ચાલો, ઔષધ વાવીએ
– ડૉ. નીરજ મહેતા
નવમો ચાસ
સિયાએ
ચબરખી વાંચી વાળીને પાછી મૂકી દીધી, એમાં લખ્યુ
હતું કે... ‘દીકરી, હું એક જમાનામાં ગામનો નામી વૈધ કહેવાતો. ઘણા હઠીલા રોગોની
સારવાર કરીને મેં અનેક ગામલોકોને સ્વાસ્થ્ય આપ્યું હતું. બેન દીકરીઓની તકલીફોથી
માંડી જુવાનિયાવના રોગો, બાળકોના રોગોથી માંડીને ગલઢેરાના રોગો મેં મટાડ્યા હતાં.
પણ કુદરતનું કરવું કે એક વાર નગરશેઠના દીકરાની બિમારી મારાથી ન પકડાઇ. મેં તો ના જ
પાડી’તી કે આમાં કાંઇ થાય એમ નથી, એના લક્ષણ જ પેલેથી એવા હતાં. મુંબઈ જાતો અને
ત્યાં રૂપિયા ઉડાડીને આવતો. દારૂ અને... બીજું ઘણું બધું તો આંયા લખાય એમ નથી ને
એમાં એને એવો રોગ થ્યો કે વજન ઘટતું જાય ને રોગ પ્રતિકાર શક્તિ જવાબ દઇ ગઇ. એની
દવા થાય એમ જ નો’તી પણ આ તો નગર શેઠ. આપણું કાંઇ હાલ્યું નઇ ને એની દવા કરવી પડી.
એમાં ક્યાંકથી ઇ આયુર્વેદ કે દેશીના નામે કાંક લૈ આવ્યા ને જાણ્યા વિના આપ્યું તે
એનો દીકરો દેવના ઘરે ગ્યો. ને આળ મારા પર નાખ્યું ને તેદૂનુ મારે વૈદું મૂકવું
પડ્યું. ખેર, જે થયું તે પણ ત્યારથી હું જાતે જ દવા ઉગાડતો ને આપતો. જેટલાને
મારામાં વિશવા હતો ઇ ઘરે આવીન લઇ જાતા દવા. પણ નામ પર કાળી ટીલી લાગી ગયેલી તે
સાજા થાય પણ કોઇને ક્યે નઇ. આ મેં છેલ્લા થોડા સમયમાં ભેગા કરેલા બીજ છે. કયા
ઓસડના છે ને કેમ ઓળખવા ઇ તને તો ખબર જ હશે તોય મેં અલગ ચિઠ્ઠીમાં ઈ લખ્યું છે. જોઇ
લેજે. આ મારી મરણમૂડી છે. હવે હું ઝાઝો સમય નથી એટલે તને આ સોંપું છું. જાળવજે અને
આ વારસો આગળ ધપાવજે. તમે બેય માણા બોવ સારું કામ કરો છો. ભગવાન તમને સફળતા અને જશ
આપે એવા આશીર્વાદ...’ સિયા થોડીવાર કંઇ બોલી ન શકી. આ અંગે તેને અમન સાથે વાત
કરવાનું મન થઈ આવ્યું. પણ અમન તો સરપંચ મોહન સાથે બાજુના ગામમાં ગયો હતો.
રમીલાએ પૂછ્યું, ‘શું થ્યુ?’ તો ટુંકમાં ‘કાંઈ નહીં...’ જવાબ
આપ્યો અને સ્વસ્થ થતાં બોલી, ‘...તો આપણે ગુલકંદની બાકી રહેલી વાત આગળ ધપાવીએ. આયુર્વેદીય મતે મહુડાનાં ફૂલ સ્વાદમાં ગળ્યાં, પચવામાં ભારે, ઠંડા, પોષણ આપનાર, બળ અને
વીર્યવર્ધક, વાયુ અને પિત્તનો નાશ કરનાર છે. આ મહુડાના
ફૂલમાંથી ગુલકંદ બનાવવા મહુડાનાં ફૂલ અને સાકર સરખા વજને લઈ ખૂબ મસળી કાચની બરણીમાં
ભરી તેને એક મહિનો તડકામાં મૂકવાથી ગુલકંદ તૈયાર થઇ જાય છે. એક ચમચી જેટલો આ
ગુલકંદ સવાર-સાંજ લેવાથી શરીરની આંતરિક ગરમી, પેશાબની બળતરા,
પેશાબમાં રસી, ઝીણો તાવ, અગ્નિમાંદ્ય, લોહીનો બગાડ, અને
પેશાબનો અવરોધ મટે છે.’
