Monday, 18 March 2019

Natural Raw Honey Farming

છોડને પાણીથી માથાબોળ નવડાવવાની નહિ, માત્ર મૂળ પાસે યોગ્ય ભેજની જરૂર છે



પંચમહાભુતમાંનું એક અગત્યનું તત્વ એટલે જળ. જો ઉપયોગ કરતા આવડે તો અમૃત અને જો ગેરઉપયોગ થાય તો ઝેર સમાન બની રહેતા આ તત્વને આપણે પાણી, નીર, આબ, ઉદક, સલીલ, જલ, વારિ, સુધા, અમી, રસ, જીવન વગેરે નામથી ઓળખીએ છીએ. પાણી એ તો ઈશ્વરની ઉદારતાનું પ્રતીક છે અને એટલે જ તે સૌને સુલભ છે. પાણી વગરના સંસારની કલ્પના કરવી પણ દોહ્યલી છે.
આજે પણ લોકજીવનમાં વ્યક્તિને માપવા માટે પાણીની પારાશીશીનો જ ઉપયોગ થાય છે. જેમકે, ફલાણી જમીન કે માણસ તો પાણીદાર કે નપાણીયો છે... પેલી દિકરી તો પાણીયાળી નીકળી હો... અથવા ભણવામાં તેનું પાણી મપાઈ જશે... વગેરે કહેવતો અને રૂઢિપ્રયોગ આપણે ઘણી વખત ચોક્કસ સાંભળ્યા-કહ્યાં હશે. સજીવ સૃષ્ટિના દરેક પાસાને અત્યંત અસરકર્તા પાણીનું મહત્વ કોઈથી અજાણ્યું નથી.
કદાચ કોઈને માઠું લાગશે પણ આ એક હકિકત છે કે આપણે ક્યારેય પાણીની કિંમત કરી જ નથી. ખેતીમાં આડેધડ અપાતું છુટું પિયત હોય કે ઉદ્યોગો દ્વારા ફેલાવાતું જળ પ્રદુષણ, ગૃહિણીઓ દ્વારા ઘર વપરાશમાં થતો બેફામ દુરૂપયોગ હોય કે આપણા સૌનો રોજીંદો વ્યવહાર પરંતુ પાણીનો બગાડ સૌને કોઠે પડી ગયો છે. પાણીને સાવ પાણીના મૂલે વેડફવાની જાણે કે હોડ લાગી છે.
વિશ્વના તમામ વ્યવસાયોની વાત કરીએ તો પાણીનો સૌથી વધારે ઉપયોગ કરતા વ્યવસાયમાં ખેતી અગ્રક્રમે આવે છે. અને તેમાં પણ જો વૈશ્વિક સ્તરે એકમ વિસ્તારમાં પાણીના ઉપયોગ અને તેની સામે ઉત્પાદનના આંકડાનો ગુણોત્તર માંડીએ તો ખેતીમાં પાણીનો વધુ પડતો ઉપયોગ (કે વેડફાટ..) કરતા દેશોના લીસ્ટમાં આપણે પહેલી હરોળમાં ઉભા છીએ.
પિયત આપવામાં પાણીની બચત કરવા અંગે કેટલાક ખેડૂતો સાથે વાત કરી તો સાંભળવા મળ્યું કે, ‘હવે તો થોડા સમયમાં નર્મદાના પાણીથી આપણા સૌરાષ્ટ્રના બધા જ ડેમ ભરાઈ જવાના છે. પછી શું ચિંતા કરવી !!! હવે તો ધરતીને પાણીથી સાવ ધરવી દેવી છે.’ હવે આવી વિચારધારાવાળાને શું કહેવું ? અરે ભલા માણસ, અતિની કોઈ ગતિ હોય છે ખરી ? વધુ પિયત આપવાથી કાંઈ ઉતારો થોડો વધુ આવે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોના કાર્યક્રમમાં એક સરસ ઉદાહરણ આપ્યું હતુ કે કોઈ માણસને ખૂબ જ તરસ લાગી હોય તો તમે પાંચ, દસ કે પંદર બાલદી ભરીને તેના પર પાણી રેડશો, તો પણ તેની તરસ નહી છીપાય. પરંતુ જો તેને એક પ્યાલો કે ભલે અડધો ભરેલો પ્યાલો હોય પણ પાણી પીવડાવો તો તેની તરસ છીપાશે. બસ એવી જ રીતે પાકના છોડવાઓને પાણીથી માથાબોળ નવડાવવાની જરૂર નથી માત્ર તેના મૂળ વિસ્તારમાં યોગ્ય ભેજની જરૂર છે.
છોડને તેના મૂળ વિસ્તારમાં જરૂરી ભેજ ઉપલબ્ધ કરાવવા માટે ટપક સિંચાઈ જેવું ઉત્તમ સંશાધન એક પણ નથી. ઓછા પાણીએ વધુ વિસ્તારમાં અને વધુ વખત પિયત આપી શકાય તે માટે વિવિધ સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓનો આશરો લેવો જરૂરી છે. ટપક સિંચાઈ, ઝમણ પાઈપ, રેઈનગન, ફુવારા (સ્પ્રીંકલર) પદ્ધતિ વગેરે ફરજીયાત અપનાવીને પાણી બચાવવાનો સમય પાકી ગયો છે.
આ અઠવાડિયામાં આવતી ૨૨મી માર્ચને દુનિયા આખીમાં વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ચારે તરફ પાણી જેવી પ્રવાહિતા, પારદર્શિતા અને પોષકતાની ઠાલી વાતો થશે અને પાણીના વેડફાટ અને બચત અંગે કિંમતી ભાષણો સાંભળવા મળશે. પરંતુ અંગ્રેજી કહેવત ‘ચેરીટી બીગીન્સ એટ હોમ...’ અનુસાર જ્યાં સુધી હું અને તમે જાતે જ પોતાના દૈનિક વપરાશમાંથી બે-પાંચ લીટર પાણીની બચત કરતા નહિ થઈએ તો ટૂંક સમયમાં જ ગમે તેવા પાણીયારા હોઈશું તો પણ બધું પાણી હવા થઈ જશે.