Thursday, 1 November 2018

નેનો ટેકનોલોજી થકી ખેતી પાકોના પોષણમાં આવી રહેલ જબ્બર પરિવર્તન


 છેલ્લા ઘણા સમયથી નેનો ટેકનોલોજી શબ્દ વારંવાર સાંભળવામાં આવી રહ્યો છે. આ નેનો ટેકનોલોજીનો ઉપયોગ હવા તથા પાણીનું શુધ્ધિકરણ કરવા માટે, જમીન સુધારણા માટે, પોષક તત્વોના વહન માટે, ચોક્ક્સાઈપૂર્વકની ખેતી કરવા માટે, વિવિધ ખાતરો અને જંતુનાશક, ફુગનાશક, તથા નિંદામણનાશક દવાઓના વિકાસ માટે તેમજ પાકના બગાડને અટકાવવા માટે થઈ શકે છે.

આધુનિક વિજ્ઞાનનો વિકાસ જોતાં વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્ર નેનો ટેકનોલોજીના યોગદાન વગર બાકી રહેશે નહિ. ત્યારે ખેતીમાં તેના ઉપયોગથી અત્યંત આશાસ્પદ પરિવર્તન અને વિસ્મયકારક પરિણામો મળવાની અપેક્ષાઓ નિષ્ણાંતો દ્વારા સેવવામાં આવી રહી છે. આ વિષય પર સુરેન્દ્રનગર જીલ્લાના નાયબ બાગાયત નિયામક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ફારૂક પંજના વિચારો જાણવા જેવા છે.

નેનો એ ગ્રીક શબ્દ ‘નેનોશ’ માંથી ઉદ્દભવેલ શબ્દ છે. જેનો અર્થ - નાનું, સૂક્ષ્મ અથવા ન્યૂનતમ એવો થાય છે. આધુનિક વિજ્ઞાન દ્વારા કોઈપણ ઉપયોગી પદાર્થની રાસાયણિક, ભૌતિક તથા જૈવિક ગુણધર્મની લાક્ષણિકતાઓનો ઉપયોગ કરવા માટે જે-તે પદાર્થને ૧:૧૦૦ નેનોમીટર પ્રમાણમાપનો કરવામાં આવે છે. એક નેનોમીટર એટલે એક મીટરનો અબજમો ભાગ. જેને માથાના વાળની જાડાઈનો લગભગ એંસી હજારમો ભાગ સમાન ગણી શકાય.

ખેતી પાકોમાં પોષણ વ્યવસ્થાપનમાં નેનો ટેકનોલોજીના ઉપયોગની જરૂરીયાત અંગે જણાવતા ડો. ફારૂક પંજ કહે છે કે, આપણા દેશમાં વર્ષે અંદાજીત સવા લાખ કરોડનું ખાતર આયાત કરવામાં આવે છે. જેમાં સાઈંઠ હજાર કરોડની કેંદ્ર સરકાર સબસીડી આપે છે. એક પ્રાયોગિક અભ્યાસ પરથી માલુમ પડેલ છે કે આવા મોંધા રાસાયણિક ખાતરો પાકને આપ્યા બાદ બાર દિવસ પછી તેની ઉપલબ્ધતા ઘટવા લાગે છે. જયારે નેનો ખાતર નેનો ખાતરો કોઈપણ પાકમાં પોષક તત્વોની કાર્યક્ષમતામાં ત્રણગણો વધારો કરે છે.

હાલમાં આધુનિક નેનો ટેકનોલોજી દ્વારા પોષક તત્વો ધીરેધીરે છુટા પડી પાકને મળતા રહે એવા ખાતરો બને છે. પરંપરાગત પદ્ધતિ વડે સીધા જમીનમાં કે છંટકાવ દ્વારા આપી શકાતા આ નેનો ખાતરના જથ્થાની જરૂરીયાત રાસા. ખાતર કરતા ઓછી હોવાથી ખેડૂતોને આર્થિક દ્રષ્ટીએ પણ પોષાય છે. નેનો ટેકનોલોજી જમીન, પાણી અને સુક્ષ્મજીવો ઉપર બીનજરૂરી વિપરીત અસરોને નિયંત્રિત કરે છે અને તે કારણે ખેતીમાં ઉત્પાદકતા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે.

નેનો ટેકનોલોજીની માનવ સ્વાસ્થ્ય પર પડી શકનાર સંભવિત વિપરીત અસર અંગે પૂછતાં ડો. ફારૂક પંજે કહ્યું હતું કે, કેટલાક સંશોધનોથી એવું માલુમ પડેલ છે કે જો નેનો ટેકનોલોજીની કોઈ પ્રોડક્ટ શરીરની પેશીઓમાં શોષાય અને ભળે તો વિપરિત અસર પાડી શકે તેમ છે પરંતુ ‘નેનો ટોકસીકોલોજી’ હજુ ગહન સંશોધનનો વિષય હોઈ તે અંગે કંઈ પણ કહેવું એ ઘણું વહેલું કહેવાય.

હાલમાં રાજયની આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પણ થોડા સમય પૂર્વે શરૂ કરવામાં આવેલ નેનો ટેકનોલોજી વિભાગ દ્વારા સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે. દેશ-વિદેશમાં અનેક સરકારી સંશોધન સંસ્થાઓ તથા ખાનગી કંપનીઓ દ્વારા નેનો ટેકનોલોજી ઉપર સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે. જેથી ખેતી માટે ઉપયોગી વિવિધ ફર્ટીલાઈઝર, હર્બીસાઈડ, પેસ્ટીસાઈડ વગેરેના સ્થાનિક અને વિદેશી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલ નેનો વર્ઝન બજારમાં ઉપલબ્ધ છે.

આગામી સમયની ખેતીમાં ઈન્ફોરમેશન ટેકનોલોજી, માઈક્રો ઈરિગેશન, ટીસ્યુકલ્ચર, બાયોટેકનોલોજી જેવા ઘટકોની સાથે નેનો ટેકનોલોજીનો પણ સહિયારો ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં નોંધનીય સુધારો જોઈ શકાશે.