Wednesday, 30 November 2016

અપ્રત્યક્ષ

મિત્રો, આપણે સવારથી સાંજ સુધીમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એમ બે જાતના લોકોને મળીએ છીએ. પ્રત્યક્ષ એટલે આપણા મિત્રો, સગાવ્હાલા, વેપારીઓ સહકર્મીઓ અને અન્ય એવા પરિચિત લોકો કે જેઓને રૂબરૂ મળીએ છીએ. તેમજ અપ્રત્યક્ષ એટલે એવા લોકો કે જેઓ દ્વારા નિર્મિત ચીજવસ્તુઓ કે સેવાઓનો આપણે અવિરત ઉપયોગ કરીએ છીએ. સવારના ટુથબ્રશથી લઈને રાત્રે જેને ઓઢીને સુઈએ છીએ બ્લેન્કેટ જેવી ચીજ વસ્તુઓ જે બનાવે છે તે; કારખાનાનો કામદાર, ખેતી કરતો ખેડૂત-ખેતમજૂર, શેરી વાળતો સફાઈકર્મી, ખાદી વણતો વણકર, વાહન રીપેરીંગ કરતો કારીગર, આપણે ‘ઓનલાઈન’ રહી શકીએ તે માટે જમીનમાં ખાડાઓ ખોદી ઈન્ટરનેટ માટે જરૂરી જાત-જાતના કેબલ બીછાવનાર મજૂર વગેરે એટલે અપ્રત્યક્ષ માણસ. આ અપ્રત્યક્ષો વિના બધા લોકોનો ઠાઠમાઠ ધૂળ સમાન છે.

આજે મોટાભાગના લોકો એવું માને છે કે અપ્રત્યક્ષોને શ્રમના દામ ચૂકવી દીધા એટલે કામ પત્યું ! પરંતુ ના, તેઓ જે કામ કરે છે તેનું મૂલ્ય તેઓને ચૂકવાયેલ કિંમત કરતાં અનેકગણું વધારે છે. કદાચ કોઈ શાકભાજીવાળો આપણી પાસેથી બે રૂપિયાવધારે લે તો તેની પાછળ તેની મનસા પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવાનો કે પછી પોતાના બાળકો માટે કોઈ વસ્તુ લાવીને આનંદ કરાવવાનો હોય. પરંતુ હાય રે... સ્વાર્થીયુગ ! આજે લોકો બુદ્ધિમાં એટલા બધાં આગળ નીકળી ગયાં છે કે તેઓને આ મજૂર માણસને અપાતા બે રૂપિયા  ખૂબ મોંઘા લાગે છે. અને પોતે જ્યાં-ત્યાંથી કટકટાવતા હોય છે તે કમિશનો હજુ ઓછા લાગે છે.

ઘણા લોકો એમ પણ માને છે કે ગરીબ-વંચિત લોકોને મદદ કરીએ તો એ લોકો સહાયના પૈસા દારૂ વગેરે બદીઓમાં વેડફી નાખશે. પરંતુ કેટકેટલાય મોટામાથા ગણાતા માણસો રોજેરોજ કોઈને કોઈ વ્યસન કે બીનજરૂરી ખર્ચા કરે છે તેનું શું ? તેઓ પણ કેટલાય મંદિરો-મસ્જિદોમાં કે બાબાઓના ચરણોમાં પૈસા લુંટાવે જ છેને ! ખર્ચ કરવાની જગ્યા બદલવાથી તેના જરૂરી કે બીનજરૂરીપણાનું મૂળ તત્વ તો નથી જ બદલાઈ જતું. આજના ચોખલિયા સમાજે માત્ર તેના નામો જ બદલાવ્યા છે. બાકી નખશિખ વ્યસનમુક્ત કોણ છે ? કોઈને પ્રત્યક્ષ વ્યસન તો કોઈને પદ-પ્રતિષ્ઠા-પ્રોફેશનાલિઝમ-વાહવાહી વગેરેનું અપ્રત્યક્ષ વ્યસન. એક બાજુ અપ્રત્યક્ષોનું શોષણ કરે અને બીજી બાજુ મદદ કરવાના બહાને સામાજિક પ્રતિષ્ઠા શોધતા પ્રોફેશનલ્સદાનની સરવાણી વહાવે. આ અપ્રત્યક્ષ માણસો સતત નિષ્ઠાથી પોતાનું કામ કર્યે જતા હોય છે. હા, તેમાંના બે-પાંચ ટકા લોકો કામચોર જરૂર હશે, પણ એ વર્ષોથી થયેલા તેમની ઉપેક્ષા અને શોષણનું પ્રતિબિંબ ગણી શકાય.