‘આવળના
ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો
કરે છે તથા શરીરનો રંગ વધુ સુધારે છે. ગરમાળાના ફૂલનો ગુલકંદ બનાવવા કાચની સ્વચ્છ બરણીમાં આંગળીના એક વેઢા
જેટલો જાડો ખડી સાકરના ચૂર્ણનો થર કરી એની ઉપર ત્રણ વેઢા જેટલો જાડો ગરમાળાના
ફૂલનો થર કરવો. ફરી પાછો એની ઉપર ખડી સાકરનો થર કરી,
ગરમાળાના ફૂલનો થર કરવો. સૌથી ઉપર ખડી સાકરનો થર રહે એમ કાચની બરણી
ભરવી. બરણીનું મોઢુ કોટનના એટલે કે સુતરાઉ જાડા કપડાથી બાંધી, બરણી તડકે મૂકવી. સાતથી દસ દિવસ આ મિશ્રણ તડકે રાખી, સમયાંતરે ચમચાથી ઉપર-નીચે હલાવતા રહેવું. જરૂર મુજબ કેસર-ઈલાયચી મેળવીને એ
પછી એનું સેવન કરવું. સવારે ઠંડા પાણી સાથે એક નાની ચમચી ગુલકંદ લાંબા સમય સુધી
લેવાથી જૂની કબજિયાત, ખાંસી, શરીરમાં
બળતરા, ચામડીના રોગો, હૃદયરોગ, જૂનો તાવ વગેરેમાં ફાયદો થાય છે. હવે કુલસુમ કંઇક તૈયારી કરીને આવી છે.
તેને સાંભળીએ.’ કહી સિયાએ કુલસુમને બોલાવી.
કુલસુમે કહ્યું, ‘આ ઉનાળાની સીઝનમાં શરીર અને દિલોદિમાગને ઠંડક પહોંચે તેવું કાંઇક
બનાવીએ તો કેમ? ગરમીમાં
ગુલાબનું શરબત દિલ–દિમાગ અને શરીરને ઠંડક પહોંચાડે છે. આ
સીઝનમાં ગુલાબના ફૂલો પણ બજારમાં સહેલાઇથી મળે છે. તો આજે આપણે ગુલાબનું શરબત
બનાવીશું. શરબત બનાવવા કે બેને કહ્યું એ ગુલકંદ બનાવવા ઇંગ્લિશ ગુલાબના ફૂલો કરતાં
દેશી ગુલાબના ફૂલો વધુ સારાં. પચાસેક નંગ ગુલાબની પાંદડીઓને બે વખત પાણીથી ધોઈ અને
સાફ કરવી અને ચારણીમાં રાખવી જેથી વધારાનું પાણી નીકળી જાય. ત્યારબાદ, પાંદડીને એક સૂતરાઉ સાફ કાપડ પર પાથરવી. અને બીજા કપડાથી પાંદડી પરનું
પાણી લૂછીને કોરી કરવી. પછી એક કપ પાણી ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે ગુલાબની
પાંદડીઓને મિક્સરમાં નાખી તેમા ગરમ પાણી નાખી અને પીસી લેવી. મિક્સરમાં પીસેલી
પાંદડીઓના રસને ગરણીમાં નાખી અને એક વાસણમાં ભેગો કરવો. એક બીટ ને ધોઈ, છાલ ઉતારી અને ટૂકડામાં સમારવુ. એક ચમચો ઝીણી સમારેલી કોથમીર, 25-25 ફૂદીના અને તુલસીના પાન લઇને ધોઈ સાફ કરી અને બધાને ભેગા કરીને
બારીક પીસી લેવા. દાડમનો રસ પણ ઉમેરી શકાય.’ અમુક સ્ત્રીઓ નોટબુકમાં આ બધું નોંધી
રહી હતી.
શું આપ આ કૃષિ નવલનો આગળનો અંક વાંચવા માંગો છો...???
મિત્રો, ગુજરાતની આ સૌપ્રથમ કૃષિ નવલ કથા અંગે આપના પ્રતિભાવો અમારા ફેસબુક પેજ
અથવા વ્હોટ્સએપ નં. +91 7600056587 પર પણ આપી શકો છો.