજુ છે એટલે આજે સાંજનું ભોજન માંગશે નહિ !’ રમેશભાઈને ઈશ્વર ઉપર અપાર શ્રદ્ધા હતી કે, ‘મારો વ્હાલો કોઈને ભૂખ્યા નહીં રાખે.’ જમવાનો સમય નજીક આવતો હતો. ઈશ્વર અને રમેશભાઈની શ્રદ્ધા એમ બેયની કસોટી હતી. અચાનક ફોનની ઘંટડી રણકી. મુનિમે ફોન ઉઠાવ્યો. સામેથી અવાજ આવ્યો, ‘હેલ્લો... સંત વૃદ્ધાશ્રમ ? હું દલીચંદ શેઠનો દીકરો બોલું છું. મારે આપના સંચાલકને એક નમ્ર વિનંતી કરવાની છે.’

‘ચાલુ રાખો...’ કહી મુનિમે રમેશભાઈને ફોન આપ્યો. શેઠના દીકરાએ આગળ વાત કરી. ‘રમેશભાઈ, આજે અમે મારા પિતાજી દલીચંદ શેઠના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ હતો. પણ અચાનક તેઓની તબિયત બગડતાં આ કાર્યક્રમ રદ કરવો પડેલ છે. લગભગ ૬૫-૭૦ માણસની રસોઈ તૈયાર છે. તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ ? અને સાથે જ તેમના જન્મદિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને એક લાખનું અનુદાન પણ આપવા ઇચ્છુક છે.’ રમેશભાઈએ સજળ આંખે અને ડૂમો બાઝેલા ગળે હા પાડી. થોડીવારમાં જ રસોઈ આવી ગઈ. છેલ્લા કેટલાય વર્ષોથી ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો આજે ખૂબ ખુશ હતાં. રસોઈ આપવા આવનાર એક લાખનો આશ્રમના નામનો ચેક મુનિમને આપી ગયો.

રમેશભાઈ મનોમન શામળીયા શેઠ જેવા દલીચંદ શેઠનો આભાર વ્યક્ત કરવા લાગ્યા. બધાએ જમી લીધા બાદ મુનિમે રમેશભાઈને કહ્યું, ‘ભાઈ, વંદન છે તમારી ઈશ્વર ઉપરની શ્રદ્ધાને. મને તો એમ હતું કે આજે ભૂખ્યા જ સૂવું પડશે. પણ તૈયાર અને ભાતભાતની રસોઈ આવી ગઈ. પરંતુ ભાઈ, એક વાત ના સમજાણી ! આપે આજે એક થાળી વધુ કેમ રખાવેલ ??’ રમેશભાઈએ જવાબ આપ્યો, ‘એ વધારાની થાળી મારા વ્હાલા મોરલીવાળા શામળીયાની. આજે મેં એને કહી દીધેલું કે, જો આજે અમે ભૂખ્યા રહેશું તો... તો ભલે તું જગતનો નાથ હોય શામળીયા... પણ અમારી સાથે તારે પણ ભૂખ્યા રહેવું પડશે.’

મિત્રો, હંમેશા બધાનું ભલું થાય તેવી કામનાથી ઈશ્વરમાં શ્રદ્ધા રાખીએ, એ અવશ્ય બધાનું સારું કરશે.

સંકલ્પ શક્તિ


આખી દુનિયા જેના ગુણ ગાય છે તે આપણા ભારતીય વેદમાં એક સૂત્ર છે : ભાવો હી વિદ્યતે દેવા: અર્થાત ‘ભાવથી જ દેવ બને છે...’ આપણે જે વિચારીએ છીએ તે ચોક્કસપણે કરી શકીએ છીએ. શુદ્ધ મનથી કરેલ સંકલ્પ (ભલે થોડો વહેલો મોડો પણ) હંમેશા ફળીભૂત થાય જ છે. વર્ષો પહેલા આપણા તત્કાલીન વડાપ્રધાન ‘ભારતરત્ન’ અટલ બિહારી વાજપેઈએ એક સ્વપ્ન જોયેલું કે, ‘જો દેશની નદીઓને પરસ્પર સાંકળી લીધી હોય તો જે વિસ્તારોમાં વારંવાર દુષ્કાળની સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યાં પાણીની સગવડ મળી રહે અને જે વિસ્તારોમાં નદીના આ વધારાના જળપ્રવાહને લીધે વારંવાર પુર કે હોનારતનો સામનો કરવો પડે છે તે વિસ્તારોનું સંકટ હળવું બને.’
આજે દેશના બીજા ભાગોમાં સ્થિતિ જે હોય તે પરંતુ ગુજરાતની ભૂમિ ઉપર વાજપેયીજીનો આ અટલ સંકલ્પ આકાર લઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ સૌની યોજના મારફત રાજ્યની નદીઓને પરસ્પર (ભલે કેનાલ કે પાઈપ લાઈન વડે) જોડાવાનું કાર્ય શરૂ થઇ ચુક્યું છે. દક્ષિણ ગુજરાતની મોટી નદીઓના સમુદ્દ્રમાં નિરર્થક ભળી જતા પાણી હવે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોની નદીઓને સજીવન કરી રહ્યા છે. આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણી પેઢીને મળ્યું છે તે ખરેખર ગૌરવની વાત છે. એક સમયે જ્યાં રેલ્વે મારફત પીવાના પાણી પુરા પાડવાની મથામણ કરવી પડતી હતી, તેવા સદાયના તરસ્યા મારા રાજકોટના મહત્વના જળસ્ત્રોત આજીડેમમાં આજે નર્મદાના નીર હિલોળા લઇ રહ્યાં છે. આ દ્રશ્ય જોઇને થતી લાગણી શબ્દાતીત છે.
રામચરિતમાનસમાં મહાત્મા તુલસીદાસજીએ ભગવાન શ્રીરામનું વર્ણન કરતા લખ્યું છે કે, ‘ગીરા અનયન, નયન બીનું બાનિ...’ એટલે કે જે આંખો શ્રીરામને જુએ છે તે બોલી શક્તિ નથી અને જે જીભ વર્ણન કરી શકે છે તે પ્રભુના દર્શન કરી શકતી નથી. મિત્રો, લાખો એકર ભૂમિ અને કરોડો લોકોની પ્યાસ બુજાવનાર નર્મદાના નીર પણ ઈશ્વરરૂપ જ છે અને તે જ્યારે રાજકોટની ભૂમિ પર અવતરિત થયા છે ત્યારે મારી મન:સ્થિતિ પણ કંઈક આવી જ છે. રાજકીય વિરોધ-આરોપબાજી કે રાજકારણને બાજુએ રાખીને સમગ્ર રાજકોટ રેવાના પવિત્ર નીરને વધાવી રહ્યું છે ત્યારે આશા રાખીએ કે દેશના દરેક ભાગમાં વસતા લોકોને અટલ સંકલ્પ શક્તિનો સાક્ષાત્કાર થાય અને આપણું વ્હાલું રાષ્ટ્ર સૌના હરિયાળા વિકાસ માટે સમૃદ્ધ ખેતી તરફ ગતિ કરે...
ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા જ્ઞાનપર્વ - વ્યાસ પૂનમ કે ગુરૂપૂર્ણિમા (૯ જુલાઈ) તેમજ રાષ્ટ્રના રક્ષક સૈનિકોનું શક્તિપર્વ  - કારગીલ વિજય દિવસ (૨૬ જુલાઈ) શુભકામનાઓ સાથે...