મિત્રો, સમાજના આ અપ્રત્યક્ષ વર્ગને, શ્રમજીવીઓને, ગરીબોને, મજૂરોને જો પ્રેમથી અપનાવવામાં આવે, શિક્ષણ આપવામાં આવે, તેમની આર્થિક સ્થિતિને ઉપર ઊઠાવવામાં આવે તો ચોક્કસ દેશની દશા બદલાશે. એક નવી સામાજિક અને આર્થિક ક્રાંતિ થઈ શકે તે માટે ગત ૭મી નવેમ્બરે રાત્રે ૮ કલાકે દેશના વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચનમાં મોટી ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરી. આ નિર્ણયને લઈને ઉભી થયેલ આર્થિક સ્થિતિ, લોકોને પડતી અગવડની કે રાજકીય વિરોધપક્ષોએ મચાવેલ ધમાલની વાત બાજુએ મુકીએ. પરંતુ આ નોટબંધીનો ખરો ઉદ્દેશ જેને લાભ પહોંચાડવા માટે છે તેવા અપ્રત્યક્ષ લોકો એટલે કે આપણા દેશના કરોડો ગરીબ-વંચિત-શોષિત દેશબંધુઓની આવનારી ઉન્નતિ માટે આ નિર્ણયને કોઈપણ અગવડ સહીને પણ વધાવતા દેશવાસીઓને વંદન.  

મિત્રો, સમાજના અપ્રત્યક્ષ વર્ગને સંતુષ્ટ-પુષ્ટ કરવાનો બનતો પ્રયાસ કરીએ, આવા પ્રયત્નોમાં સહકાર આપીએ અને રાષ્ટ્રને સુખ-શાંતિ-સમૃદ્ધિ-વિકાસની ખેતી કરીને હરિયાળા રાજમાર્ગ પર આગળ વધારીએ એજ શુભકામનાઓ...

