
આજે મોટાભાગના લોકો એવું માને છે કે અપ્રત્યક્ષોને
શ્રમના દામ ચૂકવી દીધા એટલે કામ પત્યું ! પરંતુ ના, તેઓ જે કામ કરે છે તેનું મૂલ્ય
તેઓને ચૂકવાયેલ કિંમત કરતાં અનેકગણું વધારે છે. કદાચ કોઈ શાકભાજીવાળો આપણી પાસેથી ‘બે
રૂપિયા’ વધારે લે તો તેની પાછળ તેની મનસા પોતાના કુટુંબનું
ગુજરાન ચલાવવાનો કે પછી પોતાના બાળકો માટે કોઈ વસ્તુ લાવીને આનંદ કરાવવાનો હોય.
પરંતુ હાય રે... સ્વાર્થીયુગ ! આજે લોકો બુદ્ધિમાં એટલા બધાં આગળ નીકળી ગયાં છે કે
તેઓને આ મજૂર માણસને અપાતા ‘બે રૂપિયા’ ખૂબ મોંઘા લાગે છે. અને પોતે જ્યાં-ત્યાંથી
કટકટાવતા હોય છે તે ‘કમિશનો’
હજુ ઓછા
લાગે છે.
ઘણા લોકો એમ પણ માને છે કે ગરીબ-વંચિત લોકોને
મદદ કરીએ તો એ લોકો સહાયના પૈસા દારૂ વગેરે બદીઓમાં વેડફી નાખશે. પરંતુ કેટકેટલાય
મોટામાથા ગણાતા માણસો રોજેરોજ કોઈને કોઈ વ્યસન કે બીનજરૂરી ખર્ચા કરે છે તેનું શું
? તેઓ પણ કેટલાય મંદિરો-મસ્જિદોમાં કે બાબાઓના ચરણોમાં
પૈસા લુંટાવે જ છેને ! ખર્ચ કરવાની જગ્યા બદલવાથી તેના જરૂરી કે બીનજરૂરીપણાનું
મૂળ તત્વ તો નથી જ બદલાઈ જતું. આજના ચોખલિયા સમાજે માત્ર તેના નામો જ બદલાવ્યા છે.
બાકી નખશિખ વ્યસનમુક્ત કોણ છે ? કોઈને પ્રત્યક્ષ વ્યસન તો કોઈને
પદ-પ્રતિષ્ઠા-પ્રોફેશનાલિઝમ-વાહવાહી વગેરેનું અપ્રત્યક્ષ વ્યસન. એક બાજુ અપ્રત્યક્ષોનું
શોષણ કરે અને બીજી બાજુ મદદ કરવાના બહાને સામાજિક પ્રતિષ્ઠા શોધતા ‘પ્રોફેશનલ્સ’ દાનની સરવાણી વહાવે.
આ અપ્રત્યક્ષ માણસો સતત નિષ્ઠાથી પોતાનું
કામ કર્યે જતા હોય છે. હા, તેમાંના બે-પાંચ ટકા લોકો
કામચોર જરૂર હશે, પણ એ વર્ષોથી થયેલા તેમની ઉપેક્ષા અને શોષણનું પ્રતિબિંબ ગણી
શકાય.
મિત્રો, સમાજના આ અપ્રત્યક્ષ વર્ગને, શ્રમજીવીઓને, ગરીબોને, મજૂરોને
જો પ્રેમથી અપનાવવામાં આવે, શિક્ષણ આપવામાં આવે, તેમની
આર્થિક સ્થિતિને ઉપર ઊઠાવવામાં આવે તો ચોક્કસ દેશની દશા બદલાશે. એક નવી સામાજિક અને
આર્થિક ક્રાંતિ થઈ શકે તે માટે ગત ૭મી નવેમ્બરે રાત્રે ૮ કલાકે દેશના વડાપ્રધાને
રાષ્ટ્રજોગ પ્રવચનમાં મોટી ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કરી. આ નિર્ણયને લઈને ઉભી
થયેલ આર્થિક સ્થિતિ, લોકોને પડતી અગવડની કે રાજકીય વિરોધપક્ષોએ મચાવેલ ધમાલની વાત
બાજુએ મુકીએ. પરંતુ આ નોટબંધીનો ખરો ઉદ્દેશ જેને લાભ પહોંચાડવા માટે છે તેવા અપ્રત્યક્ષ
લોકો એટલે કે આપણા દેશના કરોડો ગરીબ-વંચિત-શોષિત દેશબંધુઓની આવનારી ઉન્નતિ માટે આ
નિર્ણયને કોઈપણ અગવડ સહીને પણ વધાવતા દેશવાસીઓને વંદન.
મિત્રો, સમાજના અપ્રત્યક્ષ વર્ગને સંતુષ્ટ-પુષ્ટ
કરવાનો બનતો પ્રયાસ કરીએ, આવા પ્રયત્નોમાં સહકાર આપીએ અને રાષ્ટ્રને સુખ-શાંતિ-સમૃદ્ધિ-વિકાસની ખેતી કરીને હરિયાળા
રાજમાર્ગ પર આગળ વધારીએ એજ શુભકામનાઓ...