મિત્રો, ઓક્ટોબર માસ એટલે તહેવારો, ઉજવણીઓ, પ્રેરણાદાયી
મહાપુરૂષોની જન્મ જયંતીનો મહિનો. પારંપરિક તહેવારોની વાત કરીએ તો પાંચમી ઓક્ટોબર
એટલે નૃત્યના આનંદ સાથે આરોગ્યની ભેટ ધરતો શરદપૂનમનો ઉત્સવ. આમ તો શરદ ઋતુને
રોગનું ઘર કહેવામાં આવ્યું છે. પરંતુ સાથે જ આયુર્વેદના તજજ્ઞો કહે છે કે શરદ
ઋતુમાં રાત્રી જાગરણ કરીએ, પિત્તશામક ખોરાક લઈએ, અને પરસેવો વહી જાય એટલી શારીરિક
મહેનત કરીએ તો અનેક રોગો થતા જ નથી. કદાચ એટલા માટે જ આપણી સંસ્કૃતિમાં શરદકાળ
દરમ્યાન રાત્રે મોડે સુધી રાસગરબા રમવાની ગોઠવણ કરવામાં આવી છે. આ સાથે ઉત્તમ પિત્તનાશક
તરીકે ખીર કે દૂધ પૌઆ પણ એટલે જ આરોગવામાં આવે છે.
આપણી ભારતીય પરંપરાના લગભગ બધા જ તહેવારો વૈજ્ઞાનિક અભિગમથી જ શરૂ
કરવામાં આવ્યા છે. હવે દિવાળીના પાંચ દિવસીય તહેવારોની જ વાત કરીએ. ધાર્મિક કારણ
જે પણ હોય પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો વર્ષભર એકસરખા રોજીંદા કાર્યો કરીને
થાકી–કંટાળી ગયેલ માણસને કંઇક ‘ચેઈન્જ’ મળે, તે માટે વર્ષાન્તે પર્વો અને
ઊજવણીઓનું આયોજન કરવું જરૂરી છે. જેથી નવા વર્ષમાં લોકો વધુ ઉમંગ, ઉલ્લાસ અને તાજગીપૂર્વક પોતાનું
કામકાજ શરૂ કરી શકે. આ તહેવારોમાં ઘેર-ઘેર સફાઈ અને રોશની કરવા પાછળનો આશય સ્વાસ્થ્ય
જાળવણી તો છે જ પરંતુ સાથે જ સફાઈના સાધનો વેચનાર કે કોડિયાં-ફૂલ-હાર-તોરણ જેવી સુશોભનની
વસ્તુઓ વેચનારા, રંગરોગાન કે પસ્તી-ભંગારવાળા સહીત નાના-મોટા કેટલાય ધંધાર્થીઓના
જીવનમાં આર્થિક રંગત પૂરે છે. (એક વિનંતી - તહેવારોની ઊજવણીમાં સસ્તી વિદેશી
વસ્તુઓ વાપરવાને બદલે આ લોકો પાસેથી ખરીદવી, ભલે બે પૈસા મોંઘી પડે.)
આ માસ દરમ્યાન આવતા મહામાનવોના જન્મદિવસની વાત કરીએ તો, બીજી
ઓક્ટોબર એટલે આખા વિશ્વની સામે સત્ય અને અહિંસાની શક્તિ ઉજાગર કરનાર મહાત્મા
ગાંધીજીની ૧૪૮મી તેમજ દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની ૧૧૩મી જન્મ
જયંતી. અંગ્રેજ સરકારના દમનથી કચડાયેલ ભારતીય જનમાનસમાં સ્વતંત્રતાની જ્યોત
જગાવનાર અને ખાદી જેવા સ્વદેશી ઉત્પાદનો અંગે જાગૃતિ ફેલાવનાર મહામાનવ મોહનદાસ અને
દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે દુશ્મનો સામે બહાદુરીથી લડતા સૈનિકો તેમજ જગતને
જીવાડવા માટે ધૂળમાંથી ધાન પેદા કરતા ખેડૂતોની મહત્તાનું સમાજમાં પુનઃસ્થાપન થાય
તે માટે ‘જય જવાન જય કિસાન’નું સુત્ર આપનાર તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી
ખરા અર્થમાં જનનેતા હતા. આ મહિનાનો છેલ્લો દિવસ ૩૧મી ઓક્ટોબર એટલે ગુજરાતના પનોતા
પુત્ર અને સમસ્ત દેશને એકતાના સૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય કરનાર લોખંડી પુરૂષ સરદાર
પટેલની ૧૪૨મી જન્મ જયંતી. ખરા ખેડૂતનેતા તરીકે તેમણે કહેલા શબ્દો: ‘જેટલું
કષ્ટ ખેડૂત સહન કરે છે, તેટલું તો કોઈ સહન નથી કરતું. જ્યાં ખેડૂત સુખી નથી, તે
રાજ્ય પણ સુખી નથી.’ એ આજે પણ યથાર્થ છે.

શુભ દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન