Tuesday, 10 September 2019

કૃષિ પત્રકારને રાજ્યપાલ દ્વારા પુરસ્કૃત કરાયા

 ગત તા. 7 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા યોજાયેલ એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનો કૃષિ વિષયક પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું. કૃષિક્ષેત્રમાં અનેક વર્ષોથી ઉલ્લેખનીય અને મહત્વપૂર્ણ યોગદાન આપનાર વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

     જેમાં છેલ્લા દસ વર્ષથી નિયમિત વિવિધ કૃષિ વિષયો ઉપર લેખ લખતા જાણીતા કૃષિ પત્રકાર નરેન્દ્રભાઈ વાઘેલાને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમ વડે કૃષિ માહિતીના પ્રચાર પ્રસારમાં ઉલ્લેખનીય યોગદાન બદલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે "કૃષિ સેવા સન્માન" પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

       સમૃદ્ધ ખેતી અને ખેતીની વાત કૃષિ સામયિકોના સ્થાપક તંત્રી, સંજોગ ન્યૂઝ દૈનિકના કટાર લેખક તેમજ  છેલ્લા નવ વર્ષથી રાષ્ટ્રીય ટીવી ચેનલ દૂરદર્શનના કૃષિ વિષયક ગુજરાતી કાર્યક્રમોનું સંચાલન કરનાર નરેન્દ્રભાઈ વાઘેલા સોશ્યિલ મીડિયાના માધ્યમથી પણ હજારો ખેડૂતો સાથે જોડાયેલ છે. ગત સમયમાં તેઓએ રાજ્યભરના  ૨૦૦૦થી વધારે ગામડાઓમાં રૂબરૂ જઈને ખેડૂતો સાથે કૃષિ બેઠકો યોજીને સીધો સંવાદ સ્થાપિત કરેલ છે.

    આ તકે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહીત આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આર.વ્યાસ, ગોપકાના સેવાનિવૃત અધિકારી રમણભાઈ ઓઝા, રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘના અધ્યક્ષ ગજાનન ગીરોલકર તેમજ મોટી સંખ્યામાં દેશભરમાંથી આવેલા કૃષિ ક્ષેત્રના મહાનુભાવો અને કૃષિ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.