Tuesday, 11 October 2022

નામ મજબૂરીનું

વર્ષ ૨૦૧૪માં લખેલી એક રચના

"માણસ નામે મોતની સજા... નામ મજબૂરીનું,
બહાના બતાવ 'ને કર મજા... નામ મજબૂરીનું.

રાંક, રખડું, રોગી, રાજા... નામ મજબૂરીનું,
આંધળી, બેરી, લૂલી પ્રજા... નામ મજબૂરીનું.

'સંભવામિ' અખર થ્યાં દૂજા... નામ મજબૂરીનું,
'નંદા' તોય ફરકે ધરમ ધજા... નામ મજબૂરીનું."

Sunday, 17 April 2022

ખાતર માથે દીવો : ખાતરની ખરીદી અને વપરાશમાં કાળજી રાખવી ખૂબ જરૂરી

હજુ તો અરધી-પોણી સદી પહેલા જ પોતાની પરંપરાગત પ્રાકૃતિક ખેતી છોડી રાસાયણિક ખેતી પર આધાર રાખતા થઇ ગયેલા ભારતીય ખેડૂતો માટે અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ જેવી વાતાવરણની કુદરતી અનિશ્ચિતતાની સાથોસાથ વૈશ્વિક પટલ પર બનતી ઘટનાઓએ બેવડો માર આપીને બેવડ વાળી દીધા છે.

જમીનમાંથી અગાઉ વાવેલ પાક દ્વારા પોષક તત્વોનો વપરાશ થવાથી, પિયત પાણીની સાથે નીતાર અથવા વહી જવાથી, વાયુરૂપે ઉડી જવાથી કે જમીનના ધોવાણથી માટીમાં રહેલ પોષક તત્વોમાં ઘટાડો થાય છે જેથી ખાતરો દ્વારા તેની જરૂરિયાત પૂરી કરવી જરૂરી બને છે. વાપરવામાં સરળ એવા રાસાયણીક ખાતરો આવવાથી ખેડૂતોએ પોતાના વાડી-ખેતરોમાંથી કુદરતી ખાતરના કારખાના સમાન પશુઓને હાંકી કાઢ્યા અને કૃત્રિમ ખાતરોની ગુલામી સ્વીકારી લીધી.

છોડનાં વૃદ્ધિ અને વિકાસ માટે જુદા- જુદા પોષક તત્વો સપ્રમાણમાં મળી રહે તે માટે આજે જમીનમાં ખાતરો ઉમેરવા જરૂરી બની ગયા છે. આપણે જાણીએ છીએ કે એક છોડને તેના જીવન દરમ્યાન કુલ ૧૭ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. જેમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સીજન, આ ત્રણ તત્વો તેને હવા-પાણીમાંથી મળી રહે છે. જયારે બાકીના તત્વો છોડ જમીનમાંથી લે છે.

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક રાજકારણમાં આવેલ પરિવર્તનો, ચીન પર મુકવામાં આવેલ આર્થિક પ્રતિબંધો અને છેલ્લે બાકી રહેતું હોય તેમ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આજે આયાતી ખાતરોના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજ્યના કૃષિમંત્રીએ પણ કહેવું પડ્યું કે કાચામાલની અછત સહીત અનેક કારણોસર હાલ નાછૂટકે સરકારી કંપનીઓના ખાતરમાં પણ ભાવવધારો કરવો પડ્યો છે. પરંતુ ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અને સસ્તું મેળવી લેવાની અપેક્ષાને કારણે કેટલાક લેભાગુ તત્વો અને અસામાજિક વેપારીઓ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ખેડૂતોને છેતરવા માટે તૈયાર બેઠા હોય છે.

ગામના પાદરે ખટારા ભરીને ખાતર વેચવા આવતા વેપારીઓ ખેડૂતોને રોકડેથી ખરીદવા પર પાણીના ભાવે સાવ સસ્તાં ખાતરોમાં એક સાથે બે ફ્રી, ઘેરબેઠા ડીલીવરી સહીત બીજી અહી લખી ન શકાય તેવી અમુક અનૈતિક લાલચ પણ આપે છે. માટીથી પણ સસ્તાં ભાવે મળતા આવા ખાતરોમાં શું ભેળવેલું હશે...? તે અહી કહેવાની જરૂર નથી લાગતી. માટે જેને આપણે પોતાની માતા કહીએ છીએ તેવી માટી-જમીન-ધરતીમાં શું ઉમેરીયે છીએ તે ખાસ જોવું પડે.

નવી મોસમ શરુ થાય તે પહેલા જ અગાઉથી આયોજન કરી બજારમાંથી ખાતર ખરીદી લેવું જોઈએ. સાથે જ ભેજવાળી કે સાવ ખુલી જગ્યામાં અને સીધા સૂર્યપ્રકાશમાં સંગ્રહાયેલ ખાતર ક્યારેય ન ખરીદવું. ખરીદી વખતે ખાતરની થેલીની સિલાઈ અકબંધ હોવાની ખાતરી કરી લેવી તેમજ તેના પેકિંગ પર રાસાયણિક ખાતરનું નામ અને બ્રાન્ડ, બનાવનાર-વેચનાર કંપનીનું નામ, સરનામું, લાયસન્સ નંબર વગેરે વિગતો ચકાસવી જોઈએ.

ખાતરની થેલી ઉપર લખેલ એમ.આર.પી. (મહતમ વેચાણ કિંમત) કરતા વધુ કિંમતે ક્યારેય ખાતરની ખરીદી કરવી નહિ. તેમજ ખરીદી હંમેશા પાકા બીલથી જ કરવી. જો તમે ઉધાર ખરીદી કરતા હો તો વેપારીએ તમારા બીલમાં કયા ખાતરનો કેટલો ભાવ ભર્યો તે જાણીને પોતાની ડાયરીમાં નોંધી લેવું.

છેલ્લે, ખાતર માથે દીવો, આ કહેવતની જેમ પછતાવાનો વારો ના આવે તે માટે ખાતરની ખરીદી અને વપરાશમાં કેટલીક કાળજી લેવી જોઈએ. ખાતરની ખરીદી કરતા પહેલા માટીનો રીપોર્ટ કરાવીને, જે-તે પાક મુજબ જરૂરિયાત પ્રમાણે માત્ર તેમાં ખૂટતા તત્વો જ આપવા જોઈએ. તેમજ આવા ખાતરો ફક્ત લાયસન્સ ધારક વેપારી કે ડેપોમાંથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.