Tuesday, 8 November 2016

ભૂમિસેવક


મિત્રો, આમ તો છેલ્લા ઘણા સમયથી સમૃદ્ધ ખેતીમાં આ અંકના જે મુખ્ય વિષયવસ્તુ છે એ લોકો અંગે લખવાનું વિચારતો હતો કે જેઓ ‘કૃષિક્ષેત્રે સેવારત અસલી ખેડૂત’ છે. એટલે કે એવા કૃષિ કર્મીઓ કે જેમની પોતાની જમીન નથી પરંતુ બીજા ખેડૂતોની જમીનમાં ભાગ રાખીને અથવા તો છૂટક દાડી-મજૂરી કરીને ખરા અર્થમાં ખેતી કરે છે. સામાન્ય રીતે લોકો તેઓ માટે ‘ખેતમજૂર’ નામ પ્રયોગ કરે છે. પરંતુ તે કરતા હું તેઓ માટે ‘ભૂમિસેવક’ નામ વધારે યથાર્થ સમજુ છું.
આજે જયારે ખેડૂત પરિવારના યુવાન દીકરા-દીકરીઓ ભણીગણીને નોકરી-ધંધા માટે શહેર તરફ ગાડરિયા પ્રવાહ પેઠે દોટ મુકે છે ત્યારે ગામડામાં વેચાણની રાહે પડી રહેલ અથવા તો કહોને કે વેચાતા બચી ગયેલ ખેતીને સાચવવાની અને જીવતી રાખવાની જવાબદારી વૃદ્ધ પેઢીના ખભા પરથી ઉતરી શકી નથી. અને આ વડીલો પોતાના સિદ્ધાંતો કે મજબૂરીને લઈને ખેતી કરી રહ્યા છે. જોકે શારીરિક રીતે થાકી ચૂકેલ આ પુરાતન પેઢીના ખેડૂતોને ટેકો આપવા માટે જેઓ પોતાનું વતન છોડીને બે પૈસા કમાવા આવ્યા છે અને તેમના ખેતી કાર્યમાં સહાય કરે છે તે ભૂમિસેવકો ખરેખર વંદનીય છે. કેટલીક જગ્યાએ મેં જોયું છે કે આવા પરપ્રાન્તીય કે આદિવાસી મૂળના ભુમિસેવકો પોતાના જમીન માલિક વડીલોની સગા સંતાનો કરતા પણ વધારે સેવા કરતા હોય છે. જોકે હાલના સમયમાં ખરા રણમાં મીઠી વીરડી સમાન આવા સારા દ્રષ્ટાંતો જોવા મળવા દિન-પ્રતિદિન દુર્લભ બનતા જાય છે અને મારા મતે તેનું એક કારણ કદાચ સર્વત્ર વધી રહેલો ભૌતિકવાદ પણ છે.
Shree Pandurang Shastri ji
મિત્રો, એક સમય હતો જયારે ગુજરાત-મહારાષ્ટ્રના ગામડે-ગામડે પૂ.પાંડુરંગ દાદા પ્રેરિત સ્વાધ્યાય પરિવારના કર્મ-ભક્તિ સિદ્ધાંત મુજબ ઈશ્વરીય કાર્ય ગણી ખેતી કરવામાં આવતી હતી. જીવભાવનાના પાઠ, ભાવફેરીઓ અને યોગેશ્વર કૃષિના પ્રયોગોથી ગ્રામ્ય જીવન ધબકતું હતું. અને તેના ફળરૂપે ખેડૂતો-ભૂમિસેવકોના સંબંધો તેમજ કૃષિ આધારિત વેપાર-ધંધામાં નીતિમત્તા તેમજ શુદ્ધતા ઝળકતી હતી. પરંતુ દુર્ભાગ્યે હવે આવા માનવીય મૂલ્યો અને નૈતિકતાના ઉદાહરણો ઓછા થઇ રહ્યા છે. અહી કોઈ વિશિષ્ટ મત-પંથની વાહવાહી કે આલોચના કરવાનો કે ધાર્મિકતા ફેલાવવાનો આશય નથી પરંતુ કૃષિ જેવા પવિત્ર વ્યવસાયમાં છેલ્લા એક-દોઢ દશકાથી પ્રવેશી ચૂકેલ બદીઓ સામે યુદ્ધે ચડવાની વાત છે. તેમજ તેનાથી બચવા હજુ પણ સમય રહેતા જાગી જવાનો અંગુલી નિર્દેશ છે. 
મિત્રો, વિક્રમ સંવતના નવા આરંભાયેલ ૨૦૭૩ના આ વર્ષની નવલી પ્રભાતે આપણે એક સંકલ્પ લઈએ કે પોતપોતાના વેપાર-ધંધામાં હૃદયપૂર્વક નૈતિકતાની ચરમસીમાએ પહોંચીને આપણા વ્હાલુડાં રાષ્ટ્રને સમૃદ્ધ ખેતીના માર્ગે હરિયાળા વિકાસ તરફ આગળ ને આગળ ધપાવીશું... બસ એજ શુભકામનાઓ સાથે સૌ વાચક મિત્રોને નવા વર્ષના જાજા કરીને રામ...રામ...