ખેડૂતો માટે રાજકીય અખાડાની નહિ પરંતુ તેઓને
કૃષિક્ષેત્રે વ્યાવસાયિક માર્ગદર્શન આપી
અને નવી ટેકનોલોજીથી સતત અપડેટ કરાવે એવા સંગઠનની જરૂર છે
નવી નવી બાબતોથી ખેડૂતોને
પરિચિત અને શિક્ષિત કરાવે...
એ ખરું કૃષિ સંગઠન
એ ખરું કૃષિ સંગઠન
- નરેન્દ્ર વાઘેલા
=========================
જ્યારથી ખેડૂત સંગઠનોના નામે રાજકીય
અખાડા શરૂ થયા છે ત્યારથી ખેડૂતોની ખરા અર્થમાં માંથી દશા બેઠી છે. આમ તો એક
સામાન્ય વાતને દરેક વ્યક્તિ સમર્થન આપશે, કે કોઈપણ સંગઠન તેના સભાસદો માટે
કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો કરતું હોવું જોઈએ. અને તો જ તેના ગઠન કે
સ્થાપનાનો અર્થ સરે છે. પરંતુ ખેદ સાથે કહેવું પડે કે ખેડૂત સંગઠનોની બાબતમાં વાસ્તવિક
ચિત્ર ખરેખર નિરાશાજનક છે.
નવા સરકારી કાયદાઓની વાત હોય કે
પાકવીમાની વાત હોય, દરેક વાતે ખેડૂતોના નામે ઝંડા ઉપાડી પોતાનો રાજકીય સ્વાર્થ
સાધતા કહેવાતા ખેડૂત સહયોગી સંગઠનો જ્યારે ખરેખર જેમાં ખેડૂતનું હિત હોય અને જે
કરવાથી ખેડૂતોને લાભ થવાનો હોય તેવી બાબતોમાં શાહમૃગનીતિ અપનાવતા નજરે પડે છે.
પાણી પહેલા પાળ બાંધવાને બદલે અને કટોકટીનો સમય આવે તે પહેલા ખેડૂતોને વિવિધ
બાબતોની વિસ્તૃત તાલીમ આપીને શિક્ષિત કરવાને બદલે આવા સંગઠનો ઘોડાં છૂટી ગયા બાદ
તબેલાને તાળા મારવા નીકળતા હોય તેમ ભૂરાયા થાય છે.
થોડા સમય પહેલા જ્યારે સરકારનો નિયમ
આવ્યો કે ખાતરની ખરીદીમાં હવેથી ખેડૂતોના આધારકાર્ડ અને અંગુઠાની છાપ જોઇશે ત્યારે
વિરોધ કરવામાં આવા કેટલાક સંગઠનોની વરવી ભૂમિકા રહી હતી. માટે હવે પ્રશ્ન એ ઉભો
થાય કે ખાતરની સબસીડી સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થાય તેમાં આ સંગઠનોને શું કોઈ નુકશાન
જતુ હશે ? બીજો પ્રશ્ન એ કે જ્યારે ખેડૂતોને પાકવીમો ન મળે ત્યારે હલ્લાબોલ કરતા
આગેવાનોએ શું ક્યારેય પ્રીમીયમ ભરવા સમયે પાકવીમાની શરતો અંગે ખેડૂતોને જાગૃત
કર્યા છે ? શું આ સંગઠનોએ આવી નવી સીસ્ટમ ખેડૂતોને શીખવવા માટે કોઈ તાલીમ
કાર્યક્રમો યોજ્યા છે ? (અહી કોઈ ખાનગી કંપનીના કાર્યક્રમમાં પોતાના બેનર મારી દઈ
કાર્યક્રમને હાઈજેક કરી લેતા હોય તેવા ખેડૂત સંગઠનોની વાત નથી.)
