Saturday, 29 April 2017

વિકાસ... વિકાસ... વિકાસ...

મિત્રો, આજે આખું જગત ગાઈ રહ્યું છે કે એકવીસમી સદી એ તમામ ક્ષેત્રોના વિકાસની સદી છે. અને આ વાત સો ટચના સોના જેટલી જ સાચી છે. હાલમાં મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, અવકાશી સંશોધનો, વાહન વ્યવહાર, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં આવેલ અતિવિકસિત ટેકનોલોજીએ માણસને વિશ્વ માનવ બનાવી દીધો છે. જુનાગઢના કોઈ ગામડામાં બેઠેલો ખેડૂત અમેરિકા જેવા દેશમાં દેશી સ્વાદના મસાલાની નિકાસ કરતો હોય તો તે કોઈ સામાન્ય ઘટના નથી. ટેકનોલોજીની આ હરણફાળે ચમત્કારીક કહી શકાય તેવી આ વ્યવસ્થા ખારેખર શક્ય બનાવી દીધી છે. વિશ્વના એક છેડે બેઠેલો માણસ એજ ક્ષણે, દુનિયાના બીજા છેડે બેઠેલા કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકે છે. આ વિકાસ સાકાર થયો છે ટેકનોલોજીની કમાલથી....
Leader Mayavati Statues at Lucknow
આજે મારે વાત કરવી છે દેશમાં વિકાસની ધરીના બે ધ્રુવો પર જીવતા પરસ્પર વિરોધી બે છેડાના માણસોની... તાજેતરમાં જ મેં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી. રાજધાની લખનૌમાં ઊંચા ઊંચા બિલ્ડીંગ્સ, શાહી નિવાસો, આધુનિક મોલ, ઓવર બ્રીજ, એક્સપ્રેસ હાઇવે, મોંઘી ગાડીઓ, મેટ્રો રેલ, કિંમતી પથ્થરોના ગંજ ખડકીને બનાવવામાં આવેલ કહેવાતા રાજનેતાઓના સ્મારકો, વિશાળ હોર્ડીન્ગ્સ-બેનરોને જોઇને બોલાય ગયું કે વાહ ! આને કેવાય વિકાસ...
...પણ આ શું ? લખનૌથી માત્ર ૫૦-૧૦૦ કિલોમીટર દૂર નીકળતા જ સાવ ચોંકી જવાયું ! મિત્રો, આટલી હદે ગરીબી, બેકારી અને ખેડૂતોની દયનીય હાલત મેં આપણા ગુજરાતમાં ક્યાંય જોઈ નથી. આખા રસ્તે એ સમજવું ખૂબ અઘરૂ લાગ્યું કે કાચા-તૂટેલા મકાનોના ભારથી પડું-પડું થઇ રહેલ આ છૂટક ગામડાઓને હજી સુધી કયું તત્વ ટકાવી રહ્યું છે. અહી તો આગળ જોયેલા વિકાસના નામનું તો સરનામું પણ શોધ્યું જડતું ન હતું.
અમારો ટેક્સી ડ્રાઈવર એક ખેડૂત પરિવારમાંથી આવતો હતો. તેની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે અહી પાકું મકાન માત્ર કોઈ નેતાનું કે જમીનદારનું જ હોય. બાકી મોટાભાગે બધા ખેડૂતો કાચા, ગાર-માટીના મકાનોમાં જ રહે છે. મોટા પરિવાર, ટૂંકી જમીનો અને ખેત ઉપજના સાવ તળિયાના ભાવ મળતા હોવાથી ખેડૂતો માટે રોજીંદો જીવન ખર્ચ કાઢવો પણ કપરો હોય છે, ત્યાં પાકા મકાનની વાત તો ક્યાંય દૂર રહી. વળી રોડ-રસ્તાની અપૂરતી સગવડને લીધે અહીના અંતરિયાળ વિસ્તારોમાં ઈંટ-રેતી-સિમેન્ટ પણ ખૂબ જ મોંઘા મળતા હોવાથી કોઈ ખેડૂત કે ખેતમજૂર પોતાનું પાકું મકાન બનાવી શકે તેવી કોઈ શક્યતા જ રહેતી નથી. ‘જેના હાથમાં ઢાલ, તેના મોમાં માલ...’ની નીતિથી થયેલ શાસનને જોનાર ત્યાંના કેટલાક વડીલ ખેડૂતો કહે છે કે આ નવી સરકાર અમારા માટે ચોક્કસ કૈક કરશે તેવી આશા બંધાણી છે.
મિત્રો, આઝાદીના આટલા વર્ષો પછી પણ જો ગામડાની, ખેડૂતની આવી દશા હોય તો સહેજે પ્રશ્ન થાય કે આ વિકાસની ગતિ છે કઈ તરફ ? શું ટેકનોલોજીનો લાભ લેવો માત્ર શહેરો કે અમુક ગણ્યાગાંઠ્યા લોકોના નસીબમાં જ હોય. ખેર, ઉત્તર પ્રદેશના નાગરિકોની આશા ફળીભૂત થાય અને વિકાસનું તત્વ સમગ્રતયા જોવા મળે તેવી શુભકામનાઓ સાથે ચાલો, આપણા રાષ્ટ્રને સમૃદ્ધ ખેતીના હરિયાળા માર્ગ પર લઇ જવાનો પ્રયાસ કરીએ.