હજુ ગયા અઠવાડિયે જ એક કિસ્સો
અખબારોમાં ચમક્યો હતો કે ખેડૂતોએ ઉપાડેલ મગફળી હજુ ખેતરમાં જ હતી અને વરસાદ શરુ થઇ
ગયો. ખેતરમાં પાણી ભરાઈ જતા ઉપાડેલ મગફળીના પાથરા પલળી ગયા અને ખેડૂતો નિરાશ થઇ
ગયા. સ્વાભાવિક છે કે આવું દ્રશ્ય જોઇને આખી મોસમ મહેનત કરનાર કોઈપણ ખેડૂત હરેરી
જાય અને નાસીપાસ થઇ જાય. આવા સમયે ખેડૂતોને સધિયારો કે હિંમત આપવાને બદલે એક
કહેવાતા સંગઠનના આગેવાને બેજવાબદાર નિવેદન ફટકાર્યું કે, સરકાર કઈ કરતી નથી... હવે
આવી પરિસ્થિતિમાં ખેડૂત પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ માર્ગ બાકી રહેતો નથી. બોલો
લ્યો... અલ્યા ભાઈ, તને સરકાર સાથે જે વાંધા-તકલીફ હોય તે હાલ પુરતી મુલતવી રાખ. તારાથી
એ ખેડૂતને મદદ ના થતી હોય તો ભલે ના કર, પરંતુ તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી
કરતી વાતો તો ના કર.
કૃષિ યુનીવર્સીટી અને ખેતીવાડી ખાતામાં
વર્ષોથી ફરજ બજાવતા કેટલાક વિદ્વાન મિત્રોને પલળતી મગફળી અંગે પૂછ્યું. તેઓએ
જણાવ્યું કે મગફળી એ બીજા પાકની સરખામણીએ થોડો વધુ ખમતીધર પાક ગણાય. ઉપાડેલ મગફળી કદાચ
બે દિવસ સુધી પાણીમાં પલળતી રહે તો પણ તેને કોઈ વધુ નુકશાન થતું નથી. તેને
પાણીમાંથી હટાવીને અન્ય જગ્યાએ સુકવીએ તો ચોક્કસ ‘રીકવરી’ આવે છે. સાથે જ તેઓએ
સલાહ આપી કે કપાસ જેવા પાકમાં જો પાણી ભરાઈ રહ્યું હોય તો ખેતરના નીચાણ વાળા
ભાગમાં ખાડો કરી ખેતરમાંથી વધારાનું પાણી નીતારી લેવું. અને કપાસના દરેક છોડને બે
પગ વચ્ચે રાખી તેના મૂળ પાસે ચારે તરફ પગની પાની વડે થોડું દબાણ આપવું. જેથી મૂળ
પાસે જમા થયેલ પાણી નીતરી જાય અને કપાસ થોડો સ્વસ્થ થઇ શકે. સાથે જ કપાસમાં ‘માથા
કાપવા’થી નવી ફૂટ નીકળવાની શક્યતાઓ પણ વધી જાય છે.
નુકશાની સમયે નિષ્ણાંતો પાસેથી આવા ઉપાયોની
માહિતી મેળવી ખેડૂતો સુધી પહોંચાડવા માટે કોઈ ખેડૂત સંગઠનોએ પગલાં લીધા હોય એવું
ક્યાંય નોંધાયું નથી. કેમકે આવી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં તેને જ રસ હોય કે
જે પોતે ખરો ખેડૂત હોય. જેણે પોતે ક્યારેય ખેતરનો શેઢો જોયો નથી અને ફોટો પડાવવા
સિવાય ક્યારેય ખેતઓજારોને હાથ પણ અડાડ્યો નથી એવા લોકો જ આવા બેજવાબદાર નિવેદનો કરી
શકે. પોતાના અંગત સ્વાર્થ માટે આવા સંગઠનોના પદ પર બેઠેલા વિવિધ નમૂનાઓ પશુઓના
શરીર પર ચોંટેલ ઇતરડીથી વિશેષ કઈ નથી.
કૃષિ લેખનની શરૂઆત વખતે જ મેં નક્કી
કરેલ કે ફક્ત પોઝીટીવ માહિતીની પ્રચાર કરવો અને શક્ય હોય ત્યાં સુધી નેગેટીવ
વાતોથી દૂર રહેવું. પરંતુ જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે ભોળા ખેડૂતોનો ઉપયોગ
કરતા કૃષિ માફીયા દેખાય છે ત્યારે રહેવાતું નથી. આજે ખેડૂતોનું ભલું ઈચ્છતા કેટલાક
સારા સંગઠનો પણ છે, તેના કાર્યો અને તેની માહિતીનો પ્રચાર કરવામાં મને આનંદ થાય છે.
છેલ્લે ખેડૂતોને એક નમ્ર વિનંતી કરવાનું મન થાય કે પોતાનું અંગત હિત સાધતા અમુક
બનાવટી સંગઠનોથી અમુક ચોક્કસ અંતર જરૂર બનાવી રાખશો.