પ્રસંગ કે પરતંગ

મિત્રો, ભારતીય કેલેન્ડર મુજબ આગામી સમય એટલે કે ચૈત્ર-વૈશાખ માસ દરમ્યાન ખેતી કાર્યોમાં થોડી હળવાશ મળતી હોવાથી ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના ગામ-શહેરોમાં વિવિધ ધાર્મિક કથા-પારાયણો, સમૂહ લગ્નો તેમજ અન્ય કેટલાય સામાજિક ઉત્સવોનું આયોજન થતું હોય છે. વર્ષભર રોજીંદી એકસરખી બીબાઢાળ જીંદગી જીવતા માણસના માનસમાં આવા પ્રસંગો નવો જુસ્સો અને નવું જોમ ભરી દેતા હોય છે. અને તે સામાજીક પ્રાણી ગણાતા માનવ માટે ખૂબ જરૂરી પણ છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે ઉમંગભેર કરવામાં આવેલી આવી ઊજવણીઓ પર્યાવરણ માટે ખૂબ હાનીકારક બની જતી હોય છે.

અહી આવા પ્રસંગો ઉજવવાનો વિરોધ કરવાની ની કોઈ જ વાત નથી.. કેમકે ઉત્સવ વગરનું જીવન ખરેખર બોજારૂપ હોય છે. પણ મુદ્દાની વાત બીજી છે. તમે જોયું હશે કે કથા-સપ્તાહ-સમૂહ લગ્નો કે આવા અન્ય કોઈપણ સામાજીક-રાજકીય પ્રસંગોમાં ભોજનની વ્યવસ્થા તો હોવાની જ. કથા સાંભળવા આવનાર શ્રદ્ધાળુ, લગ્નમાં આવેલ મહેમાનો કે મત મેળવવા માટે મંગાવેલ મેદનીને ભૂખ્યા થોડા રખાય ! ના..ના.. ન જ રખાય. એમની ક્ષુધાપૂર્તિ માટે વિશાળ રસોડા ધમધમતા હોય છે. સેંકડો-હજારો-લાખો લોકો મનગમતા પકવાનો આરોગીને ઓડકાર ખાતા હોય એ દ્રશ્ય કેવું સુંદર લાગે છે.

પણ ક્યારેય કોઈએ આ રસોડાની પાછળ થોડે દૂરનું દ્રશ્ય જોયું છે ? આજકાલ ધોવા-વીછળવાની કડાકૂટથી બચવા માટે થર્મોકોલ અથવા પ્લાસ્ટીકમાંથી બનાવવામાં આવેલ ‘યુઝ એન્ડ થ્રો’ વાસણોનો ભરપૂર ઉપયોગ થાય છે. એક વખત વપરાશ થયા બાદ તરછોડી દેવાયેલ આવા છાસ-પાણીના પ્યાલા, ચા-કોફીના કપ, નાનીમોટી પ્લેટો, વાટકાઓ (જે ક્યારેય માટીમાં ભળી જઈને ઓગળતા નથી) ખેતર, વાડ, રસ્તા પર સતત ઉડતા-આળોટતા રહે છે. કેટલાક સફાઈ પ્રેમીઓ તો આવા વાસણોને ભેગા કરીને ભડકો પણ કરી દેતા હોય છે. જેના લીધે ફેલાતો કાળો ધુમાડો હવાનો પણ શ્વાસ રૂંધાવી દે છે. શું પર્યાવરણને નુકસાન પહોંચાડીને શું આપણે સુખી-સ્વસ્થ રહી શકીશું ?

મિત્રો, અગાઉના સમયમાં પણ પ્રસંગો ઉજવાતા જ હતા ને ! તો શું હાલ આ પ્રસંગોમાં આયોજિત થતા જમણવારમાં અગાઉની જેમ સ્ટીલ કે અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ કરવાની પ્રથા ફરી શરૂ ન કરી શકાય ? કદાચ પાંચ-દસ વધારે મજૂરોની જરૂર પડશે. અને  આ બહાને વાસણ સાફ કરવાવાળા એ ગરીબ મજૂરોને બે ટંક સારું ભોજન અને થોડી કમાણી પણ થશે. હાં, બની શકે કે આવી રીતે સફાઈ કરાવવામાં થોડો સમય વધારે જશે, થોડો ખર્ચ વધશે... પરંતુ સરવાળે પર્યાવરણને થતા નુકસાનની કિંમતથી તો ઘણું ઓછું હશે.

આ એપ્રિલ માસમાં અનેક પર્વો કે પ્રસંગો આવી રહ્યા છે. જેમ કે, શ્રેષ્ઠ રાજ્ય ધર્મ આચરી બતાવનાર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ અને હરિભક્તોને નૈતિકતાના પાઠ શીખવનાર શ્રીસ્વામિનારાયણ દેવના જન્મોત્સવ (૫-એપ્રિલ), અહિંસા પરમો ધર્મ શીખવનાર જૈનધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મોત્સવ (૯-એપ્રિલ), સ્વામિભક્તિ, સેવાધર્મના આદર્શ તેમજ યુવાનોમાં પ્રાણબળ જગાડનાર મહાબલી શ્રીહનુમાનજીનો જન્મોત્સવ (૧૧-એપ્રિલ), દેશના નબળા-પછાત લોકોના ઉત્કર્ષ માટે જીવન સમર્પી દેનાર ડો.આંબેડકરની જન્મ જયંતી (૧૪ એપ્રિલ), દરેક કાર્ય માટે વણજોયું મુહુર્ત ગણાતી અક્ષય તૃતીયા-અખા ત્રીજ (૨૮-એપ્રિલ) ની સાથે જ વિષ્ણુના અવતાર મનાતા નરનારાયણદેવ, હયગ્રીવ તથા પરશુરામ પ્રાગટ્ય જયંતી મનાવવામાં આવશે. તેમજ સમૃદ્ધ ખેતીનો હવે પછીનો અંક આપની પાસે પહોંચે તે પહેલા મે મહિનાની પહેલી તારીખે સાડા છ કરોડ ગુર્જરવાસીઓ માટે લાખેણો દિવસ એટલે કે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ઉજવવામાં આવશે.

મિત્રો, આપણે આગળ વાત કરી તે મુજબ માત્ર આ ઉપર જણાવેલ પર્વ-પ્રસંગ જ નહિ પરતું આવનારા તમામ તહેવારોની જો દેશહીતને ધ્યાને રાખીને ઉજવણી કરીશું તો સમૃદ્ધ ખેતી દ્વારા રાષ્ટ્રના હરિયાળા વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો ગણાશે. તમામ અવસરોની શુભકામનાઓ સાથે...